)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
રાજનીતિના રણનીતિકાર ગણાતા પ્રશાંત કિશોરને ગુજરાતના મંત્રીએ ફોન કર્યો
બિહાર ચૂંટણીના પરિણામો આવી ગયા છે. પ્રશાંત કિશોરને પણ ખબર પડી ગઈ છે કે તેઓ કિંગ મેકર બની શકે છે, પણ જાતે કિંગ બનવા જાય તો તેમના શું હાલ હવાલ થાય. જોકે ચૂંટણી દરમિયાન પ્રશાંત કિશોર છવાયો રહ્યો હતો. આ ચૂંટણી દરમિયાન જ ગુજરાતના એક મંત્રીને ભૂતકાળમાં પ્રશાંત કિશોર સાથે કરેલી કામગીરી યાદ આવી. રાજ્ય સરકાર દ્વારા જ એ કામગીરી દરમિયાન પ્રશાંત કિશોરને ગુજરાતની સીરિઝવાળો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો. આ નંબર મંત્રીના મોબાઈલમાં સેવ હતો. એટલે મંત્રીને વિચાર આવ્યો કે પ્રશાંત કિશોરનો આ નંબર ચાલુ છે કે નહીં તે ચેક કરી લઈએ. મંત્રીએ પ્રશાંત કિશોરને તેમના જૂના નંબર પર ફોન કર્યો. આ નંબર ઉપર રીંગ વાગી. એટલે મંત્રીને ખબર પડી કે પ્રશાંત કિશોરનો એ નંબર હજુ ચાલુ છે. જોકે બિહારની ચૂંટણી સમયે આ રીતે ફોન કરીશ તો તેમના માટે ખોટું પડશે એટલે એક જ રિંગે મંત્રીએ ફોન કાપી કાઢ્યો. ગુજરાતમાંથી અનેક ભાજપના નેતાઓ ભૂતકાળમાં પ્રશાંત કિશોર સાથે કામગીરી કરી ચૂક્યા છે અને આ વખતે પણ ચૂંટણી પ્રચારમાં ગયેલા કેટલાક નેતાઓ ચૂંટણી દરમિયાન આમને સામને આવી જતા એકબીજાના ખબર અંતર પણ પૂછ્યા હતા.
CR ને દાદા અને JV ભુલ્યા.. તો CR એ હિસાબ બરાબર કર્યો
બિહારની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો. ભાજપને પણ કલ્પના ન હોય તેટલી બેઠકો મળી. બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો. સ્વાભાવિક છે કે આ જીતનો જશ્ન ગુજરાતમાં પણ મનાવવામાં આવે. કમલમ કાર્યાલય પર ફટાકડા ઢોલ નગારા સાથે બિહાર જીતની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ કરી જીતમાં સહભાગી થયા. આમ પણ બિહાર જીત પાછળ ગુજરાતનો સૌથી મોટો હાથ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતીઓનો સિંહ ફાળો છે. જોકે આ ઉપરાંત ગુજરાતમાંથી 2000 થી વધુ કાર્યકર અને નેતાઓ બિહારમાં ચૂંટણી પ્રચાર સહિતની કામગીરી માટે ગયા હતા. બિહારના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા પણ ગુજરાતી છે. છેલ્લા પાંચ વર્ષની તેમની મહેનતે પણ મહત્વની ભૂમિકા ભજવી. બિહારના સહ પ્રભારી તરીકે પણ પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલના કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પણ મહત્વની ભૂમિકા રહી છે. કહેવાય છે કે બિહારની 29 જેટલી જીતવી મુશ્કેલ બેઠકોની જવાબદારી સહ પ્રભારી સીઆર પાટીલને સોંપાઈ હતી. ગુજરાતની જેમ જ બિહારમાં પણ સી. આર. પાટીલનું નસીબ અને મહેનત રંગ લાવ્યા. 29 માંથી 28 બેઠકો પર એનડીએની જીત થઈ. જોકે કમલમ કાર્યાલય પર દાદા અને પ્રદેશ પ્રમુખની પ્રેસ કોન્ફરન્સમાં બિહારના સહ પ્રભારીના નામનો ઉલ્લેખ પણ ન થયો. સ્વભાવિક છે કે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને બધો યશ જાય. જોકે પૂર્વ પ્રમુખના નામનો ઉલ્લેખ તો કરી શકાય. પણ આમ ન થયું. ભાજપમાં ચર્ચા એ જોર પકડ્યું છે કે એટલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતમાં સુરત એરપોર્ટ ઉપર બિહારવાસીઓના કાર્યક્રમનું આયોજન કરી સી. આર. પાટીલે હિસાબ બરાબર કરી લીધો. પ્રધાનમંત્રીના અગાઉ નિયત કાર્યક્રમમાં બિહારવાસીઓ સાથેની મુલાકાતનું આયોજન ન હતું. જોકે છેલ્લી ઘડીએ આયોજન કરી સી. આર. પાટીલે વિરોધીઓ સાથેનો હિસાબ બરાબર કરી લીધો.

