ગાંધીનગરના કાવાદાવા : મુખ્યમંત્રી નહિ, પણ મુખ્યમંત્રીનું કાર્યાલય નિશાન પર! એક IPS ઓફિસર બિલ્ડર લોબીમાં સૌથી ફેવરિટ
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Trending Photos
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
મુખ્યમંત્રી નહીં પણ મુખ્યમંત્રીનું કાર્યાલય નિશાન પર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખૂબ જ નિખાલસ અને મૃદુભાષી છે. જોકે થોડા સમયથી કોઈને કોઈ કારણસર તેમની આસપાસ કે અંગત સ્ટાફ પર આંગળી ચીંધવાનો પ્રયાસ થઇ રહ્યો છે. થોડા સમય અગાઉ મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હકાલપટ્ટીના સમાચાર વહેતા થયા હતા. ભાજપના મંડળ પ્રમુખની યાદી લીક કરવાનો આરોપ મુકાયો. જોકે નીલ પટેલ મુખ્યમંત્રી કાર્યાલયમાં જ ફરજ બજાવતા હતા. નીલ પટેલ મૂળ ભાજપનો જ યુવા કાર્યકર છે. અગાઉ પણ આ જ પ્રકારની અફવા નીલ પટેલના નામે ઉડી હતી. સાથે મુખ્યમંત્રીના અંગત મદદનીશ ધ્રુમિલ પટેલની પણ ભૂતકાળમાં હકાલ પટ્ટી થઈ છે. એટલે નીલ પટેલના નામની અફવા એ વધારે જોર પકડ્યું. નીલ પટેલ સાથે વાત થઈ તો તેઓએ સ્પષ્ટ કહ્યું કે, હું આજે પણ નોકરી પર છું અને જ્યારે પણ ચા પીવાની ઈચ્છા હોય ત્યારે આવજો આપણે મળીશું. જોકે ત્યાર પછી એકાએક નીલ પટેલ સીએમ કાર્યાલયમાં ઓછા દેખાઈ રહ્યા છે. આ બધી વાતો વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ઉપસચિવ જપન દવેને રહસ્યમય રીતે સિંગલ ઓર્ડરથી આરોગ્ય વિભાગમાં બદલી કરી દેવાઈ. સચિવાલયમાં ચર્ચાનો વિષય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે કોઈ આંગળી ચીંધી શકાય તેવું નથી એટલે તેમના કાર્યાલયના સ્ટાફને નિશાન બનાવી મુખ્યમંત્રી સુધી પહોંચવાનો પ્રયાસ છે.
રાજ્યના બિલ્ડરોમાં એક IPS સૌથી લોકપ્રિય...
આઇપીએસ અધિકારીઓ સાથે સ્વાભાવિક રીતે જ વેપારી અને ઉદ્યોગપતિઓ સંબંધ રાખતા હોય છે. જોકે આ સંબંધો જાહેરમાં ન આવે તેવો પ્રયાસ કરતા હોય છે. જોકે હાલમાં જ મહાત્મા મંદિરમાં ક્રેડાઈના કાર્યક્રમમાં ગુજરાતના IPS અભય ચુડાસમા છવાઈ ગયા. આઇપીએસ અધિકારીના બિલ્ડરો સાથેના નજીકના સંબંધો આંખે ઉડીને દેખાયા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર હતા. કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલાં જ મહાત્મા મંદિરના હોલમાં અભય ચુડાસમા આવતા જ પ્રેક્ષકો ની પ્રથમ અને બીજી હરોળમાં બેઠેલા ગુજરાતના નામચીન બિલ્ડરોએ ઊભા થઈને અભય ચુડાસમાને આવકાર્યા. બિલ્ડરો આ IPS સાથેનો પ્રેમ રોકી ન શક્યા અને ગળે પણ મળ્યા. આમ પણ સિનિયર IPS અધિકારી અભય ચુડાસમા હસમુખા અને મિલનસાર છે. ગુજરાત પોલીસમાં તેમની આગવી ઈમેજ છે. એટલે જ કદાચ પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી પણ આ બાહોશ અધિકારીનું રાજીનામું સરકારે સ્વીકાર્યું નથી. અભય ચુડાસમા ચાલુ વર્ષમાં જ નિવૃત્ત થઈ રહ્યા છે.
