બનાસકાંઠાઃ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યૂચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ.સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે. જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઈલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઊર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દૃષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેકટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે. કુલ ૮૦૦ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ ૧૧૯ ઘર પર સોલાર રૂફ્ટોપ લગાવવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગ, યુ.જી.વી.સી.એલ, બેંક અને સોલાર કંપનીના સહયોગથી ૧ કરોડ ૧૬ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો. જેમાં પી.એમ.સૂર્યઘર યોજના અંતર્ગત ૫૯.૮૧ લાખની સબસિડી, ૨૦.૫૨ લાખ રૂપિયાનો લોકફાળો અને ૩૫.૬૭ લાખ સી.એસ.આર થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં ૧૧૯ ઘરોમાં કુલ ૨૨૫.૫ કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે. 


રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં ૨૪ કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ માટે કમિટી બનાવવામાં આવી છે. બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના ૧૧ અને સુઈગામ તાલુકાના ૦૬ કુલ મળીને ૧૭ ગામોને સંપૂર્ણ સોલાર વીલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે.


આ પણ વાંચોઃ શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત


આ અંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ જણાવે છે કે, બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત છે કે, રાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું બિરુદ સુઈગામના મસાલીને મળ્યું છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ૧ કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છે ત્યારે જિલ્લાના આંતરાષ્ટ્રિય સરહદને અડીને આવેલા ૧૭ જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે જે કામગીરી પ્રગતિ હેઠળ છે. 


માધપુરા મસાલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મગનીરામ રાવલ અને ગામના આગેવાનોએ જણાવ્યું કે, સોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. હવે અમને લાઇટબીલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. તેઓ સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માને છે.


અહી નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ‘ગ્રીન અને ક્લીન એનર્જી’ના મંત્ર થકી દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ.સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ ૧ કિલો વોટ થી ૨ કિલો વોટ સુધી ૩૦,૦૦૦ અને ૨ કિલો વોટ થી ૩ કિલો વોટ સુધી રૂ. ૧,૮૦૦૦ તથા ૩ કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂ.૭૮,૦૦૦ સુધીની સબસિડી આપવામાં આવે છે.