)
Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી અને વિસાવદરના ધારાસભ્ય દ્વારા સામસામે ચેલેન્જ આપવામાં આવી છે. જેને લઇને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ઘરમાં આવી ગયો છે ત્યારે જો મોરબીની વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ તો અહીંના લોકો પણ એવું રહ્યા છે કે જે રકમની ચેલેન્જ લગાવવામાં આવે છે તેટલી રકમ જો મોરબીના વિકાસમાં ઉપયોગમાં લેવામાં આવે તો મોરબીની સિકલ બદલાઈ જાય તેમ છે. ચૂંટણીમાં ભલે ભાજપ કે કાંતિભાઈ પાછા ચૂંટાઈ જાય પણ લોકોને પ્રાથમિક સુવિધા આપે તેવી પણ લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
એકબીજાને ચેલેન્જ આપી
છેલ્લા દિવસ દરમિયાન મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર લોકો દ્વારા રસ્તા રોકીને પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ કરવામાં આવ્યા હતા અને તેઓને સારી પ્રાથમિક સુવિધા મળે તેવી માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન બુધવારે રાત્રે કાંતિભાઈ અમૃતિયા કલેકટર અને કમિશનર સહિતના અધિકારીઓને સાથે રાખીને મોરબીના જુદા જુદા વિસ્તારમાં જ્યાં કામગીરી ચાલુ હતી તે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યારે તેમણે જે નિવેદન આપ્યું હતું તેને લઈને રાજકીય ભૂકંપ આવી ગયો છે. કારણ કે તેમણે કહ્યું હતું કે જે રીતે વારંવાર મોરબીમાં વિસાવદર વાળી થશે, વિસાવદર વાળી થશે તેવા સૂત્રોચ્ચાર આંદોલન દરમિયાન કરવામાં આવતા હતા. જેથી કરીને ગોપાલ ઇટાલીયા મોરબી ચૂંટણી લડવા આવી જાય અને જો જીતી બતાવે તો તેને બે કરોડ રૂપિયા આપીશ તેવી ચેલેન્જ આપવામાં આવી હતી.
મોરબીનો વિકાસ કરો - જનતા
આ ચેલેન્જને ગોપાલ ઇટાલીયાએ સ્વીકારી હતી. ત્યારબાદ કાંતિભાઇનું બીજું નિવેદનઆવ્યું હતું કે બંને આવતા સોમવારે રાજીનામાં આપીએ અને ત્યારબાદ મોરબીમાં ચૂંટણી આવે એટલે સામસામે લડીએ. આ બાબતને લઈને મોરબીના લોકોનું શું કહેવું છે તે જાણવા માટે થઈને મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર કે જ્યાંના લોકોએ પણ સનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો ત્યાં પહોંચ્યા હતા અને લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો.
રાજકીય વાતો કરવાના બદલે લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માંગે છે
વેપારીઓએ જણાવ્યું હતું કે નિવેદનબાજી કે રાજકીય વાતો કરવાના બદલે લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માંગે છે તે પૂરી કરવાની જરૂર છે. આજની તારીખે પણ લાતી પ્લોટમાં રોડ રસ્તા ચાલવા જેવા નથી. અઢી વર્ષ પહેલા મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું તેમ છતાં પણ ત્યાં ઉબડખાબડ રોડ રસ્તા, ગારા ખીચડ, ગંદકી વિગેરે જેવા અનેક પ્રશ્નો છે. આવી જ પરિસ્થિતિ ક્યાંક મોરબીના અન્ય વિસ્તારોમાં છે ત્યારે ચૂંટણી લડવા માટે અને જીતવા માટે જે ચેલેન્જમાં બે બે કરોડ રૂપિયા આપવાની વાતો કરવામાં આવે છે તે 4 કરોડ રૂપિયા મોરબીના ઉદ્યોગકારોને આપો તો મોરબીના લાતી પ્લોટ વિસ્તારની શકલ બદલાઈ જાય તેમ છે.