)
Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના કુડાના રણમાં લાખો સુરખાબનું આગમન. રાપડાનું કુડા ગામ ફ્લેમીંગોનું બીજું ઘર બન્યું. રાપરના અમરાપર પાસે નયનરમ્ય નજારો સર્જાયો. ફોરેસ્ટ વિભાગે પણ સૂરખાબ માટે જતન કર્યું.
રાં લાખે જા જાની તરીકે ઉપનામ પામેલા સુરખાબ (ફલેમિંગો) પક્ષીઓ કચ્છના રણ પ્રદેશમાં શિયાળો માણતા હોય છે. ખાસ કરીને લગભગ એક લાખથી પણ વધુની સંખ્યામાં રૂપકડા ફ્લેમિંગો રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં શોભાયમાન બન્યા છે. ખડીરના અમરાપરથી લોદ્રાણી તરફ જતા સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ વચ્ચે હાલ સૂરખાબનો જમાવડો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં આ સંખ્યા ત્રણ લાખને પાર કરી જવાની શક્યતા છે.
ખડીરથી સાંતલપુર તરફના બીજા રણ ટુ હેવન જેવા માર્ગ નજીકના રણ વિસ્તારમાં હાલ સુરખાબ વસાહત જોવા મળી રહી છે. પોતાની જન્મભૂમિ ઉપર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશ વિદેશમાં ફેલાઈ જતા સુરખાબ પક્ષીઓ ખડીર બેટના અમરાપરથી લોદ્રાણી જાગીર વચ્ચેના વિસ્તારમાં શોભી રહ્યા છે. લગભગ સવા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી આ સ્થળે જોવા મળી રહી છે. નયનરમ્ય નજારો માણવા અહીંથી પસાર થતા લોકો ઘડીભર માટે રોકાઈ જતા હોવાનું પ્રવાસી સતાજી સમાં એ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરી અભૂતપૂર્વ પ્રમાણમાં વધી રહી હોવાનું નોંધાયું છે.
આ અંગે પૂર્વ કચ્છ વન વિભગનાં મુખ્ય અધિકારી આયુષ વર્માએ જણાવ્યું હતું કે, કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન ધરાવે છે. તેમની સાંખ્યમાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે. આ માટે વન વિભાગ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. કચ્છનો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાય વે જે આપણા માઈગ્રેટિવ બર્ડ માટે પેસેજ રૂટ હોય તેમનું રોકાણ સ્થાન છે. કચ્છનું મોટું રણ તેમજ અમુક અંશે નાનું રણ પણ વન વિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવતો હોય તેમના રૂટના રોકાણ સ્થળોએ વન વિભાગ દ્વારા 2019થી ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં સુરખાબ પક્ષીઓના મોટા પ્રજનન માટે રણમાં ખાસ સી આકારમાં ડેઝર્ટ પોઇન્ટ અને લીનીયર પ્લેટફોર્મ ઉભા કરવામાં આવ્યા છે. જે માટીના પાળા હોય.
વન વિભાગ દ્વારા આવા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. બન્ને સુરખાબ પક્ષીઓ પ્રજનન ક્રિયા કચ્છના રણમાં કરતા આવ્યા છે. તેમના આકાશી વિચરણમાં કચ્છના રણ વિસ્તાર માર્ગો સમાવિષ્ટ છે. ત્યારે તેમના પડાવ દરમિયાન પક્ષીઓ માટેના અનુરૂપ બનાવાયેલા પ્લેટફોર્મ ફાયદો આપે છે. આ પ્લેટફોર્મના કારણે તેમના પાળાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે. જેમાં સુરખાબના પક્ષીઓના ઇંડાઓ સલામત રહે છે. નવા પક્ષીઓની જન્મની પ્રક્રિયા વધી છે. આ વિસ્તારમાં આજથી પાંચ વર્ષ પહેલાં લગભગ એકથી સવા લાખ સુરખાબ નોંધવામાં આવતા તે આંકડો ગત વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો. જે આ વર્ષે પણ નોંધાય તેવી પુરી સંભાવના છે. સુરખાબ અને દરેક વન્ય પ્રાણીઓની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવતી રહે છે. આ વિસ્તારના વન કર્મીઓ દ્વારા અધિકારીઓની રાહબરી હેઠળ સતત પેટ્રોલીંગ પણ કરવામાં આવતું રહે છે.
સુરખાબ, જેને બ્રાહ્મણી અથવા ભગવી બતક પણ કહે છે. શિયાળામાં ભારત અને ગુજરાતમાં દેખાતું એક સ્થળાંતર કરતું સુંદર જળચર પક્ષી છે. એનાટિડે કુટુંબમાં આવતું આ પક્ષી 58–70 સેમી લંબાઈ અને 110–135 સેમી પાંખવિસ્તાર ધરાવે છે. તેના પીંછા ભગવા રંગના હોય છે જ્યારે માથું આછું સફેદી ધરાવતા ભગવા રંગનું હોય છે. પૂંછડી અને પાંખોના ઉડતા પીંછા કાળા અને પાંખના આવરણ સફેદ હોય છે
આ પક્ષી તળાવો, નદીઓ અને જળાશયોમાં રહે છે. નર–માદા લાંબા સમય સુધી જોડી રૂપે રહે છે. માળો સામાન્ય રીતે પાણીથી દૂર ગુફામાં, વૃક્ષનાં ખાડામાં કે ખડકની તિરાડમાં બને છે. એક વેતરમાં સરેરાશ 8 ઇંડા મૂકી માદા તેને આશરે ચાર અઠવાડિયા ઉછેરે છે. બચ્ચાઓ જન્મ પછી લગભગ આઠ અઠવાડિયામાં સ્વતંત્ર બની જાય છે
મધ્ય અને પૂર્વ એશિયામાં તેની વસ્તી સ્થિર કે વધતી જઈ રહી છે જ્યારે યુરોપમાં ઘટાડો જોવા મળે છે. વિશાળ વ્યાપ અને સારી સંખ્યા હોવાથી IUCN દ્વારા તેનું સંરક્ષણ સ્તર “Least Concern” નક્કી કરવામાં આવ્યું છે
વન વિભાગ કચ્છના પૂર્વ DFO આયુષ વર્માએ જણાવ્યું કે, કચ્છમાં ફ્લેમીગો અહીં સદીઓથી આવે છે. રાજા શાહી વખતમાં રા લાખે જા જાની તરીકે પણ સાહિત્યકારોએ ચેને વર્ણવ્યું છે.
પક્ષિવિદ નવીન બાપટે જણાવ્યું કે, ફ્લેમિંગોનો જન્મ અહીં થાય છે અને હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશમાં જ્યાં ખોરાક મળે ત્યાં જતા હોય છે. ઓક્ટોબર-નવેમ્બરમાં અહીં આવે છે. શિયાળા દરમિયાન અહીં રોકાય છે. એમણે રણમાંથી ખોરાક મળે છે, ત્યાં સુધી ફેબ્રુઆરી માર્ચ સુધી રહે છે. કચ્છના કુંડા ગામમાં સ્થળાંતરિત થઇને આવે છે. અહીં કેટલાએ કિમી સુધી શાંત વાતાવરણ મળે છે તેઓ જ્વાળામુખી જેવો પગ અને ચાંચની મોડથી માળો બનાવે છે એમાં ઈંડા મૂકે છે. વન વિભાગ દ્વારા તેમના રક્ષણ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.