)
Kutch News : અમદાવાદમાં નવી ટેકનોલોજીથી બનાવેલો હાટકેશ્વર બ્રિજ માત્ર 4 વર્ષમાં તુટી ગયો. જ્યારે કચ્છમાં 150 વર્ષથી પણ બ્રીજ અડીખમ ઉભો છે. કેવી મજબુતાઈથી આ બ્રીજનુ બાંધકામ થયુ છે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જર્જરિત બ્રિજ બંધ કરવામાં આવી રહ્યા છે. આજે આધુનિક ટેક્નોલોજી અને વર્લ્ડ કલાસ એન્જીનીયરીંગની કુશળતા હોવા છતાં પણ બ્રિજ 100 વર્ષ સુધી નથી ટકતા નથી. ત્યારે આજે વાત કરીએ માંડવીમાં આવેલા 142 વર્ષ જુના બ્રિજની.. જેની હજુ સુધી એક કાંકરી પણ નથી ખરી.
જુનૂં તે સોનું...ને સાર્થક કરતો બ્રિજ
100 વર્ષની આવરદા ધરાવતો ગંભીરા બ્રિજ 40 વર્ષમાં તૂટી ગયો છે. ત્યાં કચ્છના માંડવીમાં આવેલો રુકમાવતી પુલ 142 વર્ષ પછી પણ અડીખમ ઊભો છે. જો કે મોરબી દુર્ઘટના બાદ આ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે નાના વાહનો તો પસાર થાય છે પણ ભૂકંપ સહેન કરનારા આ પુલમાં હજુ ક્યાંય તિરાડ નથી પડી. આ પુલ જૂની કહેવત "જૂનું તે સોનું” ને સાર્થક કરતો હોય તેવું લાગે છે.
પુલ સંપૂર્ણપણે પત્થરોથી બનેલો છે
1883 માં બંધાયેલો આ પુલ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તે સમયના મહારાવના આદેશ હેઠળ કચ્છના ચંદિયા ગામના વિશ્રામ કર્મણ ચાવડા દ્વારા સંપૂર્ણ પણે પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો. 199 મીટરનો પથ્થરથી બનેલો આ પુલ ભારતનો સૌથી લાંબો અને એકમાત્ર પુલ મનાય છે. હાલમાં દેશમાં આ પ્રકારનો આ એકમાત્ર હયાત પુલ છે.
રાજાશાહી સમયની ઈજનેરી કૌશલ્યનું અદભૂત ઉદાહરણ
રૂકમાવતી નદીના ઘોડાપુર અને અરબી સમુદ્રના ખારા પાણીની થપાટો સહન કર્યા પછી પણ 142 વર્ષ જૂનો પુલ અડીખમ ઊભો છે. આનાથી વિપરીત 40 વર્ષ જૂનો ગંભીરા પુલ ધ્વસ્ત થઈ ગયો. જેણે તંત્રની કામગીરી અને આધુનિક બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. પણ માંડવીનું આ બ્રિજ રાજશાહી સમયની અદ્ભુત ઇજનેરી કૌશલ્ય અને કચ્છના ઐતિહાસિક વારસાનું જીવંત ઉદાહરણ છે. માંડવી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર આવેલો આ પુલ આજે પણ પ્રવાસીઓ અને ઇતિહાસપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે ભૂતકાળની ભવ્યતા અને કારીગરીની ગાથા કહે છે તેવુ ઈતિહાસ પ્રેમી હર્નિશ શાહ જણાવે છે.
માંડવી નગરપાલિકા દ્વારા આ રજવાડી ધરોહર સમાન પુલને હેરિટેજ પુલ તરીકે વિકસાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓ માટે આ પુલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.