)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
સીઆરને થોડા સમય માટે CM તરીકેનો અહેસાસ
સત્તાના રાજકારણમાં કોઈપણ વ્યક્તિને મુખ્યમંત્રી બનવાની મહેચ્છાઓ હોઈ શકે. પણ બહુ ઓછાનો રાજયોગ હોય છે. તાજેતરમાં જ મહાત્મા મંદિરમાં યોજાયેલા સરપંચ સન્માન કાર્યક્રમમાં થોડા સમય માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની આ ઈચ્છા કદાચ પૂરી થઈ. મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર હોય ત્યારે મુખ્યમંત્રીના સંબોધન માટે અલગ પોડિયમ ઊભું કરવામાં આવે છે. સલામતીનો પ્રોટોકોલ પણ આ વાતનો આગ્રહ રાખે છે. સ્ટેજ ઉપર બે પોડિયમ હોય. એકમાં અન્ય તમામ સ્ટેજ ઉપરના મહાનુભવો પોતાનું પ્રવચન આપતા હોય છે. અને બીજા પોડિયમ પરથી માત્ર મુખ્યમંત્રી સંબોધન કરતા હોય છે. આ જ પ્રમાણે પ્રધાનમંત્રીનો પણ પોતાનો પ્રોટોકોલ હોય છે. જોકે સરપંચ સંમેલનમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે અલગ પોડિયમ પરથી સંબોધન કર્યું. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો વારો આવ્યો. મુખ્યમંત્રી માટે ઉભા કરાયેલા ખાસ પોડિયમ પરથી સી. આર. પાટીલ સંબોધન કરવા પહોંચી ગયા. અત્યારે ગુજરાતના રાજકારણમાં સૌથી શક્તિશાળી વ્યક્તિત્વ સી. આર. પાટીલે સંબોધન પણ કર્યું. આ દરમિયાન સ્ટેજની પાછળ અને સ્ટેજની આગળ થોડો ગણગણાટ થયો. પણ સીઆર પાટીલે પૂર્વ મંજૂરી સાથે મુખ્યમંત્રીના પોડિયમ પરથી પ્રવચન આપ્યું હશે તેવું સૌએ માની લીધું. ત્યાર પછી મુખ્યમંત્રીએ પણ એ જ જગ્યા ઉપરથી પોતાનું પ્રવચન આપ્યું. કાર્યક્રમમાં હાજર કેટલાક મંત્રી અને અધિકારીઓ અંદર અંદર ચર્ચા કરી કે, આજે સીઆર પાટીલને થોડા સમય માટે મુખ્યમંત્રી તરીકેનો અહેસાસ પણ થયો હશે. અને એટલે જ સરપંચોને સી.આર.પાટીલે ગામના મુખ્યમંત્રી ગણાવ્યા હશે.
દાદાની સરકારમાં કામ વગર પગાર લેતા મંત્રી
સામાન્ય રીતે કામ નહીં તો વેતન નહીં.. ની વાત પ્રચલિત છે. જોકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં કામ વગર પણ પગાર મંત્રીને મળે છે. રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ આનું ઉત્તમ ઉદાહરણ છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે તેમના પુત્રોની ધરપકડ પણ થઈ ચૂકી છે. આ ઘટનાથી છેલ્લા અઢી ત્રણ મહિનાથી મંત્રી બચુ ખાબડ સચિવાલય તેમના કાર્યાલય કે કેબિનેટ બેઠકમાં પણ હાજરી આપતા નથી. તેમના જ વિભાગના સરકારી કાર્યક્રમમાંથી પણ તેઓની બાદબાકી કરવામાં આવી રહી છે. સરપંચ સંમેલનમાંથી પણ તેમનું નામ અને ફોટો બાકાત રખાયો. તેમના જ વિભાગના અધિકારીઓમા ચર્ચા શરૂ થઈ છે કે મંત્રીને કામ કરે કે ન કરે પણ પગાર મળે છે. મંત્રી તરીકેના લાભો પણ કામ કર્યા વગર મળે છે. એક ઉચ્ચ અધિકારીએ ચર્ચામાં ત્યાં સુધી કીધું કે કામ વગર મંત્રીને પગાર એ કોઈ નવી વાત નથી. રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીને પણ મંત્રી તરીકેના તમામ લાભો મળે છે. પુરુષોત્તમ સોલંકી પણ લાંબા સમયથી કેબિનેટ બેઠક કે તેમના કાર્યાલયમાં આવતા નથી.
