)
Gambhira Bridge Tragedy: ગંભીરાબ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતા બોરસદ તાલુકાના દહેવણ ગામના 45 વર્ષીય નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું આજે નિધન થયું હતું. પતિના મોતના સમાચાર સાંભળતાં જ તેમનાં પત્નીના હૈયાફાટ રુદનથી પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ બેભાન થઈ ગયાં હતાં.
2-2 દિવસથી એક જ આશા હતી કે એ જીવી જશે, પરિવાર ગંભીરા દુર્ઘટના ઘટી ત્યારથી નરેન્દ્રસિંહને કંઈ નહીં થાય એમ આશ લગાવીને બેઠો હતો. પરિવારનો એક એક સભ્ય એમના સાજા થવાની રાહ જોઈ રહ્યો હતો, પણ સારવાર દરમિયાન આજે એમનું મોત થઈ ગયું. સરકારી તંત્ર માટે મોતનો એક આંક વધીને 19 થયો પણ એક ગરીબ પરિવાર માટે તો ઘરનો મોભી જતો રહ્યો. 4 લાખમાં ગરીબની જિંદગી ખરીદવા નીકળેલી સરકારને ચાંધાર આંસુએ હૈયાફાટ રૂદન કરતી પત્નીના ડૂસકાં નહીં દેખાય પણ એક પરિવાર નોંધારો થઈ ગયો. ગંભીરા દુર્ઘટનાએ અનેક પરિવારોને રડાવ્યા છે.
ખાનગી કંપનીમાં સિક્યોરિટીમાં નોકરી કરતા આણંદના બોરસદ તાલુકાના દહેવણ ગામના 45 વર્ષના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર ઘરેથી નોકરીએથી નીકળ્યા પણ ક્યારેય ઘરે પરત ફરી શક્યા નહીં... આજે એમની પત્નીના હૈયાફાટ રૂદન અને કોઈને કહેશો નહીંના વલોપાતે અનેક કઠણ કાળજાના માનવીને પણ રડાવી મૂક્યા હતા.
મૃતક નરેન્દ્રસિંહના પિતરાઈ ભાઈ સિદ્ધાર્થ પરમારે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, મારા ભાઈ નોકરીથી પરત ફરી રહ્યા હતા, ત્યારે બ્રિજ તૂટતાં દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમણે એસએસજી હોસ્પિટલના ડોક્ટરો પર પણ બેદરકારીનો આરોપ લગાવતાં કહ્યું હતું કે અહીં ગરીબ દર્દીઓની કોઈ નોંધ લેતું નથી. અમે પોસ્ટમોર્ટમ કરાવવા માટે બે કલાકથી રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ કોઈ અધિકારી અહીં આવ્યા જ નથી.
સિદ્ધાર્થ પરમારે જાહેર કરાયેલી સહાય પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે 'સરકારે માત્ર ચાર લાખની સહાયની જાહેરાત કરી, તો શું સરકાર માત્ર ચાર લાખમાં ગરીબ માણસની જિંદગી ખરીદવા નીકળી છે! ચાર લાખ રૂપિયામાં તેમનાં બંને બાળકો ભણી પણ નહીં શકે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્લેનમાં બેસનાર પૈસાદારને એક કરોડની સહાય અને ગરીબ માણસ સાઇકલ લઈને જાય તેને કશું નહીં? આ જાનવર નહોતા, માણસ જ હતા.