ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ, ભાવનગરમાં અંધારપટ કરીને વીજળી પડવાની ઘટનાનો video જુઓ

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ, ભાવનગરમાં અંધારપટ કરીને વીજળી પડવાની ઘટનાનો video જુઓ
  • અરબી સમુદ્રમાં ફરીથી લો પ્રેશર સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 2 દિવસ વરસાદી માહોલ રહેશે. 
  • ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો

ઝી મીડિયા/બ્યૂરો :વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે કે, આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલથી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. તો સાથે જ ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 132 ટકા વરસાદ રહ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં ફરીથી લો પ્રેશર સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 2 દિવસ વરસાદી માહોલ રહેશે. 

ભાવનગરમાં સવારથી વરસાદ 
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવ બન્યા છે. તો સાથે જ એક વિસ્તારમાં ગાજવીજ સાથે આકાશી વીજળી પડતા કેમેરામાં કેદ થઈ હતી. ભાવનગરમાં સવારથી સતત બે કલાક અનરાધાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે રાત્રિ દરમ્યાન વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર  જિલ્લાના 6 તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો છે. ભાવનગર, મહુવા, જેસર, ઘોઘા, તળાજા અને સિહોરમાં વરસાદ નોંધાયો છે. તો મહુવામાં 2 ઇંચ, ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ, જેસર અને ઘોઘામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન ખાતાની વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં વરસાદ શરૂ થયો છે. 

... તો નર્મદા નદી ફરી રૌદ્ર બની શકે છે
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આમોદમા 6 મીમી, અંકલેશ્વરમાં 1 ઈંચ, ભરૂચમાં 2 ઈંચ, હાંસોટમાં 1.5 ઈંચ, જંબુસરમાં 8 મીમી, નેત્રંગમાં 15 મીમી, વાગરામાં 2.5 ઈંચ, વાલિયામાં 8 મીમી અને ઝઘડિયામાં 10 મીમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર 16.73 ફૂટે પહોંચ્યા છે. 4 કલાકથી નદીની સપાટી સ્થિર બની છે. જોકે, નર્મદા ડેમમાંથી પાણી છોડતા નદી 22 ફૂટના વોર્નિંગ લેવલને પાર કરે એવી શક્યતા દેખાઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news