)
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં અમુક કલાકારોને રાજ્ય સરકારે મુલાકાત માટે બોલાવ્યા હતા. જેમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવતા તે નારાજ થયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે વિવિધ ફિલ્મ કલાકારોને વિધાનસભા માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં કેટલાક કલાકારોએ આજે વિધાનસભાની મુલાકાત લીધી હતી. વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે હાજર રહેવાના નથી.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર વિક્રમ ઠાકોર હજુ પણ સરકારથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, વિધાનસભામાંથી તેમને આમંત્રણ મળ્યું છે કે નહીં, એ અંગેની અટકળો હજુ ચાલી રહી છે. હિતુ કનોડિયાએ સ્પષ્ટ કહ્યું કે, આમંત્રણ અપાયું છે પણ આવશે તેનું કન્ફર્મેશન નથી. જ્યારે ઠાકોર સમાજના નેતાજીએ આ મામલાને અપમાન ગણાવી આમંત્રણ જ નથી અપાયુંનો ખુલાસો કર્યો.
આમંત્રણ મળ્યું છે, પણ જઈશ નહીં: વિધાનસભામાં આમંત્રણ અંગે વિક્રમ ઠાકોરનું નિવેદન #Gujarat #BreakingNews #News #VikramThakor pic.twitter.com/F1vc9uMG4I
— Zee 24 Kalak (@Zee24Kalak) March 26, 2025
હવે ખુદ વિક્રમ ઠાકોરે ઝી 24 કલાક સાથે વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે, સરકાર તરફથી તેમને આમંત્રણ મળ્યું છે પણ કેટલાક કારણોસર તેઓ જવાના નથી. આજે દિગ્ગજ કલાકારો જઈ આવ્યા હવે વિક્રમ ઠાકોર માટે વટનો સવાલ છે. થોડા દિવસો પહેલાં ક્ષત્રિય ઠાકોર સમાજે સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભામાં કલાકારોને બોલાવી સન્માન કરવાનો આઈડિયા હવે સરકાર માટે ગળાનો ગાળિયો બની ગયો છે. જેની અસરો લાંબાગાળા સુધી રહેશે.
આ કલાકારોએ આજે વિધાનસભાની લીધી મુલાકાત
સરકાર દ્વારા વિવિધ કલાકારોને આમંત્રણ આપવાનું કામ હિતુ કનોડિયાને સોંપવામાં આવ્યું હતું. આજે વિધાનસભામાં હિનેત કુમાર, મલ્હાર ઠાકર, પૂજા જોશી, ભવ્ય ગાંધી, સિદ્ધાર્થ રાંદેડિયા સહિતના કલાકારોએ હાજરી આપી હતી.