)
Gujarat Navratri 2025: નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ફાયર સેફ્ટી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ માર્ગદર્શિકાનું પાલન કરવું તમામ નવરાત્રિ આયોજકો માટે ફરજિયાત છે અને તેમાં અનેક મહત્વપૂર્ણ નિયમોનો સમાવેશ થાય છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારા આયોજકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
નવરાત્રી મહોત્સવ અંતર્ગત નવરાત્રી આયોજક દ્વારા કરેલ આયોજનમાં જાહેર સલામતી અર્થે ફાયર સેફટી અંગેની માર્ગદર્શિકા
૧. નવરાત્રીના પર્વ નિમિતે ફાયર વિભાગનું ફાયર સેફટી સર્ટીફીકેટ- ટેમ્પરરી (FSCAT) મેળવવાનું રહેશે, જેના માટે ગુજરાત ફાયર સેફટી(COP)ની વેબસાઈટ(https://fscop.gujfiresafety.cop.in/ પર ઓનલાઇન અરજી કરીને જણાવેલ દસ્તાવેજની હાર્ડ ફાઈલ તૈયાર કરીને સેકટર-૧૭ ગાંધીનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ખાતે જમા કરાવવાનું રહેશે, ત્યાર બાદ નિયમાનુસાર સ્થળ નિરીક્ષણ કરીને FSCAT મેળવવાની રહેશે.
૨. પંડાલની કેપીસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી ૧ સ્ક્વે.મી જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.
૩. નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યક્તિઓ/દર્શકો/ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.
૪. સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સુચના આપવા પબ્લિક એડ્રેસ સીસ્ટમ રાખવાની રહેશે.
૫. નવરાત્રી આયોજક દ્વારા ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઇથી ઈમરજન્સી એક્ઝીટ ગેટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. ઈમરજન્સી એક્ઝીટ ગેટ વધુમાં વધુ રાખવાના રહેશે. ઓછામાં ઓછા બે (૨) ઈમરજન્સી એક્ઝીટ ગેટ રાખવાના રહેશે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ.
૬. નવરાત્રી આયોજક દ્વારા કોઈ પણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દુર નિર્માણ કરવાનું રહેશે. મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દુર કરવાની રહેશે.
૭. નવરાત્રી આયોજક દ્વારા કરેલ નવરાત્રીનું આયોજન સ્થળ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક હાઈટેન્શનલાઈનથી દુર હોવું જોઈએ.
૮. સંચાલકો દ્વારા પંડાલ/મંડપમાં ક્યાંય પણ કોઈ પણ કદની પ્લાસ્ટિકની પાણીની બોટલ કે પ્લાસ્ટીકના કપ/ગ્લાસનો ઉપયોગ કરી શકાશે નહી તેની તકેદારી રાખવાની રહેશે. ફક્ત બાયો-ડીગ્રેડેબલ પર્યાવરણને અનુકુળ પીવાના કપ/ગ્લાસનો ઉપયોગ કરવાનો રહેશે.
૯. મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન બનાવવામાં આવેલ હોય તો ફરજીયાત તેમાં ફાયર સેફટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની રહેશે.
૧૦. સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી નો બેઝ અચૂક રાખવાનો રહેશે.
૧૧. આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર બનાવવામાં આવેલ ખાણી-પીણીના સ્ટોલમાં ઉપયોગમાં લેવાતા LPG ગેસ સીલીન્ડર જરૂરિયાત મુજબના રાખવાના રહેશે. જરૂર કરતા વધારે LPG ગેસ સીલીન્ડરનો જથ્થો રાખવો નહી.
૧૨. આયોજક દ્વારા મંડપમાં કરાવવામાં આવતા ઇલેક્ટ્રિક વાયરીંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઇલેક્ટ્રિક વાયરીંગ અંગે ગવર્નમેન્ટ એપ્રુવ્ડ ઇલેક્ટ્રિક ઈજનેરશ્રી પાસે ચકાસણી કરાવવાની રહેશે. ઇલેક્ટ્રિક વીજ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન IS-1646-1982 મુજબ કરવાનું રહેશે.
૧૩. પંડાલમાં કરવામાં આવનાર વાયરીંગ પીવીસી આવરણવાળા, કંડકટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરીંગના તમામ જોઈન્ટ પોર્સેલેઇન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સ થી કરવાના રહેશે.
૧૪. આયોજક દ્વારા મંડપ, પંડાલ કે તેના ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો તેના પડદા અને કાર્પેટને ફાયર રીટાઇન્ડન્ટ પેઈન્ટ કરાવવા, વધુમાં જમીન ઉપર બિછાવવા જોગ કાર્પેટ પણ આગ અક્સમાતથી સુરક્ષિત રહે તે મુજબ રખાવના રહેશે.
૧૫. સંચાલકો દ્વારા પંડાલમાં કે પંડાલની બહાર સળગી ઉઠે તેવી જવલનશીલ સામગ્રી કે પદાર્થ, પ્રવાહી રાખવાના રહેશે નહી તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહી.
