)
નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર શહેર ભાજપનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભાવનગરના મુખ્ય નાગરિક એવા મેયરનું પણ કઈ ચાલતું નથી, વારંવાર અપમાનિત થાય અને મેયરની પ્રતિષ્ઠાને ઠેશ પહોંચે એવા વ્યવહાર અને વર્તનને લઈને મેયરે નારાજગી વ્યક્ત કરી હતી. મેયર ભરતભાઈ બારડે સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરી હતી. જેના પગલે ભાજપ સંગઠનમાં જ વાતાવરણ ગરમાયું છે. જોકે મીડિયા સમક્ષ નિવેદન આપતાં મેયરે પલટી મારી હતી. કોંગ્રેસે કહ્યું નિષ્ઠાવાન મેયરને ચૂપ કરાવી દેવામાં આવ્યા છે.
ભાજપ પ્રભારી રત્નાકરજી સૌરાષ્ટ્ર ઝોન ની બેઠક માટે આજે ભાવનગર આવી પહોંચ્યા છે. એવા સમયે જ ભાજપમાં ભડકો થયો છે. ભાવનગર શહેરના મેયર ભરત બારડે આત્મ વિલોપનની ચીમકી સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી. 1978 થી જનસંઘ સાથે જોડાયેલા ભરત બારડે સોસિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હૈયાવરાળ ઠાલવી હતી. ભરતભાઈ બારડે સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે વારંવાર અપમાન થાય તેવા વર્તનથી તેઓ વ્યથિત છે. અમુક લોકો તેને નિશાન બનાવી અલગ પ્રકારનો વ્યવહાર કરતા હોવાનું તેમને દુઃખ વ્યક્ત કર્યું હતુ.
તેમણે પોસ્ટમાં લખ્યું હતુ કે "મને ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો જાહેરમાં આત્મ વિલોપન કરી લેશે. જોકે પોસ્ટ વાયરલ થયાના થોડા સમયમાં જ એ પોસ્ટને ગ્રુપ માંથી ડીલીટ કરી દેવામાં આંબી હતી. જે બાબતે મેયર ભરત બારડને પૂછતાં તેમણે અ બાબતે ફેરવીને તોળતા જણાવ્યુ હતુ કે મારી વાત મે મારા પરિવારમાં કરી છે. મારા સોશિયલ મીડિયા પરિવારમાં કરી છે. અમારે આવી વાત ઘણીવાર થઈ જતી હોય છે. એનો અર્થ એવો નથી કે કોઈનો બદઇરાદો હોય.
હું ભારતીય જનતા પાર્ટીનો 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું. શિસ્ત બદ્ધ કાર્ય કરું છું. મારી કામગીરી અને પક્ષ પ્રત્યેની ભાવનાને લઈને મને મેયર પદ આપવામાં આવ્યું છે. કોઈ ફરિયાદ કરવાના અમારા સંસ્કાર નથી, વાતમાંથી વાત નીકળી એટલે કીધું છે. વધુમાં તેમણે જણાવ્યું કે મને કોઈ દબાવતું નથી, કોઈ એવી વાત નથી, મેં કોઈ ને ફરિયાદ કરી નથી, અને મારે ક્યાંય ફરિયાદ કરવાની પણ ના હોય.
મેયર દ્વારા પોસ્ટ વાયરલ કરવા મુદ્દે શહેર પ્રમુખ કુમાર શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, હાલ આ અંગે મારી પાસે કોઈ વાત આવી નથી. આ સમગ્ર મામલો ભાજપ પરિવારનો મામલો છે અમે બધા એક સાથે બેસી ને મામલો પતાવવા પ્રયાસ કરીશું. જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે મેયર મામલે નિવેદન આપતાં જણાવ્યું હતુ કે, મેયર જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિએ પોતાને હેરાનગતિ થતી હોય.
હનીટ્રેપ માં ફસાવવાની વાત થતી હોય તો સામાન્ય માણસનું શું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમા મેયર પણ સુરક્ષિત ના હોય તો સામાન્ય પ્રજાનું શું થાય. નાના લારી ગલ્લા વાળાઓ ને ધંધો કરવા દો એવી બાબતે પણ મેયરનું ચાલતું ના હોય. જયારે આત્મ વિલોપન જેવા મામલમાં પોલીસ સામાન્ય માણસોના નિવેદનો નોંધે છે. તો શું પોલીસ મેયરનું નિવેદન લેશે. વધુમાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે મેયરને પણ ચૂપ કરાવી દેવામાં આવ્યા છે.