)
Gondal News : રક્ષાબંધન પહેલા ગોંડલના બિલીયાળા ગામના હિરપરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વીજ કરંટની ઘટનામાં પિતા અને પુત્રનું એકસાથે મોત નિપજ્યું છે. જેને કારણે બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો. આમ, હીરપરા પરિવારે મોભી અને વ્હોલસોયા ભાઈને ગુમાવ્યાથી હૈયાફાટ રુદન કર્યું.
ગોંડલના બિલીયાળા ગામે વિજકરંટ લાગતા પિતાપુત્રના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. બિલીયાળા ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા પિતાપુત્રને ઓરડીમાં વિજકરંટ લાગતા મોત નિપજવાની ઘટનાથી ચકચાર મચી ગઈ ચે. પિતાપુત્રને વાડીની ઓરડીમાં જોરદાર વિજકરંટ લાગતા ફંગોળાઈ જવાની એકસાથે મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં ભીખાભાઈ ભોવનભાઈ હિરપરા (ઉ.વ.55) અને ક્રિસ ભીખાભાઈ હિરપરા (ઉ.વ.19) ના મોત નિપજ્યા છે. મૃતક પુત્ર ક્રિશ રાજકોટ આત્મિય કોલેજમાં BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની સાથે બે બહેનોને એકનો એક ભાઈ હતો. રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નિપજતા બહેનોમાં પણ હૈયાફાટ રૂદન જોવા મળ્યું.
બિલીયાળા ગામે મૃતકના પરિવારજનોમાં હૈયાફાટ રૂદન સાથે ગ્રામજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો. ભીખુભાઈના પરિવારમાં હવે તેમના પત્ની અને બે દીકરી જ રહ્યા છે. જો કે, બંને દીકરીના લગ્ન થઇ ગયા છે.
બંને મૃતદેહોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તો ગોંડલ તાલુકા પોલીસ,પીજીવીસીએલ સહિતના ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી. તો બીજી તરફ, ઘટનાની જાણ થતાં સ્થાનિક અગ્રણી ગણેશસિંહ જાડેજા, બીલયાળા સરપંચ દીપકભાઈ(લાલો) રૂપરેલીયા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, યાર્ડના વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.