CM ને પોતાની ચેમ્બરમાં જોઈ આઈએએસ અધિકારી ગભરાયા
તમે જ કલ્પના કરો કે કોઈ IAS અધિકારી પોતાની ચેમ્બરમાં ફોન પર વાત કરતા હોય અને તેમની સામે ચેમ્બરમાં મુખ્યમંત્રી પોતે આવીને ઊભા રહે તો શું સ્થિતિ થાય. આ માત્ર કલ્પના નથી પણ વાસ્તવિકતા છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે ફરજ બજાવતા વિક્રાંત પાંડેની પણ આવી સ્થિતિ સર્જાઈ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એકાએક વિક્રાંત પાંડેની ચેમ્બરમાં પહોંચી ગયા. આ સમયે વિક્રાંત પાંડે ફોન પર વાત કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ જોઈને ચોકી ગયા. સેકન્ડો માટે તો સ્તબ્ધ થઈ ગયા. તરત મુખ્યમંત્રીને આવકારી શું થયું તે જાણવાનો પ્રયત્ન કર્યો. જોકે મુખ્યમંત્રીએ તો સરપ્રાઈઝ આપવા માટે જ આવ્યા હતા. મુખ્યમંત્રી અધિકારી સાથે તેની ચેમ્બરમાં બેસીને શાંતિથી હસતા ચહેરે વાતચીત કરી. કામ કેવું ચાલે છે કોઈ મુશ્કેલી છે કે કેમ તે સંદર્ભે પણ ચર્ચા કરી. થોડીવારમાં ચેમ્બરમાંથી ભુપેન્દ્ર પટેલ રવાના થયા. જોકે વિક્રાંત પાંડેના મગજમાં અનેક સવાલો ઉપસ્થિત થયા હશે. જોકે મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાના સિનિયર અધિકારી અવંતિકા સિંગ સાથે પણ આ સંદર્ભે વાત કરી. આઈએએસ અધિકારી વિક્રાંત પાંડે મુખ્યમંત્રીની સાદગી અને પોતાના અધિકારીઓ માટેની લાગણી જોઈને પ્રભાવિત પણ થયા.
પોલીસનો ‘વિકાસ‘ છ મહિના ચાલુ રહેશે, કેન્દ્રમાંથી ‘સહાય’ મળી
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન આપી દેવામાં આવ્યું છે. જોકે આ એક્સટેન્શન પાછળ ભજવાયેલા નાટક ચર્ચાનો વિષય વધુ બન્યો છે. છેક છેલ્લી ઘડી સુધી આ રાજ્યના પોલીસ વડાના પદ પર બેઠેલા વિકાસ સહાય નિસહાય હોવાનો અહેસાસ ઊંચ્ચ પોલીસ અધિકારીઓ અને સમગ્ર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો. એક તરફ સમગ્ર દિવસ દરમિયાન વિકાસ સહાયને એક્સટેન્શન મળશે કે નહીં મળે તેની ચર્ચા ચાલી. પોલીસ ભવનમાં વિકાસ સહાયની ફેરવેલની તૈયારીઓ શરૂ થઈ. સાંજના 6 વાગ્યાના ટકોરે ફેરવેલ માટે પોલીસ બેન્ડ સહિત પોલીસ જવાનો ગોઠવાઈ ગયા. વિકાસ સહાયની ચેમ્બરમાં પણ તમામ ઉચ્ચ અધિકારીઓ મળવા આવતા ગયા. છેલ્લે ફેરવેલ નહીં આપવાનો નિર્ણય લેવાયો. જોકે ત્યાં સુધી લેખિત આદેશ નહોતો આવ્યો. 6:30 વાગે વિકાસ સહાય પોતે નીકળ્યા ત્યારે તેવો પણ કહેતા ગયા કે ‘હું ઓર્ડરની રાહ જોઉં છું’. આ જ સ્થિતિ કદાચ સહાયની નિસહાયતા બતાવી ગઈ. ચોક્કસ મોડી રાત્રે છ મહિનાના એક્સટેન્શન આપવાનો આદેશ આવી ગયો. જોકે આદેશ પછી એક્સટેન્શન આપવાની રીત અને પોલીસ વડાના પદની ગરિમા સામે સવાલો પણ ઊભા થયા.
મંત્રીએ બે હાથ જોડી બદલીઓમાં પડવાનો ઇન્કાર કર્યો
નર્મદા, જળ સંપતિ અને કલ્પસર વિભાગના કર્મચારીઓની એક દિવસની કાર્યશાળા ગાંધીનગરમાં યોજાઇ. આ કાર્યક્રમમાં હાજર જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે પોતાના જ પ્રવચનમાં સિનિયર અધિકારીઓની હાજરીમાં કહી દીધું કે, હું ક્યારેય બદલીમાં પડતો નથી. તેમણે બે હાથ જોડીને કહું છું બદલીના કામ હું કરતો નથી. જોકે તેઓએ આ વર્કશોપમાં નર્મદા નિગમમાં કોઈ ઈજનેર કામ કરવા તૈયાર ન હોય તે વાતનો પણ ઉલ્લેખ કર્યો. ફરજિયાત રીતે દરેક ઇજનેર એ નર્મદામાં કામ કરવું જ જોઈએ અને આ પ્રકારે દરેકની એક વખત નર્મદા નિગમમાં બદલી કરવાની ટકોર પણ મંત્રીએ કરી. ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિથી અધિકારીએ કામ કરવું જોઈએ. મંત્રીએ અધિકારીઓને તેમના નામે કોઈ કશું કામ કે રૂપિયા માંગે તો સીધો જ ફોન કરવાની ટકોર પણ કરી. ‘ઓફિસમાં બેસીને નહીં પણ ફિલ્ડ વર્ક કરવા’ પર ભાર મૂક્યો.