)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
‘જાગતા રહો’ ઓપરેશન ગુજરાત શરૂ
દેશના રાજકારણમાં ગુજરાત મોડલ ખૂબ પ્રચલિત છે. ભૂતકાળમાં કોંગ્રેસ હોય કે ભાજપ બંનેએ ગુજરાતમાં અનેક રાજકીય નવા પ્રયોગો કર્યા છે. હકારાત્મક પરિણામો પછી આ પ્રયોગને દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. કોંગ્રેસમાં ખામ થિયરી હોય કે ભાજપની હિંદુત્વની થીયરી. બંને પ્રયોગની શરૂઆત ગુજરાતથી થઈ હતી. ગુજરાત રાજકારણની પ્રયોગશાળા પણ ગણાઈ ચૂકી છે. હવે ભાજપ અને કોંગ્રેસે બંનેએ ગુજરાતમાં ‘ઓપરેશન ગુજરાત’ શરૂ કરી દીધા છે. જે અંતર્ગત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં વ્યાપક પરિવર્તન અને સંગઠનનું માળખું ઊભું કરવા મુલાકાતે આવે છે. જોકે હવે ભાજપ દ્વારા પણ ઓપરેશન ગુજરાત શરૂ કરી દેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અવારનવાર ગુજરાત મુલાકાત ઓપરેશન ગુજરાત અંતર્ગત થઈ રહી છે. રાહુલ ગાંધીના કાવાદાવાને કેવી રીતે ખાળી શકાય અને 2027માં ગુજરાત ભાજપનો જ ગઢ બની રહે તે માટે પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એટલે જ કદાચ ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ કે ફેરબદલ હાલ થઈ શક્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે હોમ સ્ટેટના બદલાયેલા સંજોગોનો અભ્યાસ શરૂ કરી દીધો છે. ગુજરાત મુલાકાતો દરમિયાન અનેક રાજકીય અને સામાજિક આગેવાનો સાથે ખાનગી બેઠકો પણ થતી હોવાની જાણકારી મળી રહી છે. ભાજપના ઓપરેશન ગુજરાત અંતર્ગત આગામી દિવસોમાં અકલ્પનીય ફેરફાર થશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની મુલાકાતો બંને નેતાઓ લઈ ચૂક્યા છે. વર્ષોથી આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા નેતાઓ સાથે પણ મુલાકાત થતી હોવાની જાણકારી મળી રહી છે. ભાજપના વર્તમાન નેતાઓ અને મંત્રીમંડળના સભ્યો માટે અત્યારે "જાગતા રહો" ઓપરેશન ગુજરાત પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં તેના પરિણામો પણ જોવા મળશે.
બનાસકાંઠા પૂર ભૂતકાળ બનશે, એક સિનિયર આઈએએસ અધિકારીએ કવાયત હાથ ધરી
બનાસકાંઠામાં પડેલા અતિભારે વરસાદ બાદ સૂઈગામથી લઈને અનેક તાલુકાઓની સ્થિતિ ચિંતાજનક છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં રાતવાસો કરી બનાસકાંઠાની સમસ્યા સમજવાનો પણ પ્રયત્ન કર્યો. ભૂતકાળમાં પણ બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીએ પણ રાતવાસો કર્યો હતો. જોકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો અધિકારીઓ સાથે બનાસકાંઠાનો રાતવાસો ભવિષ્યમાં બનાસકાંઠામા પુર ભૂતકાળ બની જાય એવું બને. મુખ્યમંત્રીના નજીકના સિનિયર આઈએએસ અધિકારીએ કવાયત હાથ ધરી છે. બનાસકાંઠા-પાટણ માટે રૂપિયા 2000 કરોડ જેટલો ખર્ચ કરીને કાયમી સમસ્યાના ઉકેલની દિશામાં સરકાર આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટનો એજન્સીઓ પાસે રિપોર્ટ અમલીકરણ એજન્સી સુધીની કામગીરી સરકારના સિનિયર આઈએએસ અધિકારીને સોંપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. જો આ શક્ય થશે તો આગામી વર્ષોમાં બનાસકાંઠામાં પૂર પરનું રાજકારણ શાસક પક્ષ કે વિપક્ષ માટે ભૂતકાળનો મુદ્દો બનશે.
એક મંત્રીની કચેરીમાંથી 10 ઉંદર પકડાયા
તમને જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. હમણાં શ્રાદ્ધના દિવસોમાં કેટલાક મંત્રીઓએ પોતાની કચેરીમાં સાફસફાઈ હાથ ધરી હતી. જેમાં એક મંત્રીની કચેરીમાંથી 10 ઉંદર પકડાયા. આ ઉંદર રેલવે સ્ટેશન પર ફરતા હોય એટલા મોટા જોવા મળ્યા. આમ પણ સ્વર્ણિમ સંકુલ-2 માં મચ્છરનો ત્રાસ છે. મોટાભાગની ચેમ્બરોમાં પીએ અને પીએસ મચ્છર મારવાનું રેકેટ પોતાની પાસે રાખીને જ કામ કરતા હોય છે. શિયાળો ચાલુ થશે અને સેન્ટ્રલ એસી બંધ થશે, એટલે પછી આ મચ્છરો અને ઉંદરો વધુ જોવા મળશે. સેન્ટ્રલ એસીની પાઇપ મચ્છરો અને ઉંદરો માટે આદર્શ નિવાસસ્થાન બની ગયું છે.

