'આવી સરકારને કોઈ વોટ આપતા જ નહીં...વાંધો સરકાર-સિક્યોરિટીમાં છે, ટેક્સપેયરના પૈસે નેતાઓ હેલિકોપ્ટરમાં ફરે....'

કાળજુ કંપાવી દેતા અને સરકારના સબસલામતના પોકળ દાવાની પોલ ખોલતા આ શબ્દો છે, જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા સુરતના મૃતક શૈલેષ કળથિયાની પત્ની શિતલબેનેના...

'આવી સરકારને કોઈ વોટ આપતા જ નહીં...વાંધો સરકાર-સિક્યોરિટીમાં છે, ટેક્સપેયરના પૈસે નેતાઓ હેલિકોપ્ટરમાં ફરે....'

ઝી બ્યુરો/સુરત: મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુરત અને ભાવનગરમાં શોકનો માહોલ છવાયો હતો. સુરતમાં મૃતક શૈલેષ ભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા હતા. ત્યારે શૈલેષ ભાઈની પત્ની શિતલબેને કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ સામે આક્રોશ ઠાલવ્યો હતો. સરકારની VIP વ્યવસ્થાથી લઇને ટેક્સ પે કરનાર સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ વર્ણવી હતી.

સુરતમાં શૈલેષભાઈના પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા. મૃતક શૈલેષ ભાઈની પત્નીએ વિલાપ કરતા સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે મુસ્લિમોને કંઇ ન કર્યુ હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોષો રાખીને ફરવા ગયા હતા. એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. આપણા દેશની જ આર્મી આવું કહેશે તો બીજુ કોણ બોલશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 24, 2025

ઉપર આટલું બધુ થઈ ગયુ હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે?
શિતલબેને અંદરની વ્યથા ઠાલવતા સીઆર પાટીલને જણાવ્યું હતું કે, અમે જ્યાં ફરવા ગયા હતા ત્યાં કોઈ સુવધા નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ આર્મી નહિ, કો કોઈ પોલીસ નહિ. જ્યારે મોટા-મોટા નેતા આવે કે VIP આવે ત્યારે પાછળ કેટલી ગાડીઓ, ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે? ટેક્સ પે કરે છે તેના પરથી જ ચાલે છે ને? VIP માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈ ચિલાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે, તમે લોકો જલ્દી કઈક કરો, અમે ઉપરથી પડતા-આખડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસેલિટી ગઈ નહોતી. ઉપર આટલું બધુ થઈ ગયુ હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે? આંતકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ-મુસ્લીમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યમાં આર્મી હતી ત્યાં અને જ્યા ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન નહીં, પોલીસમેન નહીં કે કોઈ ફસ્ટેર્ડ કિટ નહિ. કંઈ જ સુવિધા નહિ. તેમાંથી પણ એક આર્મીમેન એમ કહે છે કે, તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો?

તમારો જીવ જીવ, ટેક્સ પે કરે તેનો જીવ જીવ નથી?’
હવે તમે મને એ વાતનો જવાબ આપો કે, આ રીતનું જ હતુ તો તમે અમને જવા જ શું કામ દ્યો છો? મારા ઘરનો સ્તંભ વહી ગયો છે. મને મારો આધાર સ્તંભ પાછો આપો મારે બીજુ કઈ ના જોઈએ. આજ પછી કોઈ વોટ ના કરતા, જો આપણી ગર્વમેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે,  કેટલીયે ગાડીઓ હોય છે,  તમારો જીવ જીવ છે, અને આ ટેક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી? આ છોકરાઓનું ભવિષ્ય શું?

‘ટેક્સ વસુલો છો તો સુવિધા કેમ નહિ’
પોતાના છોકરા સામે હાથ લંબાવી શિતલબેને કહ્યું કે, આ છોકરાઓનું ભવિષ્ય શું? દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડોક્ટર બનાવવી છે. હું કઈ રીતે બનાવીશ. મારે ન્યાય જોઈએ, મારા છોકરાઓનું ફ્યૂચર ખરાબ ન થવું જોઈએ. મારા પતિની આટલા વર્ષની સર્વિસમાં તમે ટેક્સ કાપીને સેલેરી આપો છો ને? અને ઉપર જતાં અમે કોઈ વસ્તુ ખરીદીએ, ક્યાય જઈએ તો ફરીથી ટેક્સ. ટોલ ટેક્સ બધા ટેક્સ અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી તો કોઈ ફેસિલિટી નથી મળી તેનો મને ન્યાય જોઈએ. તમે તો અહીં જ રહો છો તો કહો મારા પતિ માટે શું કરશો? આ એક નહિ આના જેવા જેટલા નિર્દોષ ભાઈઓ હતાં તે બધાને નાના-નાના છોકરાઓ છે. સરકાર ખાલી કહે છે કે, અમે કરીશું...અમે કરીશું... પણ આ બધુ બની ગયું પણ કઈ થયું નહિ. આ બધાને હોસ્પિટલમાં ફેસેલિટી મળી કે નહિ તેની પણ ખબર નથી. બીજે દિવસે આટલુ બધુ કર્ફ્યુ હતું, રોડ બંધ હતો, રોડ ઉપર ત્યાં આર્મીના 100-200 લોકોના ઢગલાં હતાં.

નહિ સર તમારે સાંભળવું જ પડશે. જ્યારે બધુ પતી જાય ત્યારે આપણી સરકાર આવી-આવીને ફોટા પાડે છે અને કહે છે કે, આર્મી ઓફિસર અહીંયા હતા. પોલીસ ઓફિસર અહીં હતાં. નેતાઓ પણ આવ્યાં છે. પછી આવ્યાં તેનો શું કામનું? અને આર્મી ઓફિસર શા માટે બોલી શકે કે, અહીંયા શા માટે ફરવા આવ્યાં? એક આવું બોલ્યો તો ત્યાં હાજર કેમ કોઈ કઈ ન બોલ્યું? અમે ત્યારે એવું બોલ્યા હોત કે આર્મી મુર્દાબાદ.. આર્મી હાય હાય...અમને પકડીને કેમ અંદક ફેંકી દે છે. પોતાનું ઓછું સાંભળીએ છીએ ત્યારે કોઈ મોઢામાંથી એમ કેમ ના બોલ્યું કે સર તમે આવું કેમ બોલો છો. મેનર્સ, બિહેવીયર તો આર્મીમેનમાં હોય એટલું બીજા કોઈનામાં ના હોય, તમે લોકો જે ટ્રેનિંગ આપો છો, એમાં આવું શીખવો છો. મને ન્યાય જોઈએ. મારા એકના છોકરાઓ માટે નહીં, મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે બધા માટે ન્યાય જોઈએ.  શિતલબેને કહ્યું- ખાલી ચોક્કસથી નહિ. અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે ત્યાં ગયા હતાં....આટલું બોલતા અન્ય લોકોએ શિતલબેનને બોલતા અટકાવી દીધા હતાં. બાદમાં બહેને કહ્યું કે, તમે આ બંધ જ કરાવી દો, કે ત્યાં ટુરિસ્ટ પ્લેસ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news