)
ગાંધીનગરઃ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાને ખોટી રીતે ખેડૂત બન્યા હોવાના કેસમાં ઈડર મામલતદાર અને કૃષિ પંચે નોટિસ ફટકારી છે. પ્રાપ્ત વિગત અનુસાર ઓગણજની સર્વે નંબર 719/3ની જમીનના ખેડૂત રમણભાઈ ઈશ્વરભાઈ પટેલની સરનેમ વિનાનો ખેડૂત ખરાઈનો દાખલો રજૂ કરી પાલજ અને ઈડર પાસે દાવડ ખાતે જમીનો ખરીદી હતી.
ખોતા ખેડૂત હોવાનો પર્દાફાશ થયા બાદ તંત્રએ પગલાં ભર્યાં છે. મામલતદારે આગામી 11 સપ્ટેમ્બરે મણ વોરાના પત્ની કુસુમબેન વોરા, બંને પુત્રો સુહાગ અને ભૂષણને હાજર થવાની નોટિસ આપી છે. આ સાથે દાવડની જમીનના જૂના ખાતેદારોને પણ હાજર રહેવાની નોટિસ આપવામાં આવી છે. રમણ વોરાને કારણે અન્ય ખાતેદારોને પણ કોર્ટમાં હાજર રહેવાની ફરજ પડી છે.
આ કલમને આધારે નોટિસ ફટકારી
તંત્રએ ગણોતધારાની કલમ 63 (ક) (ઘ) ના આધારે નોટિસ ફટકારી છે. આ નોટિસ પ્રમાણે ઈડર દાવડની રીસરવે નંબર 549, 581, 551 અને 548ના વેચાણમાં ગણોતધારાનો ભંગ કરી ખેડૂત ન હોય તેવી વ્યક્તિની તરફેણમાં જમીન તબદીલ કરવામાં આવે છે. આ વહીવટને કાયદેસર કરવાનો નિર્ણય કરવા કે જમીનને મૂળ સ્થિતિમાં લઈ જવા માટે કાર્યવાહી કરાશે. આ માટે 9 પક્ષકારોને પૂરાવા સાથે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.