Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બનશે કોંગ્રેસના મૃત્યુઘંટ સમાન ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રદેશ કોંગ્રેસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો કરી શકે છે. ભાજપ દ્વારા ચૂંટણી પહેલા જે પ્રકારની રણનીતિ કે રાજનીતિ અપનાવવામાં આવી છે તે જોતા આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનું તળિયું દેખાય તો નવાઈ નહીં. સામાન્ય રીતે કોંગ્રેસમાં દર ચૂંટણીમાં જે પ્રકારનો ટિકિટ માટે હોબાળો થાય છે તેવી નોંધ પાત્ર ઘટના બની નથી. તેનાથી ઊલટું ભાજપમાં કોંગ્રેસ જેવી ઘટનાઓ બની. ઉમેદવારને બદલવા સુધીની ઘટના ભાજપમાં બની. ભાજપમાં અનેક જગ્યાએ કાર્યકરો અને નેતાઓની નારાજગી સામે આવી. આમ છતાં આ ચૂંટણીમાં કોંગ્રેસ અકલ્પનીય ડેમેજ થાય તેવા સંજોગો કે રણનીતિ ભાજપે ગોઠવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મતોના ધ્રુવીકરણથી સંપૂર્ણ કમળ ખીલશે. જે કોંગ્રેસના મૃત્યુ ઘંટ સમાન બની શકે છે. ભાજપમાં જે જગ્યાએ બળવો થયો છે તે ભાજપની જ રણનીતિનો એક ભાગ હોવાની ચર્ચા શરૂ થઈ છે. જે જગ્યાએ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જ્ઞાતિ મજબૂત મતબેંકવાળી છે, ત્યાં જ મોટાભાગે ભાજપમાંથી બળવો કરી પ્રતિપક્ષ ઉમેદવારની જ્ઞાતિના મતોનું ધ્રુવીકરણ કરવાના ચોકઠા ભાજપે ગોઠવ્યા છે. અત્યાર સુધી ભાજપે બિનહરીફ બનવામાં સદી ફટકારી છે. પણ ફોર્મ પાછા ખેંચવાના દિવસે બેવડી કે ત્રવેડી સદી પણ લગાવી શકે છે. ભાજપ સામેના મતો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષમાં વત્તા ઓછા અંશે પડે તેવી શતરંજની રમત ગોઠવાય છે. કોંગ્રેસમુક્ત ગુજરાતની પરિકલ્પનાનું અમલીકરણ થઈ શકે છે. ભલે પછી ભાજપ કોંગ્રેસયુક્ત બની રહે.
ગોપાલ ઈટાલિયા નાટક કરે તે પહેલા તેનો જ ખેલ પડ્યો
ગુજરાતમાં અત્યારે રાજકીય કાવાદાવા ચરમ સીમાએ પહોંચ્યા છે. ભાજપ સામેના પડકારોમાં એક પડકાર ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા છે. પાટીદાર અને હોશિયાર હોવાને કારણે ભાજપે નજર અંદાજ કર્યો. જોકે હવે પડકાર બન્યા છે. પણ આ વખતે વધારે હોશિયાર વધારે ખરડાય તેવી ગુજરાતી કહેવત ગોપાલ ઈટાલિયા માટે બંધબેસતી સાબિત થઈ. મહેસાણાના કેસમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસને રાજકીય સ્ટંટ તરીકે ઉપયોગ કરવાની ચાલ નિષ્ફળ ગઈ. ગોપાલ ઈટાલિયાનો ઓડિયો તેની રાજકીય ઈમેજ પર કટુરાઘાત સમાન બની. પોતે MBA બની મને બધું જ આવડે તેવી હોશિયારી કે છાપ ઉપસાવવાની ટ્રેપમાં ઈટાલિયા ફસાયા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી નામે બચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
)
‘દુશ્મનનો દુશ્મન દોસ્ત’ : રાજુ બન ગયા જેન્ટલમેન
રાજકારણમાં દુશ્મનનો દુશ્મન દોસ્ત માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ખેડૂત આંદોલનથી આમ આદમી પાર્ટીમા હીરો બનેલા રાજુ કરપડા આખરે ભાજપમાં જોડાઈ ગયા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટિકિટ પણ તેમને મળી. ભાજપની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કરતા રાજુભાઈ હવે ભાજપની ખેડૂત માટેની સારી નીતિથી પ્રેરાઈને ખેસ ધારણ કર્યો. ભાજપે પણ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઈટાલીયાનો વિરોધ કરનારને દુશ્મન કા દુશ્મનને દોસ્ત બનાવ્યો. જ્યારે એ જ દિવસે IPS મનોજ નિનામાને શામળાજીના કમલમ કાર્યાલયમાં ખેસ પહેરાવી સભ્ય બનાવ્યો. મનોજ નિનામાને પણ અરવલ્લી જિલ્લા પંચાયતમાં ટિકિટ આપી. જો કે આ બંને ઘટનાઓ એકને પ્રદેશ કમલમ કાર્યાલય અને બીજાને જિલ્લા કક્ષાએ પ્રવેશ કરાવી, ભાજપના નેતાઓએ બંને વચ્ચેનો તફાવત બતાવ્યો.
