)
Gujarat Politics News : હાલ ગાંધીનગરમાં એક જ ચર્ચા થઈ રહી છે કે, મંત્રીમંડળ બદલાશે કે નહિ. આ એક ચર્ચાને કારણે કેટલાક મંત્રીઓમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. આજથી શરૂ થઈ રહેલા શ્રાદ્ધ પક્ષમાં તો કોઈ નિર્ણય નહિ આવે, પરંતુ તેના બાદ ગુજરાત સરકારનું આખેઆખું મંત્રીમંડળ બદલાઈ જશે, તો કેટલાક કપાશે અને કેટલાક રહી જશે તેવી ચર્ચાઓ જ ચારેકોર થઈ રહી છે. આવામાં એક નવી અફવાએ સ્થાન જમાવ્યું છે.
આવતીકાલથી મળી રહેલા 3 દિવસીય ગુજરાત વિધાનસભાના સત્ર બાદ સરકારમાં મોટી ઉથલપાથલ થાય તેવા એંધાણ છે. સાથે એ પણ કાનાફૂસી થઈ રહી છે કે, બે-ચાર નહિ, પરંતું એક ડઝનથી વધુ મંત્રીઓને ઘરભેગા કરવામાં આવી શકે છે. તો સરકારના માનીતા બે-ચાર મંત્રીઓ જ રહેશે. આ સાથે જ નવા ચહેરાઓને સ્થાન અપાય તેવી શક્યતાઓ વધી છે.
ગુજરાત વિધાનસભાના આવતીકાલથી મળી રહેલા 3 દિવસીય ચોમાસું સત્ર બાદ સરકારમાં મોટી ઉથલપાથલની શક્યતા છે. ગ્રહણ બાદ અનેક મોટા ચહેરાઓની કારકિર્દીમાં ફેરફાર થઇ શકે છે. ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ છેલ્લાં ત્રણેક વર્ષથી મંત્રીમંડળ યથાવત્ત છે. તેમાં કોઇ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી. ત્યારે આ કારણે ભાજપ નવાજૂની કરે તો નવાઈ નહિ. તેમા પણ દિલ્હી હાઈકમાન્ડ તરફથી જેમ સંકેતો મળી રહ્યા છે, તે પણ મંત્રીમંડળના ફેરબદલ પર મોટા ઈશારા કરી રહ્યા છે. હંમેશા ચૂંટણીના મોડમાં જ રહેતા ભાજપે 2027 ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. જેથી ભાજપે અત્યારથી જ જાતિના તાણાવાણા અને નેતાઓનો દબદબો જોતા અનેક નવામંત્રીઓને સ્થાન આપવા માટેની તૈયારી કરી લીધી હતી. જેના પગલે હાઇકમાન્ડે પણ હવે મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હાલ સૌથી મોટો ઝટકો લાગે તેવી વાત એ છે કે, હાલના મંત્રીમંડળમાંથી એક ડઝન જેટલા મંત્રીઓને પડતા મુકાઇ શકે છે. જેમાં કેબિનેટ કક્ષાના ચારથી પાંચ અને રાજ્યકક્ષાના પાંચથી છ મંત્રીઓનો સમાવેશ થાય છે. હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની કુલ સંખ્યા 17 છે. નિયમ મુજબ કુલ 26 મંત્રીઓને સ્થાન આપી શકાય તેમ છે.
જે મંત્રીઓના પત્તા કપાવાની ચર્ચા છે, તેમાં બચુ ખાબડ ટોપ પર છે. કારણ કે, બંને દીકરાઓના મનરેગા કૌભાંડને કારણે સરકારની છબી ખરડાઈ છે. આ કારણે તેમને પહેલાથી જ સરકારી કાર્યક્રમો અને કેબિનિટ બેઠકો તથા હવે વિધાનસભાના સત્રમાંથી પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે બચુ ખાબડનું નામ અગ્રેસર છે. આ ઉપરાંત કેટલાક મંત્રીઓ સરકારની કામગીરી પર ખરા ન ઉતર્યા તેમને પણ ઘરભેગા કરવામાં આવી શકે છે.
ગુજરાત સરકારમાં ધરખમ ફેરફાર થશે. નવા મંત્રી મંડળમાં પસંદગી માટે તમામ પાસા જોવાશે. ચોમાસું સત્ર પછી કેબિનેટમાંથી ડઝનેક મંત્રીઓના સ્થાને નવા પીઢ ચહેરાઓને તક મળવાની સંભાવના છે.
નવા મંત્રી કોણ બનશે
હવે મોટી ચર્ચા એ પણ છે કે, નવા કયા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરી શકાય છે, તો આવામાં ભાજપમાં લાંબી લાઈન લાગેલી છે. યુવા ચહેરાને તક મળી શકે છે. તેમજ સારી ઈમેજ ધરાવતા અને લોકસંપર્કમાં માહેર ધારાસભ્યોને તક મળી શકે છે. સાથે જ કોરી ઈમેજ ધરાવતા નેતાઓને પણ મંત્રીપદ મળી શકે છે. જે નામ હાલ ચર્ચાઈ રહ્યા છે, તેમાં જયેશ રાદડિયા, હાર્દિક પટેલ, હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઇ, સંગીતા પાટીલ, અર્જુન મોઢવાડિયા છે.