મુખ્યમંત્રી સમક્ષ સિનિયર મંત્રીઓએ હૈયા વરાળ કાઢી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સૌમ્ય અને મૃદુ સ્વભાવ માટે જાણીતા છે. દર વર્ષે દિવાળી બાદ તેઓ તેમની ટીમના સભ્યોને તેમની ચેમ્બરમાં જઈને મળે છે. આ વખતે મંત્રીમંડળની રચના પછી દિવાળી બાદ પહેલી વખત મુખ્યમંત્રી તેમની ટીમના સભ્યોને તેમની ચેમ્બરમાં જઈને મળ્યા. કેટલાક મંત્રીઓએ મુખ્યમંત્રી પોતાની ચેમ્બરમાં આવતા ઉમળકો બતાવ્યો, તો કેટલાક મંત્રીઓએ ન કહેવાની વાત કહીને પોતાની હૈયા વરાળ પણ કાઢી. એક મંત્રીએ પોતાના ખાતામાં મોટા પાયે ફેરફાર હોવાથી અત્યારે વિભાગો સમજી રહ્યા હોવાની વાત કહી. પોતાના વિભાગોમાં બદલાયેલા ફેરફારોથી નાખુશ હોવાના સંકેત આપ્યા. જ્યારે કેટલાક મંત્રીઓએ પોતાને ખૂબ અઘરા વિભાગો આપી દીધા હોવાની વાત પણ કરી. જોકે મુખ્યમંત્રીએ સૌને શાંતિથી સાંભળ્યા. મુખ્યમંત્રી એ પણ મંત્રીઓનો ઉત્સાહ વધે તેવા શબ્દો કહી મંત્રીઓને પોતાની ટીમના એક મહત્વપૂર્ણ સભ્યો હોવાનો અહેસાસ કરાવ્યો. મુખ્યમંત્રીએ એક મંત્રીની ચેમ્બરમાં દિવાલ તોડી ગ્લાસ નાંખવાની ભલામણ કરી. તો બીજા મંત્રીને આપવામાં આવેલા વિભાગો ખૂબ મહત્વના હોવાથી તમારા જેવા કાબેલ મંત્રીને આપ્યા હોવાની વાત કરી હતી.
ગુજરાતનો કપાસ પકાવતા ખેડૂત IAS અધિકારીને શોધી રહ્યા છે
સૌથી આશ્ચર્ય થાય તેવી ઘટના મંત્રીમંડળમાં ખાતા ફાળવણીની છે. રાજ્યના કપાસ પકાવતા ખેડૂતો માટે મંત્રી, મંત્રાલય કે આઈએએસ અધિકારી નથી. કપાસ કૃષિ વિભાગ અંતર્ગત આવે છે. જોકે કપાસ પકવતા ખેડૂતો માટે ટેકાના ભાવે વેચવા સંદર્ભે ગુજરાત સરકારમાં મંત્રી કે મંત્રાલય કે અધિકારી નથી એ વાસ્તવિકતા છે. સામાન્ય રીતે ટેકાના ભાવે કપાસ કેન્દ્રમાં ટેક્સટાઇલ મંત્રાલય અંતર્ગત આવે છે. ગુજરાતમાં આ પ્રકારનું કોઈ મંત્રાલય નથી. જેના કારણે કપાસ પકવતા ખેડૂતને અન્યાય સહન કરવો પડે છે. ગુજરાતમાં કપાસની ટેકાના ભાવે ખરીદીનો મુદ્દા પર રજૂઆત કરવી મુશ્કેલ બને છે. ભૂતકાળમાં કૃષિ મંત્રી તરીકે રાઘવજી પટેલ હતા, ત્યારે પણ આ જ સ્થિતિ હતી. પણ રાઘવજી પટેલ ટેકાના ભાવે કપાસની ખરીદીમાં પોતાનામાં ન આવતું હોવા છતાં મધ્યસ્થી કરતા હતા. જોકે એ વખતે પણ કોઈ આઈએએસ ઓફિસર કપાસની ટેકાના ભાવની વાતમાં હાથ મુકવા દેતા ન હતા. જોકે આ વખતે ટેકાના ભાવ કરતાં કપાસના બજાર ભાવ ખૂબ ઓછા છે, તેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે, પણ ગુજરાતમાં કપાસ ખરીદી કેન્દ્રો પૂરતા નથી, કોઈ ધ્યાન આપતું નથી તેવી ફરિયાદ ભાજપની જ ભગીની સંસ્થા કિસાન સંઘે પણ કરી છે. કૃષિ વિભાગના IAS અધિકારી સ્પષ્ટપણે ટેકાના ભાવે કપાસની ખરીદી પોતાનામાં આવતી નથી એવું કહીને હાથ અદ્ધર કરે છે.
IPS ઓફિસરની કચેરીમાં મુકાયેલા ફાટેલા તૂટેલા સોફાએ ચર્ચા જગાવી
ગુજરાતમાં અત્યારે સાયબર ક્રાઇમ ક્ષેત્રે ખૂબ સુંદર કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ કરી રહી છે. કર્મયોગી ભવનના સાતમા માળે આ કચેરી આવેલી છે. કરોડો રૂપિયાના સાયબર ક્રાઇમ કે સાઇબર ફ્રોડના ગુના ઉકેલી ગુનેગારોને પકડે છે. કરોડો રૂપિયા બચાવ્યો પણ છે અને લોકોને પાછા પણ અપાવે છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખરેખર એક્સેલન્ટ કામગીરી કરે છે. આ કચેરીમાં IPS દરજ્જાના અધિકારીઓ બેસે છે. જોકે કચેરીમાં મુલાકાતીઓ માટે કરવામાં આવેલી બેસવાની વ્યવસ્થા ચર્ચાનો વિષય બની છે. આ કચેરીમાં મુકાયેલા સોફા તૂટી અને ફાટી ગયેલા છે. સોફાની સ્પ્રિંગ સોફા પર બેસે તેને સીધી જ વાગે એવી છે. લાંબા સમયથી આ સ્થિતિ હોવા છતાં તેમાં કોઈ ફેરફાર નથી થતો. કદાચ લોકોના કરોડો રૂપિયા બચાવતા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને બજેટની સમસ્યા હોઈ શકે. જો કે રાજ્ય સરકારની કચેરીની આ સ્થિતિ એક્સેલન્સ પણ બની શકે.