)
Junagadh News: જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાં રાજકીય ગરમાવો આવ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડાએ શરૂ કરેલા 'રોજગાર અભિયાન'ને લઈને હવે રાજકારણ ગરમાયું છે. ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા પર આ અભિયાનની જાહેરાત કરતા જ માણાવદરના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.
માણાવદરના વર્તમાન ધારાસભ્ય અને ડેરી ચેરમેનના આકરા પ્રહારો
ચાવડાની આ જાહેરાત બાદ માણાવદરના વર્તમાન ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ સંયુક્ત રીતે સોશિયલ મીડિયા પર લાઇવ થઈને જવાહર ચાવડા પર આકરા પ્રહારો કર્યા હતા. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું, "જવાહર ચાવડા હવે રોજગારીની વાતો કરે છે, પણ તેમના શાસનકાળમાં માણાવદરમાં જીનિંગ ઉદ્યોગ પડી ભાંગ્યો, સિંચાઈના કામો થયા નથી, અને રિવરફ્રન્ટમાં પણ કરોડો રૂપિયા વેડફી નાખવામાં આવ્યા."
સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ કહ્યું, "જવાહર ચાવડાએ ૩૦ વર્ષ સુધી માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે સેવા આપી. તે દરમિયાન યાર્ડના સેઝ (Special Economic Zone) માટે મળેલી ૫૦ કરોડ જેવી માતબર રકમનો ઉપયોગ ચૂંટણીમાં કરી નાખવામાં આવ્યો, તેમણે વધુમાં જણાવ્યું કે માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ જવાહર ચાવડાની માલિકીની નૂતન મિલમાં કામ કરે છે. જો તેઓ મારા પર બદનક્ષીનો દાવો કરશે, તો પણ હું આ વાતના પુરાવા આપવા તૈયાર છું." આ પ્રહારોથી સ્પષ્ટ થાય છે કે, ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે.
આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ અને દિનેશ ખટારીયાનો ખુલાસો
આ ઘટનાક્રમ વચ્ચે માણાવદરમાં આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમમાં જવાહર ચાવડાના કેટલાક ટેકેદારો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના અહેવાલો હતા. જોકે, આ અંગે ખુલાસો કરતા દિનેશ ખટારીયાએ જણાવ્યું કે, "તેમાંથી કોઈ પણ વ્યક્તિ ભાજપનો સક્રિય કાર્યકર્તા નહોતો."
આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે, માણાવદરનું રાજકારણ આગામી સમયમાં વધુ ગરમાઈ શકે છે, અને સ્થાનિક નેતાઓ વચ્ચેનો સંઘર્ષ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. 1લી સપ્ટેમ્બરથી જવાહર ચાવડા વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરીને રોજગારી માટે લોકો સાથે મુલાકાત કરવાના છે, ત્યારે આ અભિયાન અને તેના પર થઈ રહેલા આક્ષેપો વધુ ચર્ચા જગાવે તેવી શક્યતા છે.