ન જંત્રી વધી કે ન મંત્રી વધ્યા...
ગુજરાતમાં લાંબા સમયથી બે ચર્ચાએ જોર પકડ્યું છે. રાજ્યમાં ગમે ત્યારે જંત્રીમાં વધારો થશે અને તે જ પ્રકારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને મંત્રી વધશે. જોકે સચિવાલયમાં સૌથી ગરમાગરમ ચર્ચાતા આ બંને વિષયમાં હજુ રાહ જોવી પડશે. એક તબક્કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જંત્રી સરકાર વધારી દેશે તેવું સિનિયર આઈએએસ અધિકારીઓ પણ માનતા હતા. રાજકીય નેતાઓ સાથે સંકળાયેલા અધિકારીઓમાં મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા જોરશોરથી ચાલી. પણ હવે એપ્રિલ મહિનો અંત તરફ છે, હજુ ગુજરાતમાં નથી જંત્રી વધી કે નથી મંત્રી વધ્યા. એક સિનિયર અધિકારીએ આ મુદ્દા પર કોમેન્ટ પણ કરી કે જંત્રી અને મંત્રી બંને ઉપરવાળો નક્કી કરશે ત્યારે જ વધશે.
એક્સટેન્શનમાં સહાયને કોઈની સહાય મળશે
ગુજરાત પોલીસમાં અત્યારે સૌથી યક્ષ પ્રશ્ન છે રાજ્યના નવા પોલીસવાળા કોણ? રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય જુનના અંતમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. સિનિયર IPS અધિકારીઓમાં રાજ્યના પોલીસ વડા ડીજીપી બનવું એક જિંદગીભરનું સપનું હોય છે. IPS વિકાસ સહાય એ નિર્વિઘ્ન પોલીસ બેડામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. પોલીસ તંત્રમાં કેટલાક ક્રાંતિકારી સુધારાઓ પણ કર્યા છે. હવે આ જગ્યા ઉપર આવવા માટે IPS અધિકારીઓમાં લોબીંગ ચાલી રહ્યુ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક 1993 બેચના રાજ્યના પોલીસવાળા બનવાની હરોળમાં આગળ છે. આમ તો સિન્યોરિટીની દ્રષ્ટિએ 1991 બેચના શમશેર સિંગ ,1991 બેન્ચના મનોજ અગ્રવાલ, 1992 બેન્ચના કે એલ. એન. રાવ ,1992 બેન્ચના રજનીશ રાય હાલ સસ્પેન્શન પર છે, ત્યાર બાદ 1993 બેચના જી.એસ. મલિક નો નંબર આવે છે. જોકે શમશેર સિંગ દિલ્હી ડેપ્યુટેશન પર છે, અને મનોજ અગ્રવાલ નિવૃત્તિનો ઓછો સમય બચ્યો છે. પોલીસ સૂત્રોમાંથી જાણકારી મળી કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ પોલીસમાં આંતરિક ખેંચતાણા અને કાદવ ઉછાળવાની પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે તે જ બતાવે છે કે જી. એસ. મલિક હાલ તો ડીજીપી બનવાની રેસમાં આગળ છે. જોકે હજુ બે મહિનાનો સમય બાકી છે 1989 બેચના રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય ને વયમર્યાદાની નિવૃત્તિ બાદ પણ ત્રણ મહિનાનું એકટેન્શન મળવામાં ઉપરવાળાની સહાય મળી જશે તેવી પણ ચર્ચા પોલીસ બેડામાં ચર્ચા રહી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ માટે થોભો અને રાહ જુઓ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ કોણ? આ પ્રશ્ન નો જવાબ ગુજરાતમાંથી કોઈ આપી શકે તેમ નથી. છેલ્લા છ મહિનાથી સતત રાજકીય નેતાઓ અને આઇએએસ અને આઇપીએસ અધિકારીઓમાં ચર્ચાનો વિષય રહ્યો છે. જોકે સી. આર. પાટીલના ઉત્તરાધિકારી તરીકેની પસંદગીમાં સતત વિલંબ થઈ રહ્યો છે. એક તબક્કે યુવા નેતા, ઓબીસી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી બનશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. બસ હવે એક સપ્તાહમાં જ જાહેર થશે તેવી ખબરો મીડિયામાં ચાલી. પાટીલના અનુગામીની પસંદગી થઈ શકી નથી. જે તે વખતે અનેક એવા કારણો આવ્યા. કેન્દ્રીય મંત્રી બનતા સીઆર પાટીલે પોતે પણ પદ છોડવાની ઈચ્છા જાહેરમાં વ્યક્ત કરી. આમ છતાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક નથી થઈ શકી તે વાસ્તવિકતા છે. રાજનેતાઓ, આઈએએસ કે આઈપીએસ ભાજપના પ્રદેશ પ્રમુખના નામ પર પહેલા ઉત્સાહથી ચર્ચા કરતા હતા. પણ હવે કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે હાલ નવા પ્રદેશ પ્રમુખનું નામ કેન્દ્ર સરકારના આતંકવાદીઓના સામેના એક્શન પછી જ જાહેર થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સૌ હવે બોલતા થયા છે ભજનના પ્રદેશ પ્રમુખ માટે થોભો અને રાહ જુઓ.
કોંગ્રેસ ભાજપ પાસેથી કંઈક શીખી ખરી...!
સામાન્ય રીતે કોંગ્રેસ સતત પોતાની ભૂલોને કારણે ગુજરાત અને દેશમાં સમેટાઇ જવા તરફ આગળ વધી રહી છે. અનેક વખત એકની એક ભૂલ કોંગ્રેસ કરતી રહી છે. જોકે કાશ્મીર પર આતંકવાદીઓના હુમલાની ઘટના પછી સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ પણ કહી રહ્યા છે કે પહેલીવાર કોંગ્રેસ ભાજપ પાસેથી શીખી હોય એવું લાગી રહ્યું છે. આ વખતે પહેલીવાર કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલા સંદર્ભમાં કેન્દ્ર સરકારની સીધી ટીકા કરી નથી. વિપક્ષને છાજે એ રીતે આતંકવાદીઓ સામે પગલાં ભરવા કેન્દ્ર સરકારને સીધું સમર્થન આપ્યું છે. ભૂતકાળમાં આતંકવાદી કે હિન્દુત્વની વાતમાં કોંગ્રેસ ભાજપની રણનીતિમાં ફસાઈ જતી હતી. પણ પહેલીવાર ભાજપ કરતા એક સ્ટેપ આગળ વધીને કોંગ્રેસ દ્વારા આતંકવાદીઓ અને તેમની પ્રવૃત્તિઓનો જાહેરમાં વિરોધ કરાયો. કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલાના દિવસે જ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં કેન્ડલ માર્ચ કરાઈ અને આતંકવાદીઓનો વિરોધ કરાયો.
