રાજકોટના સરધાર પાસે મોટી દુર્ઘટના; 2 કારની ભયાવહ ટક્કર બાદ ફાટી નીકળી આગ, 4ના મોત, 3 ઘાયલ

સરધાર પાસે મોટી દુર્ઘટના બની છે. આ અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ભયાનક અકસ્માતમાં 2 ગાડીઓ સામે સામે અથડાવાને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

 રાજકોટના સરધાર પાસે મોટી દુર્ઘટના; 2 કારની ભયાવહ ટક્કર બાદ ફાટી નીકળી આગ, 4ના મોત, 3 ઘાયલ

Rajkot News: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અકસ્માતના બનાવમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર ભુપગઢ પાસે અલ્ટો કારમાં સવાર 8 કૌટુંબિક પૈકી માતા - પુત્રી સહિત ચાર જેટલા વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં આવી રહી હતી. ત્યારે બંને કાર સામ સામે અથડાઈ જતા અલ્ટો કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. તેમજ જોત જોતામાં કારમાં સવાર 8 વ્યક્તિઓ પૈકી ચાર જેટલા વ્યક્તિઓ બળીને ખાખ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર 35 વર્ષીય નીરૂબેન મકવાણા તેમજ તેમની 3 વર્ષીય દીકરી હેતવી મકવાણા, 22 વર્ષીય હેમાંશી સરવૈયા અને 12 વર્ષીય મિતુલ સાકરીયા સહિતના વ્યક્તિઓના મોત થયા છે. મરણ તમામ ગોંડલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ઇન્ચાર્જ એસીપી ઇસ્ટ રાધિકા ભારાઈ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, અકસ્માતનો બનાવ સરધાર નજીક જે સિંગલ પટ્ટી રોડ છે ત્યાં અંદાજિત 4:00 વાગ્યા આસપાસ શનિવારના રોજ બન્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસને હજુ અલ્ટો કારમાંથી ત્રણ જેટલા મૃતદેહોના અંગો મળી આવ્યા છે. પોલીસ દ્વારા હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ હોન્ડા સીટી કારમાં બનાવ સમયે કેટલા લોકો હાજર હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. 

હોન્ડા સીટી કારના ચાલકને કોઈ ઈજા પહોંચી છે કે કેમ તે બાબતે પણ હાલ તપાસ શરૂ છે. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના જુદા જુદા વિભાગમાં સાહિલ સરવૈયા, હિરેન મકવાણા અને નીતાબેન સાકરીયાની સારવાર ચાલી રહી છે. બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ દ્વારા FSL ની મદદ પણ લેવામાં આવી છે. સમગ્ર ઘટનામાં એકતા સાકરીયા નામની વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. અલ્ટો કારમાં સીએનજી કીટ ફીટ કરવામાં આવી હતી. મૃતકોના મૃતદેહ અંદાજિત 90% થી વધુ આગમાં ભસ્મીભૂત થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં મૃત્યું પામનાર વ્યક્તિઓના નામ

  • ૧) નિરુબેન અતુલભાઈ મકવાણા, 30, રે. ગોંડલ
  • (૨) હેતવી અતુલભાઈ મકવાણા, 4 વર્ષ, રે. ગોંડલ
  • (૩) હેમાંશી શાહીલ સરવૈયા, 19, રે. ગોંડલ વિજય નગર
  • (૪) મિતુલ અશોકભાઈ સાકરીયા, 13, રે. ગોંડલ

ઇજાગ્રસ્ત

  • (૧) શાહીલ સરવૈયા, 22 વર્ષ, રે. ગોંડલ
  • (૨) હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ
  • (૩) નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news