)
Geniben Thakor Support Vickram Thakor : ગાંધીનગરમાં કલાકારોના સન્માન બાદ વિવાદ વધી રહ્યો છે. ઠાકોર સમાજની નારાજગી સામે આવી રહી છે. ત્યારે કલાકારોના વિવાદમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું ટ્વિટ સામે આવ્યું છે. ગેનીબેને કહ્યું કે, આ માત્ર અવગણના નહી, પક્ષપાતનો પુરાવો છે. ભાજપ સરકાર ઠાકોર સમાજની પ્રતિભાને અવગણે છે. સમાજના કલાકારોના નિર્ણયને મારુ સમર્થન રહેશે.
ગાંધીનગર વિધાનસભામાં લોકકલાકારોને બોલાવીને તેમનું સન્માન કરાયુ હતુ. પરંતુ આ સન્માન સમારંભમાં ઠાકોર સમાજના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને ન બોલાવતા વિવાદ થયો છે. વિક્રમ ઠાકોરે કલાકારોના સન્માનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે ગેનીબેને વિક્રમ ઠાકોરના સમર્થનમાં ટ્વીટ કર્યુ છે.
— Geniben Thakor (@GenibenThakor) March 14, 2025
ગેનીબેને શું કહ્યું....
ગેનીબેને ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ ઠાકોર સમાજના એકપણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નહીં. આ માત્ર અવગણના નથી, પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે. ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઈ છે. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે, તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું.
ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં બોલાવેલ કલાકારોમાં ઠાકોર સમાજના કલાકરોની અવગણના મામલે સંસદ ગેંનીબેન ઠાકોરે કહ્યું કે, વિધાનસભામાં કલાકારોને બોલાવીને અભિવાદન કર્યું પરંતુ ગુજરાતના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળ્યું. વિક્રમ ઠાકોરનું કહેવું છે કે મને ન બોલાવ્યો એનું દુઃખ નથી પણ ઠાકોર સમાજના એકપણ કલાકારને ન બોલાવ્યો એનું દુઃખ છે. હું માનું છું કે નિર્ણય લેવા વાળાની ,બોલાવવા વાળાની કે આમંત્રણ આપવાવાળાની સૌના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ઓછો દેખાયો છે.સમ દ્રષ્ટિ ઓછી દેખાઈ છે. લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરાતા હોય ત્યારે નિર્ણય લેવા વાળાઓ ઉણા ઉતર્યા છે અથવા તો તેમની ભાવના અને પ્રેમ કોઈ સમાજ માટે ઓછો દેખાયો છે તેવું મને લાગે છે.
કલાકારોનો કોઈ જ્ઞાતિ ધર્મ નથી હોતો - કીર્તિદાન ગઢવી
વિધાનસભામાં આમંત્રણ ન મળવાને લઈને વિક્રમ ઠાકોરની નારાજગી તૂલ પકડી રહ્યો છે. ત્યારે વિક્રમ ઠાકોરની નારાજગી મામલે લોકગાયક કીર્તિદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. પરંતુ કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી. કલાએ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે. વિધાનસભામાં કોઈને કોઈ આમંત્રણ નહોતું. સહજ આમંત્રણના આધારે બધા કલાકરો વિધાનસભા પહોંચ્યા હતા.
ઠાકોર સમાજના કલાકારોનો સમ્માન નાં કર્યું એ મને ખોટું લાગ્યું: વિક્રમ ઠાકોર
ગુજરાતના લોક કલાકારો વિધાનસભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે અને લોકોના સવાલો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જોવા માટે પહોંચ્યા હતા. જ્યાં કલાકારોનું શંકર ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના લોક કલાકારોમાં કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર, કિંજલ દવે,ગીતા રબારી,રાજભા ગઢવી, સહિતના હાજર રહ્યાં હતા. જોકે, વિક્રમ ઠાકોર નારાજ થયા હતા. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે દરેક સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા, પણ મારે સરકારનું કહેવું છે કે ઠાકોર અને ક્ષત્રિય સમાજમાં પણ સારા સારા કલાકારો છે. આજે મને બહુ દુખ થયું છે. ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી. ઠાકોર સમાજના નેતાઓએ વિરોધ કરવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ. ઠાકોર સમાજના કલાકારોનો સમ્માન નાં કર્યું એ મને ખોટું લાગ્યું છે. આજે હું સમાજના કલાકારોની વાત કરવા માટે આવ્યો છું.