)
Gujarat government's relief for jewelers: ગુજરાતનો હીરા ઉદ્યોગ હાલમાં મંદીના ગંભીર દોર માંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે અનેક રત્નકલાકારોએ તેમની રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે. આ બેરોજગાર રત્નકલાકારોને રાહત આપવા માટે, સરકારે મે મહિનામાં એક રાહત પેકેજની જાહેરાત કરી હતી, જેમાં તેમનાં બાળકોને સ્કૂલ ફી પેટે સહાય આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ જાહેરાત અંતર્ગત 31 માર્ચ, 2024 પછી છૂટા કરાયેલા બેકાર રત્નકલાકારોને જ રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ સહાય માટે ડેટા તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
50,241 બાળકોની ફી પેટે ₹65.59 કરોડની ચૂકવણી
રાહત પેકેજ હેઠળ, કુલ 50,241 બાળકોની સ્કૂલ ફી પેટે ₹65.59 કરોડ ની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. આ સહાયમાં એક વર્ષ માટે ફીના 100 ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી માટે મહત્તમ ₹13,500 ની મર્યાદામાં સહાય જાહેર કરવામાં આવી છે. સુરતમાં રત્નકલાકારોના બાળકોની ફી પેટે આ કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.
74,268 અરજીઓમાંથી 47,599 પ્રમાણિત
આ સહાય મેળવવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને કુલ 74,268 અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓ ભલામણ ફોર્મ માટે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલવામાં આવી હતી. એસોસિએશને ચકાસણી કર્યા બાદ, કુલ 47,599 અરજીઓને ભલામણ પત્ર આપીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત કરી હતી, જે પ્રમાણિત ગણાઈ છે.
26,669 ફોર્મ્સ પર નિર્ણય બાકી
કુલ 74,268 અરજીઓમાંથી, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 26,669 ફોર્મ્સ માટે ભલામણ કરવામાં આવી ન હતી, કારણ કે તે ક્રાઇટેરિયા (માપદંડ) બહારના હતા. હવે, કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાનારી મીટિંગમાં આ 26,669 અરજીઓ વિશે ચર્ચા કરવામાં આવશે અને તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. સરકારનું આ પગલું હીરા ઉદ્યોગની મંદીના સમયમાં બેરોજગાર બનેલા રત્નકલાકારોના પરિવારોને આર્થિક ટેકો પૂરો પાડશે.