)
Gujarat Model ; ગુજરાત મોડલને અડધા દેશમાં લાગુ કરવાના સરકારના પ્લાનિંગ હોય છે, પરંતુ હવે તો દીવા તળે અંધારાનો ઘાટ સર્જાયો છે તેવું લાગે છે. કારણ કે, કરોડોના ખર્ચા છતાં ગુજરાતની નદીઓ પ્રદૂષિત છે. શુદ્ધીકરણના નામે તંત્રના તાયફા ચાલે છે. ચોંકાવનારી બાબત એ છે કે, અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી પણ પ્રદૂષિત છે.
કઈ કઈ 13 નદીઓ પ્રદૂષિત છે
સાબરમતી નદીનો રાયસણથી વૌઠા, અમલાખાડી નદીમાં અંકલેશ્વર પાસે, ભાદરમાં જેતપુર પાસે, ધાદર કોઠાડા પાસે, ખારી નદીમાં લાલી ગામ તેમજ વિશ્વામિત્રી નદીમાં ખલીપુર ગામ પાસેનો પટ્ટ અત્યંત પ્રદૂષિત કેટેગરીમાં છે. ખારી, વિશ્વાસમિત્રી, તાપી, અમલાખાડી, ધાદર, મિંઢોળા, મહી, શેઢી વગેરેનો સમાવેશ કરાયો છે.
ગુજરાતની નદીઓ દૂષિત હોવાનું સામે આવ્યું છે. વધતુ જતુ શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે નદીઓ દૂષિત બની રહી છે. સરકાર પણ આ મામલે બેધ્યાન છે. આ નદીઓના આંકડાથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર સવાલો પેદા થાય છે. કારણ કે, ગટરનું પાણી નદીમાં ભળી જવું. ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી છોડવું વગેરે કારણોસર નદીઓ દૂષિત થઈ રહી છે.
આ નદીઓ એટલી હદે દૂષિત થઈ ગઈ છે કે, તેના પાણીને પણ અડશો તો તમને અસંખ્ય બીમારીઓ લાગુ થઈ જશે. પ્રદૂષણને કારણે નદીઓ મેલી થઈ ગઈ છે. આ નદીઓમાં બીઓડી લેવલ વધારે મળી આવ્યું છે. અમદાવાદની સાબરમતી નદી પણ પ્રદૂષિત થવાથી અલગ નથી. અહી બીઓડી લેવલ 292 આવ્યું છે. ખારી નદીમાં લાલી ગામ પાસે ૧૯૫, વિશ્વામિત્રી નદીમાં ખલીપુર ગામ પાસે ૩૮ જેટલું બીઓડી લેવલ છે.
નદીઓના સંરક્ષણ અને પ્રદૂષણ ઘટાડવાની યોજના પાછળ ૧૮૭૫.૨૯ કરોડ રૂપિયાની યોજના દ્વારા રોજનું ૬૮૭ મિલિયન લીટર પ્રતિદિન સીવેજના પાણીની ટ્રીટમેન્ટ કરાય છે. છતાં ગુજરાતની નદીઓ પ્રદૂષિત છે.