)
Amit Khunt Suicide Case : રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે.
સ્યૂસાઈડ નોટમાં અલગ અલગ અક્ષરો!
રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટની સ્યૂસાઈટ નોટમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. તેની સ્યૂસાઈડ નોટનો FSL રિપોર્ટ આવી ગયો છે. સ્યૂસાઈડ નોટમાં જે છેલ્લું પેજ હતું, તેના અક્ષર મેચ અન્ય પેઈજ સાથે મેચ ન થયા હોવાનુ રિપોર્ટમાં ખુલાસો થયો છે.
FSL રિપોર્ટમાં 3 પેજમાં અક્ષર અલગ અને ચોથા પેજમાં પણ અક્ષર અલગ જણાયા છે. પેજમાં લખાણ લખ્યું હતું કે, ‘હું અનુભાના દબાણથી ગળેફાંસો ખાઉં છું. રિદ્ધિ પટેલ અને રાજદીપના ત્રાસથી મરુ છું.’ તો ચોથા પેજમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિતના નામો લખેલા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, “FSL રિપોર્ટ મળ્યો છે, પરંતુ હાલ તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો જાહેર કરી શકાય તેમ નથી”
સરકારી વકીલની નિમણૂંક કરાઈ
રાજ્ય સરકારે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશ્યલ PP ની નિમણૂંક કરી છે. એડવોકેટ ચેતન શાહની અમિત ખૂંટ કેસમાં સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અમિત ખૂંટ પરિવારને સ્પેશિયલ PP ફાળવવા રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ગોંડલ કોર્ટમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ ચાલી રહ્યો છે, જેમાં અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપ સિંહ જાડેજા મુખ્ય આરોપી છે. ત્યારે હવે અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહની મુશ્કેલીઓ વધી શકે છે.
5 મેના રોજ અમિત ખૂંટે કરી હતી આત્મહત્યા
ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અનિરુદ્ધસિંહ જાડેજાને પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો આપ્યો આદેશ
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કાયદાના સકંજામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં એક મહત્વનો આદેશ આપ્યો છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. એટલું જ નહિ, અનિરુદ્ધસિંહે રોજેરોજ હાજરી પુરવવાની રહેશે. તેમજ પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે તેવું પણ જણાવાયું.