ચૈતર વસાવાનું સ્ફોટક નિવેદન : હું જંગલનો વાઘ છું, સર્કસનો વાઘ નથી, ક્યારેય ભાજપમાં નહિ જોડાઉ!
Chaitar Vasava News :આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં અસંખ્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં, આ તકે સંબોધન કરતા ચૈતર વસાવાએ ભાજપ પર સણસણતા પ્રહાર કર્યા
Trending Photos
)
Gujarat Politics : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઉભરી આવેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, ભાજપ પ્રધાનમંત્રીને નરેન્દ્ર મોદીને ડેડિયાપાડા લાવી રહ્યું છે. ભાજપ તેમને મેં સ્થાપિત કરેલી પ્રતિમાને માળા ચઢાવવા માટે મજબૂર કરી રહી છે. બધા મારા પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ હું ખુલ્લા જંગલમાં ફરતો વાઘ છું. હું મુક્તપણે ફરું છું. હું સર્કસ વાઘ બનવા માંગતો નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા, આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપ ખોટા કેસ દાખલ કરીને તેમનું સ્થાન નીચે લાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતું હું કહી દઉં કે હું જંગલનો વાઘ છું. હું સર્કસ વાઘ નહીં બની શકું. હું ક્યારેય ભાજપમાં નહિ જોડાઉં. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લેવાના છે. અને ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. ત્યારે તે પહેલા ચૈતર વસાવાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે.
ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ સતત સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે ગઈકાલે રવિવારે ચૈતર વસાવાએ દાહોદમાં બીજી સભા સંબોધી હતી. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાને નિશાન બનાવીને રાજકીય ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. દાવો કરાયો છે કે કવાંટ તાલુકાના આથાડુંગરી ગામે આયોજિત સભામાં ભાજપના 5000 અને કોંગ્રેસના 3000 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોએ બંને પાર્ટીઓ છોડીને AAPમાં સામેલ થઈ ગયા હતા.
ભાજપના એક લાખ કાર્યકર્તાઓને આપમાં જોડીશ
વસાવાએ એમ પણ કહ્યું કે, મને ભાજપમાં જોડવા માટે અનેક નેતાઓ દબાણ કરી રહ્યા છે, પરંતુ તેઓ મને ભાજપમાં જોડવાનો ટાર્ગેટ રાખતા હોય તો મારો પણ ટાર્ગેટ છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા ભાજપના એક લાખ કાર્યકરોને આપમા જોડીશ.
ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપ તેમના પર પાર્ટીમાં જોડાવા માટે દબાણ કરી રહી છે. ચતર વસાવાએ દાવો કર્યો હતો કે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો તમામ વિસ્તારોમાં સફાયો થઈ જશે.
ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આથા ડુંગરી ગામે ગુજરાત જોડો જન સભા અભિયાન દરમિયાન જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું, હજારો લોકો જોડાયા અને જનસભાને સંબોધન કર્યું તથા ડુંગર ગામ પંચાતમાં 40 વર્ષે સરપંચ રહી ચૂકેલ ભાંગીયાભાઈ રાઠવા, રતનસિંહ રાઠવા આથાડુંગરીના પૂર્વ સરપંચ, તમામ પંચાયતના સભ્યો સાથે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા તથા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી વિનુભાઈ રાઠવાની ઉપસ્થિતિમા ભાજપ કોંગ્રેસ અને BTP માંથી 8000 થી વધુ લોકો આપમા જોડાયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે












