)
Rajkot News : વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા, ગોપાલ ઈટાલિયા આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે મા ખોડલના દર્શનાર્થે પહોંચ્યા હતા. સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ અને સમર્થકો દ્વારા બેન્ડબાજા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે ખોડલધામના મુખ્ય દરવાજે પહોંચતા જ ટ્રસ્ટીઓ દ્વારા હાર પહેરાવીને ગોપાલ ઈટાલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગોપાલ ઈટાલિયા મોટી સંખ્યામાં ઉપસ્થિત પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે પગપાળા મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં બ્રાહ્મણો દ્વારા તેમને કંકુ તિલક કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટીઓ દ્વારા ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું.
જે રસ્તા નીકળ્યા છે, ત્યાંથી પાછા નહિ ફરીએ
દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, વિસાવદરના મતદાતાઓના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા બાદ આજે પ્રથમ વખત કુળદેવી મા ખોડલના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અમે ગુજરાત માટે જે સંઘર્ષ કરી રહ્યા છીએ, તે માર્ગ પરથી ક્યારેય પાછા ન પડીએ અને નિરાશ થયા વગર ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ. તે માટે ખેડૂતો, રત્ન કલાકારો, પશુ પાલકોનું જીવન સુખમય બને તેવા આશીર્વાદ માંગ્યા છે."
મંદિરમાં તેઓને ભૂતકાળમાં ગૃહમંત્રી ઉપર કરાયેલા હુમલા અંગે સવાલ કરાયો હતો. જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, મંદિરમાં રાજકારણ નહિ કરું. હું અહીં માતાજીનો દીકરો બનીને આવ્યો છું, તેથી રાજકારણની કોઈ ચર્ચા કરીશ નહીં. આ અમારા કુળદેવી છે અને હું તેમના આશીર્વાદ અને માર્ગદર્શન લેવા આવ્યો છું. મને વિશ્વાસ છે કે માતાજી અમને સારો રસ્તો બતાવશે, હિંમત આપશે અને ગુજરાતના ગામડાઓ અને ખેડૂતોનું ભલું કરવા માટે અમને નિમિત્ત બનાવશે.

મંદિરમાં ઇટાલિયાએ માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી. બ્રાહ્મણોએ તેમને કંકુ તિલક કર્યું. ખોડલધામ ટ્રસ્ટે ખેસ પહેરાવી તેમનું સન્માન કર્યું. આ તેમની ધારાસભ્ય બન્યા બાદની પ્રથમ ખોડલધામ મુલાકાત હતી.