)
સુરતઃ સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી છે. કૂલરમાંથી પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબીયત પર અસર થઈ હોવાના સમાચાર છે. પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો આરોપ રત્નકલાકારોએ લગાવ્યો છે. તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી નઓફ જેમ્સ નામની કંપનીમાં આ ઘટના બની છે. જ્યાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હતી. કૂલરનું પાણી દૂષિત હોવાને કારણે રત્નકલાકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કૂલરમાં સેલ્ફોસ નામની વસ્તુ નાખેલી હોવાનું જોવા મળ્યું છે. કેટલાક રત્નકલાકારો તો સ્વયં રિપોર્ટ કરાવવા પહોંચ્યા હતા.
શું ઝેરી દવાની અસર થઈ?
સૂત્રોના જણાવ્યા મુજબ પાણી પીધા બાદ રત્નકલાકારોની હાલત બગડી હતી. ત્યારબાદ બધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પીવાના પાણીમાં અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.