૧૬. સંચાલકો દ્વારા મંડપમાં પ્રત્યેક ૧૦૦ ચો.મી વિસ્તારને દયાને લેતા મંડપમાં તમામ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ૦૨ નંગ ABC TYPE ૦૬ કે.જી ફાયર એક્ષટીગ્યુંશર, CO2 TYPE ૪.૫ કે.જી ફાયર એક્ષટીગ્યુંશર, અને ૨૦૦ લીટર પાણી ભરેલા ડ્રમ ૦૫ નંગ ઢાંકીને રાખવા તેમજ ૦૪ ફાયર સેન્ડ બકેટ અચૂક આ મંડપ પ્રીમાઈસીસ ચારેકોર ઉપલબ્ધ રાખવા. ઈમરજન્સી સાઈનેઝીસ બોર્ડ, એસેમ્બલી પોઈન્ટ મુકવાના રહેશે.
૧૭. સંચાલકો દ્વારા મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે ઉત્સવના સમયગાળા દરમિયાન ફાયર એક્ષટીગ્યુંશરના ઉપયોગ કરનાર જાણકાર વ્યક્તિઓને ફરજીયાત રાઉન્ડ ધ કલોક રાખવાના રહેશે.
૧૮. નવરાત્રી આયોજનના સંચાલકો એ એન્ટ્રી ગેટ પર ઈમરજન્સી કોન્ટેક્ટ નંબરો જેવા કે ફાયર વિભાગના કંટ્રોલ રૂમ નંબર-૦૭૯-૨૩૨૨૨૭૪૨, ૦૭૯-૨૩૨૨૨૧૦૦, પોલીસ કંટ્રોલ રૂમ, એમ્બ્યુલન્સના નંબર દર્શાવતા બોર્ડ લગાવવાના રહેશે.
૧૯. નવરાત્રી સંચાલકોને ફાયર વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું અચૂક પાલન કરવાનું રહેશે. અકસ્માતના કિસ્સામાં તમામ જવાબદારી આયોજકની રહેશે.
૨૦. નવરાત્રી આયોજક દ્વારા આયોજન સ્થળ પર સફાઈ કરાવવાની રહેશે.
૨૧. GMC દ્વારા તમામ સ્થળોએ SOP ચકાસણી કરવામાં આવશે, ક્ષતી જણાયે રીપેર કરાવવાની કાર્યક્રમ બંધ કરાવવાની જવાબદારી આયોજકની રહેશે.
ટેમ્પરરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSCAT) અને જગ્યાનું સંચાલન
આયોજકોએ સૌથી પહેલાં ટેમ્પરરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSCAT) મેળવવું જરૂરી છે. આ સર્ટિફિકેટ વગર કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત, પંડાલની ક્ષમતા મુજબ જ લોકોને પ્રવેશ આપવો પડશે અને દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી ૧ ચોરસ મીટર જગ્યા સુનિશ્ચિત કરવી પડશે. મંડપમાં પ્રવેશતા લોકોનો દૈનિક રેકોર્ડ પણ રાખવો પડશે.
ઈમરજન્સી એક્ઝિટ અને સુરક્ષાના ઉપાયો
સુરક્ષાને પ્રાધાન્ય આપતા, ગાઈડલાઈન્સમાં ઈમરજન્સી એક્ઝિટ ગેટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આયોજકોએ પૂરતા પ્રમાણમાં ઈમરજન્સી એક્ઝિટ ગેટ રાખવા પડશે, જેથી કોઈ અકસ્માત થાય તો લોકો સરળતાથી બહાર નીકળી શકે. આ ઉપરાંત, મંડપ કે પંડાલમાં કોઈપણ પ્રકારની જ્વલનશીલ સામગ્રી, પ્રવાહી કે ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ફાયર એક્સટીંગ્યુશર અને ઈલેક્ટ્રિકલ વાયરિંગ
આગ સામે તાત્કાલિક પગલાં લેવા માટે, દરેક ૧૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ઓછામાં ઓછા બે ૬ કિલોગ્રામના ABC ટાઈપ ફાયર એક્સટીંગ્યુશર અને બે ૪.૫ કિલોગ્રામના CO2 ટાઈપ ફાયર એક્સટીંગ્યુશર ઉપલબ્ધ રાખવા ફરજિયાત છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફાયર એક્સટીંગ્યુશરનો ઉપયોગ કરનાર જાણકાર વ્યક્તિઓ ચોવીસ કલાક ઉપલબ્ધ હોવા જોઈએ. તમામ ઈલેક્ટ્રિક વાયરિંગ માન્ય ઈલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા તપાસેલું હોવું જોઈએ. આ ઉપરાંત, મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતીનો બેઝ રાખવો પણ ફરજિયાત છે, જેથી દીવાથી આગ લાગવાનો કોઈ ખતરો ન રહે.
જવાબદારી અને કાયદાકીય પાલન
આયોજકોએ ફાયર વિભાગ, પોલીસ અને એમ્બ્યુલન્સના ઈમરજન્સી સંપર્ક નંબરો દર્શાવતા બોર્ડ લગાવવા પડશે. મહાનગરપાલિકા દ્વારા આ માર્ગદર્શિકાનું પાલન થાય છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે તમામ સ્થળોએ સમયાંતરે ચકાસણી કરવામાં આવશે. જો કોઈ ક્ષતિ જણાશે તો આયોજકોએ તેને તાત્કાલિક સુધારવી પડશે, અન્યથા કાર્યક્રમ બંધ કરાવવાની જવાબદારી આયોજકની રહેશે. સૌથી મહત્વની બાબત એ છે કે, અકસ્માતના કિસ્સામાં તમામ જવાબદારી આયોજકની રહેશે. આ નિયમોનું પાલન કરીને જ આયોજકો ખેલૈયાઓ અને દર્શકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે અને કોઈ પણ અણબનાવ ટાળી શકે છે.