)
Gujarat Cabinet Reshuffle : અમિત શાહના ગુજરાત પ્રવાસના પહેલા દિવસે રાજકારણના અલગ અલગ રંગ જોવા મળ્યા. આ એક દિવસમાં એકસાથે એટલું બધુ થયું કે, ભાજપમાં નવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. અમિત શાહનું પાટીલના ઘરે ડીનર, શંકર ચૌધરીનું અચાનક સુરત દોડી જવું અને રાજકોટમાં બંધબારણે નેતાઓ સાથેની અમિત શાહની બેઠક વગેરેથી હવે રાજકારણમાં કંઈક નવાજૂની થશે તેવી શક્યતા પ્રબળ બની છે. પરંતું આ વચ્ચે એક મોટા સમાચાર ચર્ચા જગાવી રહ્યા છે. એ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. એક દિવસના તેમના દિલ્હી પ્રવાસમાં ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીને તખ્તો ગોઠવાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
મુખ્યમંત્રી આજે દિલ્હીના પ્રવાસે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે દિલ્હી પ્રવાસ ગોઠવાયો છે. દિલ્હીમાં તેઓ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજર રહેશે અને મોડી રાત્રે જ મુખ્યમંત્રી પરત ફરશે. ત્યારે આવામાં ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારની કેબિનેટનું વિસ્તરણ અથવા ફેરબદલ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રિ દરમ્યાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના દેખાઈ રહી છે .
ગુજરાત ભાજપમાં કંઈક મોટાપાયે હલચલ થઈ રહી છે અને આ હલચલ જલ્દી જ કંઈક નવાજૂની સર્જશે. ગુજરાતમાં શાહનાં ડિનર અને ડિપ્લોમસી, માસ્ટર સ્ટ્રોકની અસરો હવે પછી વર્તાશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અમિત શાહની બેઠકોથી ગુજરાતમાં ભાજપના નવા સંગઠનની રચના અને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ઘણાં સમયથી ચાલતી હવા સાવ શાંત પડી હતી, તેવા સંજોગોમાં આ હલચલ ફરી જીવંત થઈ છે.
અમિત શાહે સોમવારે ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક સૂચક બેઠકો કરી. જેનાથી ભાજપમાં અંદરખાને ચર્ચા શરૂ થઈ છે. પહેલા તો રવિવારે રાત્રે શાહ સુરત પહોંચીને ત્યાંથી પાટીલના નિવાસસ્થાને ગયા હતા. અહીં તેમણે પાટીલના પરિવારજનો અને તેમના અંગત લોકો સાથે રાત્રિભોજન લીધું હતું. તેમણે સુરતમાં ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે બંધબારણે એક કલાક સુધી ચર્ચા કરી હતી. આ પછી શાહ રાજકોટમાં પણ તેમણે સંગઠનના નેતાઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, હાલમાં સક્રીય કરાયેલા નેતાઓ ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી તેમજ સ્થાનિક સહકારી ભાજપ આગેવાનો સાથે એક વિસ્તૃત બેઠક કરી હતી.
ત્યારે શાહની આ બેઠક ભાજપના રાજકારણમાં કોઇ માસ્ટર સ્ટ્રોક જેવી ગણાઇ રહી છે, જેની અસરો હવે પછી દેખાશે. સુરત અને રાજકોટમાં શાહે કરેલી બેઠકો મંત્રીમંડળના વિસ્તરણ કે સંગઠન સિવાય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાની રણનીતિક ગોઠવણોને લઇને હોઇ શકે છે.
ઉપરથી આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જઈ રહ્યા છે. તેથી ચર્ચા છે કે, મુખ્યમંત્રી મંત્રીમંડળના ફેરબદલના લિસ્ટને લઈને દિલ્હી જશે અને તેના બાદ જલ્દી જ કોઈ જાહેરાત થઈ શકે છે.