)
Gandhinagar News : ગાંધીનગરમાં ત્રણ લોકોના સામુહિક આત્મહત્યાનો કિસ્સો હચમચાવી દે તેવો છે. પેટ્રોલ પંપના માલિકે બે દીકરીઓ સાથે આત્મહત્યા કરી. શુક્રવારે રાત્રે ધીરજ રબારી આધાર કાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, જતા જતા 10 વર્ષની દીકરી જાનવી અને 7 વર્ષની દીકરી જીયાને પણ સાથે લઈને નીકળ્યા હતા. પરંતું એ માસુમ દીકરીઓને ખબર ન હતી કે, પપ્પા તેમને મોત તરફ લઈ જઈ રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી પોતાની બંને દીકરીઓ સાથે ગઈકાલથી ગુમ હતા. 7 નવેમ્બરના રોજ સવારે તેઓ બંને દીકરીઓને લઈ આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. પંરતું મોડી સાંજ સુધી ઘરે પરત ફર્યા ન હતા. તેમનો ફોન પણ બંધ આવતો હતો. તેથી પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ત્રણેયના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જેના બાદ આજે શનિવારે સવારે બંને દિકરીઓ 10 વર્ષની દીકરી જાનવી અને 7 વર્ષની દીકરી જીયાની લાશ કલોલ મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી. તો સાંજે 4.30 બાદ ધીરજનો પણ મૃતદેહ મળી આવ્યો છે. તપાસમાં સામે આવ્યુ કે, ધીરજભાઈએ બંને દીકરી જીયા અને જાનવી સાથે કેનાલમાં પડતુ મૂકીને આપઘાત કર્યો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ધીરજ રબારી કલોલના બોરીસણા ગામે પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં ધીરજભાઈ, તેમની પત્ની, બે દીકરીઓ અને માતાપિતા છે. મોડી રાત સુધી તેઓ પરત ન ફરતા પોલીસે તેમના ગાડીનું લોકેશન અને મોબાઈલના લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ધીરજભાઈની ગાડી શેરીસા નર્મદા કેનાલ પાસે મળી આવી હતી. આ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતું લાશ કેનાલમાંથી મળી ન હતી. કલોલ તાલુકા પોલીસ મથકના પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બંને દીકરીઓનો મૃતદેહ મળી આવ્યો હતો.
સાંજે ધીરજનો મૃતદેહ મળ્યો
સામુહિક આપઘાતમાં ઘટનામાં ધીરજ રબારીનો પણ મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ રબારી સમાજમાં શોકનું ફરી વળ્યું છે. કેનાલની બહાર સગા-સંબંધીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
ધીરજને વડસર ઉપરાંત અન્ય બે જગ્યાએ પેટ્રોલ પંપ હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતું સુખી સંપન્ન પરિવારના હોવા છતાં ધીરજે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.