દેવામાં ડુબેલા દિપે ખંડણીનાં ઇરાદે મિત્રનાં પુત્રનું જ અપહરણ કર્યું

રૂદ્ર ચોકસીએ બુમાબુમ કરવા લાગતા ગભરાયેલા આરોપીઓએ તેની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

દેવામાં ડુબેલા દિપે ખંડણીનાં ઇરાદે મિત્રનાં પુત્રનું જ અપહરણ કર્યું

અમદાવાદ : થોડા દિવસો અગાઉ ગુમ થયેલા મણિનગરના બાળકની હત્યા કરી દેવાઇ હતી. હત્યાની તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીનાં કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાની આશંકાનાં પગલે આરોપીઓને સાથે રાખીને સ્થળ પર તપાસ કરી હતી. 20 લાખની ખંડણી માટે મિત્રનાં જ પુત્રનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

મણિનગરનાં રુદ્ર ચોક્સી થોડા સમય પહેલા ગુમ થયો હતો. શુક્રવારે રાત્રે કરાઇ ટોલટેક્સ પાસેથી રૂદ્રની લાશ મળી હતી. આ અંગે વધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રૂદ્રનાં અપહરણ બાદ તેની હત્યા કરાઇ હતી. તપાસમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી હતી. સીસીટીવી ફુટેજ અને ટેક્નિકલ સર્વેલન્સનાં આધારે ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચી હતી. પકડાયેલા 3 આરોપીઓ પૈકી બે સગીર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ પૈકી બે જણ રુદ્રનાં પિતાનાં મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી દિપ પારેખ દેવામાં ડુબેલો હોવાથી અન્ય બે સાગરીતો સાથે મળીને મોટી ખંડણીનાં ઇરાદે અપહરણનો કારસો રચ્યો હતો. આરોપી રૂદ્રને ડરાવવા માટે સાથે છરી રાખી હતી. રુદ્રએ બુમાબુમ કરતા ગભરાયેલા આરોપીઓએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે વધારે તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news