સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાક તરીકે મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે. હાલમાં મગફળીનો પાક તૈયાર થવા આવ્યો છે, પરંતુ પાકની કાપણી પહેલાં જ મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. વરસાદ બાદ જ્યારે જમીન પોચી બને છે ત્યારે મુંડા જીવાત મગફળીના મૂળને ખાઈ નાખે છે, જેના કારણે છોડ સુકાઈ જાય છે અને ઉત્પાદન ઘટી જાય છે.

અશોક બારોટ/જુનાગઢ: જુનાગઢ સહિતના વિસ્તારોમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે. કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચ વીઘામાં વાવેલા પાકમાંથી ત્રણ વીઘાનો પાક બગડી ગયો છે. તેઓ સરકારને અપીલ કરી રહ્યા છે કે નિષ્ણાતોની ટીમ બનાવીને રોગના નિયંત્રણ માટે પગલાં લેવાય.
કૃષિ વૈજ્ઞાનિક જી.આર. ગોહિલના જણાવ્યા મુજબ વાવેતરની શરૂઆતમાં ક્લોરોનો ઉપયોગ ન કરવાના કારણે આ સમસ્યા વધી છે. ખેડૂતોને ખેતરની આજુબાજુના ઝાડની વધારાની ડાળીઓ કાપવાની, પેસ્ટિસાઈડ છાંટવાની અને જો મુંડા દેખાય તો પંપમાં ક્લોરો નાખીને છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે જમીન ઓછી પોચી રહે અને તાત્કાલિક પિયત આપવાથી જીવાત પર નિયંત્રણ મેળવી શકાય છે.
જો સમયસર યોગ્ય સલાહ અને પગલાં લેવાશે તો પાકનું નુકસાન અટકાવીને ઉત્પાદન બચાવી શકાય તેમ છે.