સમાજસેવા કે દેશ સેવાની વાતો ખોટી, રાજકારણમાં તમારા સ્વાર્થી જ આવ્યા છો
રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત પરનું ફોકસ વધારી દીધું છે. જુનાગઢમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓની પાઠશાળા ચલાવી હતી. સામાન્ય રીતે કોર્પોરેટ જગતમાં વર્કશોપ યોજાય તે પ્રકારની આ પાઠશાળા હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને જિલ્લા સ્તરના પ્રમુખો અને હોદ્દેદારોને એક નવો જ અનુભવ કરાવ્યો. જાહેર મંચ ઉપરથી તેમને કેટલાક કોંગ્રેસના નેતાઓને રાજકારણમાં શું કામ આવ્યા છો તેના સવાલો પણ કર્યા. મોટાભાગના નેતાઓએ સમાજસેવા દેશ સેવા કરવા રાજકારણમાં આવ્યા હોવાના જવાબો આપ્યા. જોકે રાહુલ ગાંધીએ આવા તમામ નેતાઓને અરીસો બતાવ્યો. રાહુલ ગાંધીએ સ્પષ્ટ રીતે સમાજસેવા કે દેશસેવા માટે કોઈ રાજકારણમાં આવતું નથી, બધા પોતાના વ્યક્તિગત વિકાસ કે સ્વાર્થ માટે જ રાજકારણમાં આવતા હોવાની વાત કરી. કોંગ્રેસના નેતાઓને મહાત્મા ગાંધીની બે તસવીર પણ બતાવી. તેમણે કહ્યું કે, એક તસવીરમાં બેરિસ્ટર ગાંધી અને બીજી તસવીરમાં એક જ વસ્ત્ર પહેરેલા મોહનદાસ કરમચંદ ગાંધી બતાવ્યા. મહાત્મા ગાંધી વકીલાત જેવો વ્યવસાય કરતા હતા, પણ બધું છોડીને એક વસ્ત્રમાં આવી ઈતિહાસ રચ્યો. એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નેતાઓએ પોતાનો ઈગો દૂર રાખી પ્રજા વચ્ચે જઈને કામ કરવું જોઈએ એ પ્રકારનો સંદેશો પણ આપ્યો. એક જિલ્લા પ્રમુખ દ્વારા રાહુલ ગાંધીને પોતાના ઘરે ભોજન કરવા આમંત્રણ આપ્યું. ત્યારે રાહુલ ગાંધીએ પહેલા પર્ફોર્મન્સ આપો. ‘પરફોર્મન્સ સારું હશે તો હું તમારા ઘરે જમવા સામેથી આવીશ....’ તેવું કહી ત્યાં હાજર તમામ લોકોને પરફોર્મન્સ સુધારવાનો ટાસ્ક પણ આપ્યો. કોંગ્રેસના નેતાઓને પ્રજા વચ્ચે રહીને જ પર્ફોમન્સ સુધરી શકે તે સત્ય સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો.
રમણલાલના નામનો પોકાર પડાવી વિરોધીઓ પૂનમના ચંદ્રની જેમ ખીલ્યા
ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી નેતાઓ અનેક વિવાદોમાં આવતા હોય છે. ભાજપના ધારાસભ્યોમાં સૌથી સિનિયર નેતા રમણલાલ વોરા છે. વિધાનસભાના અધ્યક્ષ, કેબિનેટ મંત્રી સહિતના હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે. જોકે તાજેતરમાં જમીન કેસમાં "રમણલાલ વોરા હાજર થાવ" નો પોકાર પડ્યો. ખોટી રીતે ખેડૂત થવાના મુદ્દા ઉપર તેમની સામે તેમના જ સમાજના અને ભાજપના નેતા પૂનમભાઈ મકવાણા સામે પડ્યા છે. એક સમયે પૂનમભાઈ મકવાણા અને રમણલાલ વોરા સાથે પાર્ટનરશીપમાં બિઝનેસ પણ કરતા હતા. આ વ્યવસાયમાં ભાગીદારી છૂટી થયા પછી રાજકીય હિતો ટકરાતા ખુલ્લેઆમ રાજકીય જંગ જામ્યો છે. પૂનમ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી રમણલાલ વોરા સામે તપાસની પણ માંગણી કરેલી છે. જો કે આ વિવાદમાં રસપ્રદ બાબત એ છે કે જ્યારે મંત્રીમંડળના વિસ્તરણ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવવાના હોય તે પહેલા વિવાદ વધુ વકરે છે અને અમિતભાઈ શાહ જતા રહે એટલે વિવાદ ઉપર ઠંડું પાણી ફરી વળે છે.