)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
હસમુખ અઢિયાના અહેવાલ પર અહેવાલ, પણ અમલવારી ક્યાં?
મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયા વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ છે. રાજ્ય સરકારનું શાસન પારદર્શક અને પ્રજા ઉપયોગી બની શકે તે દિશામાં આ પંચ કાર્યરત છે. અત્યાર સુધી આ પંચ દ્વારા ચારથી વધુ ભલામણ અહેવાલો મુખ્યમંત્રીને સુપરત કરાયા છે. વહીવટી તંત્રમાં 25 થી વધુ સુધારાઓની ભલામણ હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રચાયેલા પંચે કરી છે. થોડા દિવસ પહેલા જ આ પંચ દ્વારા ફરી પાછી નવું મહત્વની ભલામણો કરી ચોથો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કર્યો છે. હસમુખ અઢિયા પોતે રાજ્ય સરકારમાં આઈએએસ તરીકે મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમની પાસે દેશ લેવલે કામ કરવાનો બહોળો અનુભવ છે. જોકે તેમના ચોથા અહેવાલ બાદ ભૂતકાળમાં તેમની સાથે જુનિયર આઈએએસ તરીકે કામ કરી ચૂકેલા અને હવે સિનિયર આઈએએસ તરીકે કામ કરતા કેટલાક અધિકારીઓમાં ગણગણાટ શરૂ થયો છે. અઢિયા સાહેબ ભલામણો કરે છે પણ તેની અમલવારી સરકાર પાસે કરાવવામાં નિષ્ફળ નીકળ્યા છે. વહીવટી સુધારણામાં તેના કર્મચારીઓ અને અધિકારીઓ હાર્દ સમાન છે. કર્મચારીઓના ઓફિસ અવર્સનો મુદ્દો હોય કે અન્ય મુદ્દા. તેની અમલવારી વહીવટી સુધારણા પંચ કરાવી શક્યું નથી. તો હવે વહીવટી સુધારણા પંચે રાજ્ય સરકારને ભલામણોના અમલીકરણનો પણ એક અહેવાલ આપવો જોઈએ. ભલામણો પર અમલીકરણ ચોક્કસ સમય માગી લે. જોકે ચોથો અહેવાલ આવી ગયો છે પણ હજુ પહેલા અહેવાલની પણ અમલવારી દેખાતી ન હોવાની ટકોર આઈએએસ અધિકારીઓ જ કરી રહ્યા છે.
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા પાછળ સરકાર પણ જવાબદાર?
અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની ઘાતકી હત્યાએ સમગ્ર શિક્ષણ અને સમાજ જગતને હચમચાવી નાંખ્યું છે. જોકે તેની પાછળ મોબાઈલ અને સોશિયલ મીડિયા સૌથી વધુ જવાબદાર હોવાની ચર્ચા શરૂ થઈ છે. શિક્ષણ વિભાગે આવી ઘટનાઓ ન બને અને તેને રોકી શકાય એ માટે ભૂતકાળમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા માટે પોલિસી બનાવવાની જાહેરાત કરી હતી. એકાદ વર્ષ પહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વ્યક્તિગત રસ લઈને આ દિશામાં કામગીરી પણ શરૂ કરી હતી. જોકે શાળાઓમાં મોબાઈલ કે સોશિયલ મીડિયા અંગેની નક્કર કોઈ પોલિસી હજુ બની નથી. તે વખતે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે આ પ્રકારની પોલિસી માટે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના વ્યક્તિગત પ્રયાસો પછી પણ કોઈને કોઈ કારણસર સફળતા મળી નથી. શિક્ષણ માફિયાઓએ કદાચ આમાં ભૂમિકા ભજવી હોઈ શકે. સરકારી બાબુઓ પણ આના માટે જવાબદાર હોઈ શકે. શિક્ષણ વિભાગના જ સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ પોલિસી અંતર્ગતનો ડ્રાફ્ટ કે મહત્વની કામગીરી પૂર્ણ કરાય છે, પણ સરકાર કદાચ અમદાવાદ જેવી ઘટનાઓ હજુ બને તેની રાહ જોઈ રહી છે. પછી આવી પોલિસીની જાહેરાત સરકાર કરશે.

