)
Ahmedabad News : ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં સૌથી વધુ ગુજરાતીઓ રહેતા હોય તો તે મહારાષ્ટ્ર રાજ્ય છે. આજે પણ અનેક ગુજરાતીઓ રોજબરોજ ગુજરાતથી મહારાષ્ટ્ર અપડાઉન કરતા હોય છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાંથી મુંબઈ સ્ટેશન પર ઉતરનારા અનેક ગુજરાતી મુસાફરો હોય છે. ત્યારે મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન ગુજરાતીઓને લૂંટવાની મોટી ખબર સામે આવી છે. બોરીવલી સ્ટેશન પર પહોંચતા જ ગુજરાતીઓ સાથે કંઈક વિચિત્ર બને છે. અહીંનું એસ્કેલેટર વારંવાર બંધ પડી જાય છે. ત્યારે આ પાછળનું મોટું કારણ સામે આવ્યું છે.
એસ્કેલેટર રેલવે સ્ટેશન પર એટલા માટે લગાવાતું હોય છે જેથી મુસાફરોની ચઢવા ઉતરવામાં સરળતા રહે. સામાન ઉપાડીને એસ્કેલેટર પર જવું આવવુ સરળ બની રહે છે. ઉપરથી વૃદ્ધો તથા બાળકો માટે પણ આ એસ્કેલેટર બહુ જ કામનું બની રહે છે, તેમની પસાર થવું સરળ રહે છે. ત્યારે આવામાં મુસાફરોથી ખીચોખીચ ભરાઈ રહેતા મુંબઈના બોરીવલી સ્ટેશન પર એસ્કેલેટર વારંવાર બંધ પડી જાય છે. જોકે, જાણવા મળ્યું છે કે, આ એસ્કેલેટર બંધ પડતું નથી, પરંતું જાણી જોઈને પાડવામાં આવતું હોય છે. રેલવે પ્રશાસન દ્વારા તેને સતત રિપેરીંગ કરવા છતાં તે વારંવાર બંધ કરી દેવામાં આવતો હોવાનો રેલવે અસોસિએશનદ્વારા આરોપ કરવામાં આવ્યો છે.
આવું કેમ કરાય છે
ચર્ચા છે કે, આ એસ્કેલેટર જાણી જોઈને બંધ કરી દેવાયું છે. ૨ એસ્કેલેટર બંધ હોવાનો સીધો ફાયદો ત્યાં આટા મારતાં કુલ્લીઓને થતો હોવાથી તેઓ પરિસ્થિતીનો ફાયદો લઈને બમણા પૈસા પણ અનેક વખત વસુલતાં જોવા મળ્યા હોવાનો આરોપ પણ કરાયો છે. એસ્કેલેટરના વારંવાર બંધ થવાની સમસ્યા વધી રહી છે, અને તેનો કોઈ ઉકેલ ન આવતા એસોસિયેશન દ્વારા પીએમઓ સુધી ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.
બોરીવલી સ્ટેશન પર ઉતરનારા મોટાભાગના પ્રવાસીઓ ગુજરાત તરફથી હોય છે. આ પ્રવાસીઓ પાસે વધુ સામાન પણ હોય છે. એસ્કેલેટર બંધ હોય તો કુલીઓને સીધો ફાયદો થઈ શકે છે. તેથી એસ્કેલેટરને જાણી જોઈને બંધ કરી દેવામાં આવે છે.
આ ઉપરાંત કુલીઓ મુસાફરો પાસેથી બમણું ભાડું પણ વસૂલી રહ્યા છે. ગુજરાતથી જતી અનેક ટ્રેનોના પ્રવાસીઓ આ મુસીબતોનો સામનો કરી રહ્યાં છે. અનેક મુસાફરો વારંવાર આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. આ અંગે કેટલાક મુસાફરો રેલવે મંત્રાલયને પણ ફરિયાદ કરવાનું વિચારી રહ્યાં છે.