)
નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ભરવા માટે લોકોને હવે ટોલ પ્લાઝા પર લાઈનમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં. NHAI દ્વારા પ્રમોટેડ કંપની ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL)એ બેરિકેડ વગરનો ટોલ પ્લાઝા બનાવવા માટે ICICI બેંક સાથે કરાર કર્યો છે. ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ NH-48 પર સ્થિત ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે દેશના પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.
NHAI ચાલુ નાણાકીય વર્ષમાં 25 રાષ્ટ્રીય ધોરીમાર્ગોને MLFF બનાવવા માંગે છે
આ બેરિકેડ વગરના ટોલ પ્લાઝા તરફ એક મોટું પગલું છે, જે ફાસ્ટેગ દ્વારા રોકાયા વિના ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શક્ય બનાવશે. ગુજરાતમાં ચોર્યાસી ટોલ પ્લાઝા દેશનો પ્રથમ બેરિકેડ વગરનો ટોલ પ્લાઝા હશે. આ ઉપરાંત NH-44 પર સ્થિત હરિયાણાના ઘરૌંડા ટોલ પ્લાઝા ખાતે મલ્ટી-લેન ફ્રી ફ્લો આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવા માટે ICICI બેંક સાથે કરાર કરવામાં આવ્યો છે. NHAI ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 25 રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ પ્લાઝા પર મલ્ટી-લેન ફ્રી ફ્લો આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવાની યોજના ધરાવે છે, જેના માટે ટોલ પ્લાઝા ઓળખવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નવી ટોલિંગ સિસ્ટમ વધુ કાર્યક્ષમ
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંતોષ કુમાર યાદવે જણાવ્યું હતું કે મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટેનો આ કરાર દેશમાં ટોલિંગના વિકાસ અને આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તે વધુ કાર્યક્ષમ, પારદર્શક અને યુઝર ફ્રેન્ડલી ટોલિંગ ઇકોસિસ્ટમનો પાયો નાખશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કામગીરીમાં ટેકનોલોજી-આધારિત પરિવર્તનના અમારા વિઝન સાથે સુસંગત હશે અને દેશભરમાં તેને અપનાવવાનો માર્ગ મોકળો કરશે.
MLFF સિસ્ટમ કેવી રીતે કામ કરશે ?
મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ એ બેરિકેડ વગરની ટોલિંગ સિસ્ટમ છે જે હાઈ-પરફોર્મન્સ RFID રીડર્સ અને ANPR કેમેરા દ્વારા ફાસ્ટેગ અને વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર (VRN) રીડ કરીને ટ્રાન્જેક્શનને સક્ષમ બનાવે છે. આ ટોલ પ્લાઝા પર વાહનોને રોક્યા વિના નોન-સ્ટોપ ટોલ કલેક્શનને સક્ષમ બનાવે છે, જેનાથી ભીડ અને મુસાફરીનો સમય ઓછો થાય છે. વધુમાં તે ઇંધણ કાર્યક્ષમતામાં વધારો કરે છે અને ઉત્સર્જન ઘટાડે છે. મલ્ટી-લેન ફ્રી ફ્લોના અમલીકરણથી ટોલ રેવન્યુ કલેક્શનમાં સુધારો થશે અને દેશભરમાં એક સ્માર્ટ, ઝડપી અને કાર્યક્ષમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક બનાવવામાં પણ મદદ મળશે.