)
Gujarat Boycott Turkey : પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને ટેકો આપવા બદલ ગુજરાતમાં તુર્કી અને અઝરબૈજાનનો ખુલ્લેઆમ બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગુજરાતના ટુર ઓપરેટરોએ બંને દેશોના પ્રવાસીઓ પાસેથી બુકિંગ ન લેવાનો નિર્ણય લીધો છે. પાછલા વર્ષોમાં, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં ગયા હતા.
તુર્કીનો બહિષ્કાર કરાયો
ગુજરાતમાં તુર્કીયનો ખુલ્લો બહિષ્કાર સામે આવ્યો છે. ગુજરાતના ટુર ઓપરેટરોએ તુર્કી તેમજ અઝરબૈજાનનો બહિષ્કાર કર્યો છે. ગુજરાતના ટૂર ઓપરેટર્સ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ અઝરબૈજાન અને તુર્કી (તુર્કી) પાસેથી બુકિંગ લેશે નહીં. કારણ કે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આ બંને દેશોએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. તુર્કીનું કમાન હાલમાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના હાથમાં છે.
બીજા દેશોમાં જવા સમજાવીએ છીએ - ટુર ઓપરેટર
ભારત પાકિસ્તાન યુદ્ધને લઇ અનેક ટૂર સંચાલકોએ પાકિસ્તાનને ટેકો આપતા અઝરબૈજાન અને તુર્કીના ટૂર પેકેજ બોયકોટ કર્યા છે. આ વિશે ટુર ઓપરેટર સતીષ વઘાસીયાએ જણાવ્યું કે, સુરતમાં અનેક ટુર્સ સંચાલકોએ સ્વેચ્છિક બંને દેશોના ટુર બોયકોટ કર્યા છે. અઝરબૈજાનઅને તુર્કીના ટુર પેકેજ બુક નહીં કરવા અનેક ટૂર સંચાલકોએ નિર્ણય ક્રયો છે. સંચાલકો તુર્કી અને અઝરબૈજાન જેવા અન્ય પ્રવાસી સ્થળો પર લોકોને પ્રવાસ માટે સમજાવી રહ્યા છે. આ બંને દેશોની સરખામણી જેવા જ અનેક એવા પ્રવાસી સ્થળો છે. બીજા દેશ કરતા ભારતમાં લોકો ફરવા જાય તેવી અપીલ કરવામાં આવે છે.
તુર્કીના ડ્રોનનો ભારત પર હુમલામાં ઉપયોગ
ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર દરમિયાન નિયમિત બ્રીફિંગ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત સામે તુર્કી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, અઝરબૈજાન અને તુર્કી બંનેએ ભારતના હિતોની વિરુદ્ધ જઈને પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તાજેતરના વર્ષોમાં, ગુજરાતના હજારો પ્રવાસીઓ અઝરબૈજાનના બાકુ અને તુર્કીની મુલાકાત પ્રવાસીઓ તરીકે લઈ આવ્યા છે. તુર્કીમાં ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા એટલી વધારે છે કે તાજેતરના વર્ષોમાં તુર્કીએ અમદાવાદમાં રોડ શોનું આયોજન કર્યું હતું.
સીધી સેવાની જાહેરાત કરવામાં આવી હતી
છેલ્લા કેટલાક વર્ષોમાં બાકુમાં ગુજરાતી પ્રવાસીઓનો પ્રવાહ એટલો વધ્યો છે કે અઝરબૈજાન એરલાઇન્સે તાજેતરમાં અમદાવાદ અને બાકુ વચ્ચે સીધી હવાઈ જોડાણ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. દરમિયાન, ગુજરાતના ટુર ઓપરેટરોએ બુકિંગ ન લેવાનો નિર્ણય લીધો છે. જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે, લગભગ તમામ ટૂર પેકેજો રદ કરવામાં આવ્યા છે. જ્યારે ટૂર ઓપરેટરોએ કેટલાક કિસ્સાઓમાં રિફંડ અને અન્ય કિસ્સાઓમાં ક્રેડિટ નોટ્સ જારી કર્યા છે, તો બીજી તરફ, આ સિઝનમાં મુસાફરી કરવા માંગતા લોકો પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે.
દેશના પ્રવાસન ઉદ્યોગ પર પડી માઠી અસર
ભારત-પાક યુદ્ધ સ્થિતિના કારણે પ્રવાસન ઉદ્યોગ પર અસર જોવા મળી છે. ઉત્તર ભારત પ્રવાસ માટે જનાર પ્રવાસીઓ ટુર રદ્દ કરાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશ જનાર 30 ટકા, ઉત્તરાખંડ અને સિક્કિમ, રાજસ્થાન બોર્ડર અરુણાચલના 15 ટકા પ્રવાસો રદ્દ થવાની સ્થિતિએ છે. પહેલગામ ઘટના બાદ કાશ્મીર ટુરને પહેલા જ ફટકો પડી ચૂક્યો છે. પરંતું હવે લદ્દાખ, ચંદીગઢ સહિતના સરહદી વિસ્તારના એરપૉર્ટ બંધ થતા પ્રવાસીઓ ટુર રદ્દ કરી રહ્યા છે. યુદ્ધની સ્થિતિમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ ડરી રહ્યા હોવાથી પ્રવાસ કેન્સલ કરાવી રહ્યા છે. લોકો એર ફેર જતું કરીને પણ પ્રવાસ રદ્દ કરાવી રહ્યાં છે.
ટુર ઓપરેટર એન્ડ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના મુજાલ ફિટરે જણાવ્યું કે, ટુર ઓપરેટરોને ઉનાળુ વેકેશન સીઝન માથે પડી છે. ગુજરાતના ટુર ઓપરેટરો અને પ્રવાસનને અંદાજે ૫૦૦ કરોડથી વધારેનું નુકસાન થયું છે. હોટલ અને રિસોર્ટમાં ખાસ ડિસ્કાઉન્ટ હોવા છતાં ખાલી રહેતાં માલિકોને આર્થિક નુકસાની થઈ છે. ગુજરાતના હોટલ અને રીસોર્ટના 60 ટકા બુકીંગ કેન્સલ થયા છે. જુલાઇમાં શરુ થનારી અમરનાથ યાત્રામાં પ્રવાસી શ્રદ્ધાળુઓ ઘટવાની વકી છે.