)
Mehsana News તેજસ દવે/મહેસાણા : એક બે વર્ષનું નહિ પણ 100 વર્ષનું પંચાંગ. એક વર્ષનું પંચાંગ બનાવવું પણ શાસ્ત્રીઓ માટે મુશ્કેલ હોય છે ત્યારે અહીં તો 100 વર્ષનું પંચાંગ બનાવવામાં આવ્યું છે. જૈન સમાજના અરવિંદસાગર સૂરીશ્વરજી એકસાથે 100 વર્ષનું પંચાંગ બનાવ્યું છે.
મહેસાણાના સીમંધર સ્વામી તીર્થનીમાં રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શ્રી સીમંધર સ્વામી પ્રત્યક્ષ પંચાંગના શતવર્ષીય શાસ્ત્રાર્થ” ગ્રંથના ચાર ભાગોનું વિમોચન કરવામાં આવ્યું છે. જેમાં 100 વર્ષ સુધીનું પંચાંગ જોઈ શકાશે.
દૈનિક જીવનમાં ધાર્મિક અને સામાજિક જીવનમાં શુભકાર્યો માટે યોગ્ય મુહૂર્તો પંચાગ મારફતે જોવામાં આવે છે અને એ પંચાગ બનાવા માટે ખૂબ મહેનત માગી લે છે. તજજ્ઞો દ્વારા મથામણ કરીને એક વર્ષનું પંચાંગ તૈયાર કરવામાં આવે છે. પરંતુ હવે આ શાસ્ત્રાર્થ પંચાંગ દ્વારા શતવર્ષીય એટલે કે 100 વર્ષ સુધી પંચાંગ 4 ભાગ જેમાં, 25 - 25 વર્ષ ના કુલ ચાર ભાગમાં જોઈ શકાશે. જે તારીખની વિગતો જે પેજ અને લાઈનમાં છે. તે જ વિગતો શાસ્ત્રાર્થ પંચાંગમાં પણ દર્શાવવામાં આવી છે. જેથી જરૂરી માહિતી ઘડીના છઠ્ઠા ભાગમાં મેળવી શકાય છે.
આ શાસ્ત્રાર્થ પંચાંગમાં દરેક શુભ-અશુભ યોગો, મહાપાતો, ગ્રહ લોપ -દર્શન, ગ્રહણ સહિતની ગણતરી મિનિટ મિનિટના આધારે સરળતાથી સમજાય તે રીતે તૈયાર કરવામાં આવી છે. જેનું આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ સહિત આચર્ય પણ જોડાયા હતા
આચાર્યદેવ અરવિંદસાગર સૂરીશ્વરજીએ 2020માં દક્ષિણ ભારતના પોંડિચેરીમાં સ્થિરતા દરમિયાન કોરોના મહામારીના સમયમાં આ શતવર્ષીય 100 વર્ષ શાસ્ત્રાર્થ પંચાંગની તૈયારી શરૂ કરી હતી. પાંચ વર્ષની મહેનત બાદ તેનું નિર્માણ પૂર્ણ થયું છે. આ પંચાંગ જૈન સંઘ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ઉપયોગી બને તેવા ભાવથી શતવર્ષીય શાસ્ત્રાર્થ પંચાંગનું નિર્માણ કર્યું છે. જેમાં આગામી 100 વર્ષના તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ સહિત પાંચ અંગોની સૂક્ષ્મ-પ્રત્યક્ષ માહિતી પંચાંગ ગણિત- શાસ્ત્રાર્થ સાથે રજૂ કરવામાં આવી છે. આવનારા 100 વર્ષ સુધી આ પંચાગ સમાજને દિશા આપતું રહેશે તે વાત ચોક્કસ છે