રિવોલ્વરના લાઈસન્સની ભલામણ લઈને આવ્યા તો ખેર નથી
આજકાલ સામાન્યથી માંડીને વગદાર વ્યક્તિઓ રિવોલ્વર રાખવાનો શોખ ધરાવે છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારની રીલ બનાવી પણ જમાવતા. જોકે હવે રિવોલ્વર નું લાઈસન્સ લેવું અઘરું બન્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં અનેક ધારાસભ્યો અને ભાજપના નેતાઓ રિવોલ્વરના લાઈસન્સની ભલામણ લઈને આવતા હોય છે. જોકે તમામ નિરાશ થઈને પાછા ફરે છે. ગૃહરાજ્ય મંત્રી કોઈને નિરાશ નથી કરતા પણ સ્પષ્ટ રીતે કહી દે છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ નવું લાઈસન્સ ઇશ્યૂ થયું નથી. હું તો હથિયારના લાયસન્સ ઘટે તે માટે કામગીરી કરવાનું વિચારી રહ્યો છું. ધારાસભ્ય કે નેતા લાઇસન્સ માટેની ભલામણ લઈને આવ્યા હોય તો તેમને ગૃહરાજ્ય મંત્રી કહી દે છે કે, એક પણ લાઈસન્સ નવું ઇસ્યુ થશે તો તમે જેની ભલામણ લઈને આવ્યા છો તેનું પણ લાઈસન્સ બની જશે. હથિયારના પરવાના માટે સાપ પણ ન મરે અને લાઠી પણ ન તૂટે તેવી નીતિ સરકારે અપનાવી છે.
ધારાસભ્યોને સપના આવવા લાગ્યા
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી સતત મંડ્યા રહો... સ્વામી વિવેકાનંદના આ સૂત્રને અત્યારે ભાજપના ધારાસભ્યો અનુસરણ કરી રહ્યા છે. મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે, આપણો નંબર મંત્રી બનવામાં લાગશે કે દાદાના મંત્રીમંડળમાં કોને પડતા મુકાશે.. તેની સતત ચિંતા ભાજપના ધારાસભ્યો કરી રહ્યા છે. કેટલાક ધારાસભ્યોને તો મંત્રી બનવા અને પોતે શપથ ગ્રહણ કરી રહ્યા છે તેવા સપના પણ આવવા લાગ્યા છે. સચિવાલયમાં મંગળવાર હોય એટલે ધારાસભ્યોનો દિવસ પ્રજાના કામો લઈને ધારાસભ્યો સચિવાલય આવે છે. પણ છેલ્લા કેટલાય વખતથી મંગળવારે ધારાસભ્યોમાં એક જ ચર્ચા ચાલતી હોય છે દાદાના મંત્રીમંડળમાં ફેરફાર ક્યારે. કોનું પત્તું કપાશે અને કોણ નવા મંત્રી થશે. ભૂલથી પણ કોઈ અધિકારી કે પત્રકાર ધારાસભ્યને કહે કે તમારો નંબર મંત્રીમંડળમાં લાગવાનો છે એટલે ધારાસભ્યનો દિવસ સુધરી જાય છે. ધારાસભ્યનો ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. જોકે હવે લાંબો સમય થતાં ધારાસભ્યો ના ચહેરા પર નિરાશા પણ જોવાય છે. છેલ્લા છ મહિનાથી મંત્રીમંડળ માં 60 -40 ના રેશિયામાં ફેરફારની ચર્ચા થાય છે. કેટલાક ધારાસભ્યોના મતે કોંગ્રેસમાંથી આવેલા સિનિયર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડા મંત્રી તરીકે પાકા છે. આ વાતથી મૂળ ભાજપના ધારાસભ્યો જ દલીલ કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને મંત્રી નહીં બનાવાય. આમ થાય તો ભાજપમાં ઉકળતો ચરૂ હોવાની દલીલ તેઓ જ વ્યક્ત કરે છે. નવયુવાન ચહેરાઓને મંત્રીમંડળમાં સામેલ થશે તેવી વાતો વહેતી થતાં નવયુવાન ધારાસભ્યો થોડીવાર માટે પોતે જ મંત્રી બની ગયા છે તેવો અહેસાસ અને વર્તન પણ કરી નાખે છે. સિનિયર IAS અને IPS અધિકારીઓ નેતાઓની આ મનોસ્થિતિ જોઈને હળવી કોમેન્ટ પણ કરી નાંખે છે, ભેંસ ભાગોળે અને છાશ છાગોળે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે