કોરોના વાયરસના દર્દીઓને સાજા કરવામાં સુરતીઓનું છે મોટું યોગદાન

રત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 5 જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં 501 પ્લાઝમા ડોનેટ કરાવી પ્લાઝમા દાનમાં રાજ્યભરમાં મોખરે રહી છે

કોરોના વાયરસના દર્દીઓને સાજા કરવામાં સુરતીઓનું છે મોટું યોગદાન

તેજશ મોદી/સુરત :કોરોનાની મહામારી સામે લડવાનો તમામ દેશ પ્રયાસ કરી રહ્યા છે, જેમાંથી ભારત પણ બાકાત નથી, કોરોના (Coronavirus) ની રસી કોઈપણ દેશ હજુ સુધી શોધી શક્યો નથી. ત્યારે હોમિયોપેથી અને આર્યુવેદિક પદ્ધતિથી સહિત અન્ય રીતે કોરોનાનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે, જેમાં પ્લાઝમા થેરાપી મહત્વની છે. સમગ્ર રાજ્યમાં સુરત (surat) પ્લાઝમા થેરાપી સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. જેમાં માત્ર સ્મીમેર હોસ્પિટલમાં જ 500 દાતાઓએ પ્લાઝમા (plazma therapy) નું દાન કર્યું છે.

કોરોનાની બીમારીમાં વિશ્વભરમાં અઢી કરોડથી વધુ લોકો સંક્રમિત થયા હતાં. ભારતમાં અત્યાર સુધી 8.15 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અલગ અલગ દેશ કોરોનાની રસી શોધી રહ્યા છે, જોકે કોઈને પણ સફળતાં હાથ લાગી નથી. ભારત પણ રસી શોધી રહ્યું છે, ત્યારે હાલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર અલગ અલગ પદ્ધતિઓથી કરવામાં આવી રહી છે. જેમાં પ્લાઝમાની મદદથી પણ કોરોનાના દર્દીઓ સારા થઈ રહ્યા છે. સુરતમાં પ્લાઝમા ડોનેશનને એક મિશન તરીકે લેવામાં આવ્યું છે. દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ રૂપે પણ ઉભર્યું છે. બ્લડ અને ઓર્ગન ડોનેશન બાદ સુરતીઓ પ્લાઝમાનું પણ દાન કરી રહ્યા છે.

આપત્તિના સમયે સુરતવાસીઓનું યોગદાન હંમેશા અનેરું રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 5 જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં 501 પ્લાઝમા ડોનેટ કરાવી પ્લાઝમા દાનમાં રાજ્યભરમાં મોખરે રહી છે. સ્મીમેર હોસ્પિટલના કોવિડ-19ના નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલ કોવિડ-૧૯ની મહામારીમાં ૨૪x૭ કલાક કામ કરી રહી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલને પ્લાઝમા બેન્કની મંજૂરી મળી ત્યારથી કોરોનામુક્ત દર્દીઓને પ્લાઝમા દાન માટે પ્રેરિત કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. જોકે આ એટલું સરળ ન હતું. કારણ કે લોકોના મનમાં અનેક સવાલો હતાં, શા માટે અમારું પ્લાઝમા લેશો, અમને કોઈ નુકસાન નહીં થાય ને, વગેરે સવાલ હતા. જોકે પાલિકાના ડોકટરો દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા. જેના પરિણામે 501 પ્લાઝમા દાનથી સીમાચિહ્ન સર કર્યું છે. બ્લડબેન્કના સ્ટાફ અને ડોક્ટરોની ટીમની મહેનત અને પ્લાઝમા ડોનરોના નિ:સ્વાર્થ સેવાકીય અભિગમ સરાહનીય રહ્યો છે. હાલ સુરતમાં પ્લાઝમાની જરૂરિયાત ઓછી થઈ છે. જેથી અન્ય જિલ્લામાં પ્લાઝમાની જરૂર જણાશે તો મંજૂરી મેળવી જરૂરિયાત ધરાવતાં દર્દીઓને પ્લાઝમા આપવામાં આવશે.

સ્મીમેર બ્લડ બેંકના હેડ ડો.અંકિતા શાહે જણાવ્યું હતું કે, ‘કોરોનાની વૈશ્વિક મહામારીમાં પ્લાઝમા થેરાપીથી કોરોના દર્દીઓને ઘણી રાહત થઈ છે. અમારી બ્લડ બેંકની ટીમ દ્વારા તારીખ 5 જુલાઈથી પ્લાઝમા બેન્કની શરૂઆતથી આજ સુધી છેલ્લાં બે મહિનામાં 501 ડોનર્સ પાસેથી 973 યુનીટ પ્લાઝમા કલેક્ટ કરવામાં આવ્યું છે. જેમાથી કુલ 672 યુનિટ પ્લાઝમા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં 575 સ્મીમેર હોસ્પિટલમાં અને 280 યુનિટ અન્ય હોસ્પિટલને આપવામાં આવ્યા છે.

ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને 25 વાર રકતદાન કરી ચૂકેલા 45 વર્ષીય શૈલેષભાઈ ભીખુભાઈ રાઠોડ ઉપરાંત જીતેન્દ્રભાઈ પાટીલ, જતીનભાઈ વાઢેર, પ્રકાશભાઈ દેશલે અને અભિષેક રૂવાલા દ્વારા પ્લાઝમાનું દાન કરાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news