ગોપાલ ઈટાલિયાનો માસ્ટરસ્ટ્રોક : ભાજપનો 450 કાર્યકર્તાઓનો આખો સંઘ AAP માં લઈ ગયા
Gopal Italiya Effect : જય જવાહર ચાવડા બોલાવીને ગોપાલ ઈટાલિયા એમના જ ટેકેદારોને આમ આદમી પાર્ટીમાં લઈ જઈ રહ્યા છે. ભાજપના 450 થી વધુ ટેકેદારો આપમાં જોડાયા
Trending Photos
)
Junagadh BJP News : ગોપાલ ઈટાલિયાની જીતથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સજીવન થઈ છે. આ કારણે લોકોનો ભરોસો પાર્ટી તરફ વધ્યો છે. ગોપાલ ઈટાલિયાની સક્રિયતાને કારણે આમ આદમી પાર્ટી જલ્દી જ કોંગ્રેસને ગુજરાતમાં રિપ્લેસ કરી શકે તેવી સક્ષમ બનશે ખરી તે તો સમય અને રાજકારણનો પવન બચાવશે. પરંતુ હાલ ગોપાલ ઈટાલિયાને કારણે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવામાં જવાહર ચાવડાના ટેકેદારો જ આપમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે.
ભાજપના પૂર્વ મંત્રી અને હાલ હાંસિયામાં ધકેલાઈ ગયેલા જવાહર ચાવડાના ખાસ ટેકેદાર અને જિલ્લા પંચાયતના પ્રભારી રમેશ કોદાવલા અને જિલ્લા યુવા ભાજપ આગેવાન અંકિત કોદાવલા પોતાના 450 થી પણ વઘારે કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના હસ્તે ખેસ ધારણ કરીે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો. પ્રદેશ ભાજપાના કારોબારી સભ્ય અને સમસ્ત સગર સમાજના પ્રમુખે ભાજપ છોડતા પ્રદેશ ભાજપમા ભડકો થયો છે.
કયા કયા દિગ્ગજો ભાજપ છોડી આપમાં ગયા
ગત રોજ માળિયા મુકામે યોજાયેલ આમ આદમી પાર્ટીની સભામાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદાર અને પ્રદેશ ભાજપના આગેવાન રમેશ કોદાવલા, યુવા આગેવાન અંકિત કોદાવલા, તાલુકા ભાજપના મહામંત્રી કમલેશ કોદાવલા, ઉપપ્રમુખ ભીમશીભાઈ રામ, કાલિમ્ભડાના પૂર્વ સરપંચ અને દલિત સમાજના આગેવાન પ્રમજીભાઇ, વાંદરવડના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન રામભાઈ બાબરિયા, સરકડિયાના પૂર્વ સરપંચ ઉમેશ પટેલ, લાડુડીના પૂર્વ સરપંચ ભાયાભાઈ કોળી, દેવગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ પોલા, લાડુડીના પૂર્વ સરપંચ અંજાભાઈ ભગાભાઈ સહિત 450 થી વધારે ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત ગોપાલ ઈટાલિયાએ કર્યું.
આ પ્રસંગે ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, માળીયા ગામ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખુબ વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને આમ આદમી પાર્ટીને સહકાર આપવાનો સંકલ્પ કર્યો. આ જનસભા દરમ્યાન સગર સમાજના પ્રમુખ અને ભાજપના પ્રદેશ આગેવાન રમેશ કોદાવલા અને તેમના અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.
એક મહિના પહેલા પણ જવાહર ચાવડાના ટેકેદાર આપમાં ગયા હતા
માણાવદરના રાજકારણમાં નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. કારણ કે, હજી એક મહિના પહેલા જ માણવાવદરમાં જવાહર ચાવડાના ટેકેદાર જીવાભાઈ મારડિયા આપમાં જોડાયા હતા. ત્યારે હવે અન્ય ટેકેદારો સાથેનો આખો સંઘ ગોપાલ ઈટાલિયા સાથે ગયો છે. ત્યારે હવે ભવિષ્યમાં જવાહર ચાવડા ક્યારે આપના થાય તે જોવુ રહ્યું.
જવાહર ચાવડા ક્યાંક સામા પ્રવાહે વહીને જતા રહે તો નવાઈ ન કહેવાય
એક તરફ જવાહર ચાવડા ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા છે. તો બીજી તરફ, ગોપાલ ઈટાલિયાએ વિસાવદરની જીત પર જવાહર ચાવડાની જય બોલાની એક કાંકરે બે પક્ષી માર્યા હતા. આ બાદ જવાહર ચાવડાના ભાજપ છોડવાની વાતો વહેતી થઈ હતી. આ વચ્ચે તેમના ટેકેદાર પોતાના સમર્થકો સાથે આપમાં જોડાતા હવે જવાહર ચાવડાના આપમાં જોડાવાના સંકેત તરફ ઈશારો કરી રહ્યું છે. ત્યારે હવે માણાવદરના રાજકારણમાં જલ્દી જ નવાજૂની થાય તો નવાઈ ન કહેવાય. એમ પણ હાલ પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. આવામાં આમ આદમી પાર્ટીએ પોતાનું ગુજરાત જોડો અભિયાન વેગવંતુ બનાવ્યું છે. જેમાં રોજ અનેક લોકો જોડાઈ રહી છે. ત્યારે હવે આ મોસમમા જવાહર ચાવડા ક્યાંક સામા પ્રવાહે વહીને જતા રહે તો નવાઈ ન કહેવાય. એમ પણ તેઓ હાલ ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી ખુલીને બતાવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