મુખ્યમંત્રી ભાગ્યશાળી છે, ઈચ્છે ત્યારે બધું થાય...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે મૃદુ અને મક્કમ પછી હવે કમિટેડ મેન જેવા સંબોધનો થતા રહ્યા છે. જોકે મુખ્યમંત્રી ભાગ્યશાળી હોવાનું સંબોધન પણ ગુજરાતની રાજનીતિમાં મહત્વનું સ્થાન ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા મુખ્યમંત્રીને ભાગ્યશાળી ગણાવ્યા. વરસાદના સંદર્ભમાં શંકર ચૌધરી દ્વારા મુખ્યમંત્રી ભાગ્યશાળી હોવાની વાત કરી. વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ આવ્યો. એકવાર નહીં પણ આવી ઘટના પાંચ પાંચ વાર બની હોવાની વાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરાઈ. સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ આગવી શૈલીમાં ખીલીને બોલ્યા. પોતાના વિરોધીઓને પણ આ મંચ ઉપરથી સીધો જવાબ આપ્યો. બનાસ ડેરીમાં ભરતી પ્રક્રિયાની વાત હોય કે સહકારી ક્ષેત્રે આગેવાનોને ખોટા ખર્ચાઓ કરવાની ટકોર હોય. જાણે શંકર ચૌધરી સક્રિય રાજકારણમાં પાછા ફરી રહ્યા હોય તેવા સંકેતો તેમના સંબોધનથી મળ્યા. (તમને જણાવી દઈએ કે, વિધાનસભાના અધ્યક્ષને કોઈપણ રાજકીય પક્ષના ગણાતા નથી અને સક્રિય રાજનીતિથી દૂર રહેતા હોય છે)
ગૃહ વિભાગે રેકોર્ડ તોડ્યો.. "હર્ષ સંઘવી અને એમ.કે.દાસ ની અણનમ સદી"
ગૃહ વિભાગમાં લાંબા સમયથી બદલી બઢતી સાથે ફેરફારોની રાહ જોઈને પોલીસ અધિકારી અને કર્મચારીઓએ આશા છોડી દીધી હતી. જોકે ગત સપ્તાહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસની જોડીએ 105 આઇપીએસ અધિકારીઓની બદલીના આદેશ કર્યા. લાંબા સમય પછી એક સાથે આટલા બદલીના આદેશ એક રેકોર્ડ હોવાની વાત પણ ચર્ચાનો વિષય બની. હજુ 10 અધિકારીઓ વેઇટિંગ ફોર પોસ્ટિંગ પર છે. એટલે હજુ બીજી બદલીઓના આદેશ થશે એ નિશ્ચિત છે. ગૃહરાજ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવની જોડી હજુ વધુ બેવડી કે તેવડી સદી ફટકારવાના મૂળમાં છે. સિનિયર આઇપીએસ અધિકારીઓ, પીઆઈ ટુ ડીવાયએસપીની બઢતી ડીવાયએસપીની બદલીઓ અને પ્રમોશન પણ આગામી દિવસોમાં અપાશે.

રાજકીય હવામાન તોફાની રહેશે.. અંબાલાલ પટેલની રાજકીય 20-20 મેચ
હવામાન ક્ષેત્રે આગાહી કરવામાં પંકાયેલા અંબાલાલ પટેલ ક્યારેક ક્યારેક રાજકીય પણ આગાહી કરી નાંખે છે. અંબાલાલ પટેલ હવામાન અને ચોમાસાની આગાહીમાં સચોટ પુરાવાર થાય છે. હવે રાજકીય મેચ અંગે પણ અંબાલાલ પટેલે 20 20 મેચ જેવી ભવિષ્યવાણી કરી છે. આગામી સમય ગુજરાત અને દેશની રાજનીતિ માટે મહત્વનો બનશે. હાલ સુર્યકેતુ યોગ ચાલી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યમાં કેટલીક રાજકીય હલચલ થઈ શકે છે. રાજકીય નેતાઓએ રાજકીય રીતે સાચવવું જરૂરી બનશે. રાજકીય ક્ષેત્રે ન ધારેલા કેટલાક અણધારા પરિણામો આવી શકે છે. દિલ્હી અને ગુજરાતમાં રાજકીય ચહલપહલ જોવા મળશે. વિશ્વમાં પણ રાજકીય ચહલપહલ તેજ બનશે. અંબાલાલની રાજકીય આગાહી સાંભળીને એક વરિષ્ઠ ભાજપના નેતાએ કોમેન્ટ કરી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આ બંને જગ્યાએ અકલ્પનીય નામ આવે તો સ્વાભાવિક છે કે રાજકીય ચહલ પહલ ગુજરાત અને દેશમાં વધી જાય.