)
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ 9 નવેમ્બરથી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવી મુખ્ય ખેતી પાકોની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવશે.
કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પાકો બરબાદ થતાં ખેડૂતો પર આર્થિક ભારણ વધ્યું છે. એવા સમયમાં સરકાર દ્વારા આ નિર્ણય ખેડૂતો માટે એક મોટા આશ્વાસન સમાન છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સરકાર કાર્યરત છે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત…
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 5, 2025
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે. ખેડૂતોના પાકને યોગ્ય ભાવ મળે અને મધ્યસ્થીઓ દ્વારા શોષણ ન થાય તે માટે ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા નિર્ધારિત ખરીદી કેન્દ્રો પર પાકોની ખરીદી શરૂ થશે અને ખેડૂતોને સીધા તેમના ખાતામાં ચુકવણી કરવામાં આવશે.
સરકાર ખેડૂતોની સાથે છે અને દરેક સ્થિતિમાં તેમની આર્થિક સુરક્ષા માટે કટિબંધ છે. આ જાહેરાત બાદ ખેડૂતોમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જાહેરાતથી ખેડૂતોને પાકના યોગ્ય ભાવની ખાતરી મળશે તેમજ કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા લાવવા મદદરૂપ થશે. સરકારના આ પગલાને કૃષિ વિકાસ માટે એક સકારાત્મક દિશા તરીકે જોવામાં આવી રહી છે.