Fraud Call On Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધી 42 મૃતકોના DNA થયા મેચ...14 સ્વજનોને સોંપવામાં આવ્યા મૃતદેહ....સન્માન સાથે વતન મોકલાઈ રહ્યા છે મૃતદેહ...
Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. હાલ મૃતકોના DNA તેમના સંબંધીઓ સાથે મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ દુઃખદ ઘટના સમયે પણ કેટલાક લેભાગુ તત્વો છેતરપિંડી કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોને ફોન કરી સરકારમાંથી બોલતા હોવાનું લેભાગુ તત્વો કહે છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો તેમના પરિવારજનના અવશેષો ઓળખાય અને તેમના મૃતદેહ મળે તેની રાહત જોઈ રહ્યા છે, ત્યારે આવા લેભાગુ તત્વો પરિવારજનોને ફોન કરીને પૈસા પડાવે છે. ત્યારે સિવિલ હૉસ્પિટલ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, નિયત કરેલા નંબર સિવાય કોઈપણ નંબર પરથી ફોન આવે તો તેની જાળમાં ન ફસાવા અપીલ કરવામાં આવી છે. મૃતદેહ સોંપવા માટે કોઈ પણ પ્રકારના નાણાં તંત્ર લેતું નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
42 DNA મેચ, 14 મૃતદેહ સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 42 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. ૩૨ના પરિવારના સંપર્ક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૪ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે. જેમાં અમદાવાદના ૪, વડોદરાના ૨ , ખેડા ૧, અરવલ્લી ૧ બોટાદના ૧, મહેસાણા ૪, ઉદયપુર ૧ નો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે બપોરે ૧૨.૦૦ કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. જે મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમના પાર્થિવદેહને પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.
પોલીસ એસ્કોર્ટ સાથે મૃતદેહો વતન પહોંચાડાય છે
ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે. એર ઇન્ડ્યામા મૃતકોના પરિવારજનોને કોઇ પણ મુશ્કેલી ન પડે તે માટે પોલીસની ખાસ કામગીરી જોવા મળી છે. પોલીસ પરિવારજનોને તમામ ડોક્યુમેન્ટસની ફાઇલ તૈયાર કરીને મૃતદેહોને આપી રહી છે. પોલીસ એસ્કોર્ટ કરીને મૃતદેહને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી રહી છે.
મુસાફરોના સામાન સ્વજનોને સોંપાશે
એટલું જ નહિ, અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ઘટના સ્થળેથી સામાનને એકત્રિત કરવાની પ્રક્રિયા પણ ચાલુ કરાઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી આ માહિતી આપી છે. તમામ સામાનનું દસ્તાવેજીકરણ કરાશે. સામાન સંબંધિત મૃતકના પરિવારને સોંપાશે.
પરિવારને તેમના પ્રિયજનની અંતિમ યાદી સમાન વસ્તુઓ મળી રહે તેવો સરકારનો પ્રયાસ રહેશે.
અમે સામાનના ભાવનાત્મક મહત્વને સમજીએ છીએ - હર્ષ સંઘવી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને હર્ષ સંઘવીએ લખ્યું કે, દરેક સામાન જે ક્રેશ સ્થળે મળે છે તેને કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવશે, દસ્તાવેજીકરણ કરવામાં આવશે અને સંબંધિત પરિવારોને સોંપવામાં આવશે. અમારી ટીમ આ વ્યક્તિગત વસ્તુઓને શોધવા અને ઓળખવા માટે સખત મહેનત કરી રહી છે, અને અમે નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે નજીકથી સંકલન કરી રહ્યા છીએ જેથી એક સરળ અને આદરપૂર્ણ પ્રક્રિયા સુનિશ્ચિત થાય. સામાનનું વળતર તમામ લાગુ નિયમો અને નિયમનો અનુસાર, અત્યંત સાવચેતી અને સંવેદનશીલતા સાથે કરવામાં આવશે. અમે આ સામાનના ભાવનાત્મક મહત્વને સમજીએ છીએ અને તેને શક્ય તેટલી વહેલી તકે પરિવારોને પરત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.