કરોડો રૂપિયાનો ખેલ પડ્યો, મંત્રી અને અધિકારી આમને સામને
વન વિભાગમાં 350 થી વધુ આરએફઓની બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બની. આ બદલીમાં લાખો રૂપિયાની લેતી દેતી થઈ હોવાની ગંધ મુખ્યમંત્રી કાર્યાલય સુધી આવી. જેના કારણે ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ સીસીએફ સહિત 8 ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશો કરાયા. સચિવાલયની ચર્ચા પ્રમાણે આ અધિકારીઓએ રીંગ કરી વ્યાપક બદલી કરી. જેમાં કરોડો રૂપિયાનો વ્યહવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો. આ બદલીમાં કોને કેટલા રૂપિયા લીધા કે કોની ભલામણથી બદલી થઈ તેના પર એકાએક પડદો પાડી દેવામાં આવ્યો. કહેવાય છે કે આ બદલીનો ઓર્ડર કરતા પહેલા મંત્રીઓની પણ પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી. એટલે અધિકારીઓએ જ આ બદલી કરી છે, તેવી વાત નથી. મંત્રીઓ પણ આ બદલી વિશે જાણતા હતા. એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે મંત્રીઓએ પણ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પોતાની મંજૂરીથી જ બદલી થઈ હોવાની વાત કરી છે અને અધિકારીઓ સામે પગલાં ન ભરવાની પણ ભલામણ કરી હતી. જોકે 6 આઈએફએસ અને એક ઉપસચિવ, એક નાયબ સચિવની બદલી કરી સમગ્ર ઘટના ઉપર પડદો પડી ગયો. હવે આ કેસમાં ગુપ્ત તપાસ ચાલી રહી છે અને કોની શું ભૂમિકા તેનો રિપોર્ટ મુખ્યમંત્રી કે પીએમઓ સુધી મોકલવામાં આવે તો નવાઈ નહીં.
ભાજપ કાર્યાલયનો સેવક બનશે નગરસેવક
ચૂંટણીમાં ટિકિટને લઈને રાજકીય પક્ષોમાં ખેંચતાણ થાય તે સ્વાભાવિક છે. જોકે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા કેટલાક ધ્યાન આકર્ષિત કરે તેવા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. મહેસાણા ભાજપ કાર્યાલયના સેવક રમેશ ભીલને વોર્ડ નંબર 12 માં ટિકિટ આપી છે. ભાજપમાં સેવક પણ નગરસેવક બની શકે. તેવી જ રીતે પુર્વ કાર્યાલય મંત્રી જયેશ પ્રજાપતિના પત્ની નયનાબેન પ્રજાપતિને પણ ટિકિટ અપાઈ છે. અમદાવાદમાં પણ વર્ષોથી ભાજપના કાર્યકર રહેલા સ્વર્ગસ્થ અશ્વિન ચૌધરીની પત્નીને પણ ટિકિટ આપી છે. અશ્વિન ચૌધરીનું કેન્સરની બીમારીને કારણે મૃત્યુ થયું હતું. જે તે સમયે તેઓ ભાજપમાં વાહન વ્યવહાર વિભાગ સંભાળતા હતા. આટલા વર્ષો બાદ પણ તેમના પરિવારને યાદ કરી ટિકિટ આપવામાં આવી છે. આવી ઘટનાઓ માત્ર ભાજપમાં જ નહીં કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં પણ બની હશે. જોકે આવી ઘટનાઓ રાજકારણના માનવતાસભર પાસાંને છતી કરે છે.
આ પણ વાંચો :