Parsotam Solanki: રાજ્યના મંત્રી પરશોત્તમ સોલંકીએ પુત્રના જન્મદિવસની ઉજવણીના નામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ ભાવનગરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી સામે સરાજાહેર નારાજગી વ્યક્ત કરતાં મુદ્દો ભાજપ અને કોળી સમાજમાં ચર્ચાસ્પદ બન્યો છે.

રાજ્યકક્ષા મંત્રી પરષોત્તમ સોલંકી સાંસદ નિમુબેન બાંભણીયાથી નારાજ થયા છે. તેઓ નીમુબેનને પોતાની બહેન માને છે. તેમનો દિકરો દિવ્યેશ સોલંકી પણ સાંસદ નીમુબેનને ફોઇ કહીને જ સંબોધે છે પરંતુ દિવ્યેશ સોલંકીના જન્મદિવસ પ્રસંગે આમંત્રણ આપવા છતા નીમુબેન ન આવતા પરષોતમ સોલંકી નારાજ થયા છે..
જન્મદિવસે પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પરષોત્તમ સોલંકીએ નિબુબેન બાંભણીયા સામે નારાજગી દર્શાવી હતી. દીકરા દિવ્યેશ સોલંકીના જન્મદિવસ કાર્યક્રમમાં નિમુબેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ નીમુબેને હાજરી આપી ન હતી. જેથી પરષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે મેં બેન માટે શું નથી કર્યું, અને મેં બેને કયુ કામ સોંપ્યું? સાથે જ કહ્યું કે જો બેને મને કીધું હોત તો હું પ્લેનની ટિકીટ મોકલી આપતા પરંતુ બેન આવ્યા હોત તો સારુ હોત. સોલંકીની ટકોરને પગલે આ મુદ્દો ભાજપ સહિત સમગ્ર કોળી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
શક્તિ પ્રદર્શન કરતા સોલંકીએ ભાજપ શાસિત રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે,હું છ-છ વખત ધારાસભ્ય બનતાં મને મંત્રી બનાવવાની ફરજ પડી છે. તેમણે ઉમેર્યું કે, આ અનુભવ જોતાં મારું સ્થાન દિલ્હીમાં હોવું જોઈએ અને મને કેન્દ્રિય મંત્રી પદ મળવું જોઈએ પરંતુ, મને કોઈની આગળ પાછળ દોડધામ કરતા કે લાઈનમાં ઉભા રહેતા આવડતું નથી જેથી હું ત્યાં નથી.
નોંધનીય છે કે ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના પશુપાલન મંત્રી તથા કોળી સમાજના કદાવર નેતા - પરશોત્તમ સોલંકીએ ભાજપની વરિષ્ઠ નેતાગીરી સામે ફરી નારાજગી વ્યક્ત કરી હતી. સોલંકીએ પુત્ર દિવ્યેશના જન્મદિન પ્રસંગે શહેરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે દિવ્ય સેતુ શિર્ષક તળે પરિસંવાદ યોજાયો હતો.
ઉલ્લેખનિય છે કે, નિમુબેનની પસંદગી પાછળ રાજ્યમંત્રીનો સિંહફાળો હોવાની ભાજપમાં ચર્ચા છે. ત્યારે, સાંસદ બન્યાના | એક વર્ષમાં જ રાજ્યમંત્રીની સાંસદ સામેની નારાજગીએ વધુ એક વખત સ્થાનિક સંગઠનમાં આંતરિક ડખા હોવાનો ઈશારો કરી રહ્યું હોવાની ચર્ચાએ પણ વેગ પકડયો છે.