)
Gujarat Politics : કમુરતા બાદ હવે શ્રાદ્ધ પક્ષ પણ આવી ગયો, પણ ભાજપનો પ્રશ્ન ઠેરનો ઠેર છે. ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ બદલાવાનો પ્રશ્ન ઠેરનો ઠેર છે. મંત્રીમંડળ અને ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાવાની વાત હવે લટકતું ગાજર જેવી બની છે. સરકારને પણ માત્ર તેની ચર્ચા થાય અને થતી રહે તેમાં વધુ રસ હોય તેવું લાગી રહ્યું છે. આવામાં હવે નવું આવ્યું છે. પાર્ટી શ્રાદ્ધ પક્ષ પહેલાં ઘણા સમયથી ઠેલાતો પ્રશ્ન ઉકેલવા માંગે છે અને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત આ સપ્તાહમાં થવાની શક્યતાની વાત વહેતી થઈ છે. શ્રાદ્ધ પક્ષના ૧૬ દિવસ બાદ રાજ્ય મંત્રીમંડળમાં ફેરફારનો મામલો હાથ ધરાશે તેવી અફવા શરૂ થઈ છે.
ભાજપમાં નવી ચર્ચા શરૂ
આ મહિને શ્રાદ્ધ પક્ષ આવી રહ્યું છે. જેમાં શુભ કાર્યો થતા નથી. તેથી સપ્ટેમ્બરના પહેલા જ સપ્તાહમાં હાઈકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવશે. સાથે જ નવા મંત્રીમંડળની પણ ચર્ચા થઈ રહી છે. ભાજપમાં ફરી કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે, 8 સપ્ટેમ્બરથી ત્રણ દિવસનું ટૂંકું વિધાનસભાસત્ર શરૂ થાય એ પહેલાં ૩૧મી ઓગસ્ટ સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ જાહેર થવાની હવા જોરશોરથી હતી, પરંતુ એ જાહેરાત હવે સપ્તાહ ઉપર ગઈ છે.
... તો નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે
ભાજપ હવે નામોની પસંદગીમાં સરપ્રાઈઝ આપવા ટેવાયેલી છે. ત્યારે કોણ આવે તે કહેવું મુશ્કેલ છે. પરંતું ભાજપના નવા પ્રમુખ ઓબીસી સમાજના અને તે પણ સૌરાષ્ટ્રમાંથી આવે તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે.
લટકતું ગાજર લટકતું જ રહેશે, તેવો અહેસાસ નેતાઓને થવા લાગ્યો
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે એકાએક ધારાસભ્યો અને પદાધિકારીઓની બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણના સંકેત આપી અનેકની ઊંઘ હરામ કરી. વર્તમાન મંત્રીમંડળમાં કેટલાક સભ્યોને પોતાનું પદ જતું રહેવાની બીકથી ઊંઘ ઊડી ગઈ છે, તો અનેક ધારાસભ્યોને મંત્રી પદ દેખાવા લાગ્યું. એટલે મંત્રીપદ મળશે કે નહીં એ વિચારોને કારણે રાતની ઊંઘ હરામ થઈ. પ્રદેશ પ્રમુખ પદ અને મંત્રીમંડળનું વિસ્તરણ આ બે મુદ્દા છેલ્લા એક વર્ષથી ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે જ્યારે પણ ચર્ચા નથી થતી, ત્યારે એકાએક પાર્ટીના મોટા નેતા કોઈને કોઈ પ્રકારે સંકેત આપે છે એટલે ફરી પાછી ચર્ચા જોર પકડે છે. હવે સીઆર પાટીલના આ વખતના સંકેત બાદ મંત્રીમંડળના સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ પોતાની સ્થિતિ ટેબલ ટેનિસના દડા જેવી દેખાવા લાગી. એક તરફ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ છે, તો બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. આ બંને રાજકીય મેદાનમાં પહેલા પ્રદેશ પ્રમુખ કે પહેલા મંત્રીમંડળનો બોલ એકબીજાના કોર્ટમાં નાંખે છે. થતું કશું નથી, પણ ભાજપના નેતાઓની સ્થિતિ લટકતા ગાજરને દૂરથી જ જોયા કરીએ તે પ્રકારની થઈ રહી છે.

સી.આર. નો એક પગ ગાંધીનગરમાં જ રહેશે
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા છે. પ્રમુખ પદનો કાર્યકાળ આંકડાકીય સિદ્ધિઓમાં સીઆર પાટીલનો સર્વશ્રેષ્ઠ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં પ્રમુખ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. આ એવા પ્રથમ પ્રમુખ પણ છે કે જેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સામેથી અનેક વખત પ્રમુખ પદની જવાબદારી છોડી અન્યને સોંપવાની તૈયારી બતાવી છે. જોકે હાલ તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ છે જ. તે જ વાસ્તવિકતા છે. ‘એક વ્યક્તિ એક પદ’ ના નિયમના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા સીઆર પાટીલ કેન્દ્રીય મોવડીમંડળને કારણે પાલન કરી શક્યા નથી. જોકે સીઆર પાટીલ પણ પોતાનો એક પગ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ રાખવા માંગે છે. રાજકીય દ્રષ્ટિએ ગાંધીનગરનું મહત્વ પાટીલ સારી રીતે જાણે છે. ગાંધીનગરમાં બજાર ભાવે ભાડે રાખેલ સરકારી બંગલો હવે કેન્દ્રીય મંત્રી તરીકે ચાલુ રાખ્યો છે. બંગલાનું રીનોવેશન પણ કરાવી લીધું છે. એટલે કહી શકાય કે, આવતીકાલે જ્યારે પણ સી આર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ નહીં હોય તો પણ નિયમિત ગાંધીનગરમાં આવતા જતા રહેશે. ભાજપના નેતાઓ અને મંત્રીઓ કે ધારાસભ્યોને સરળતાથી ગાંધીનગરમાં મળતા રહેશે.
ગાંધીનગરના કાવાદાવા : બે મંત્રીની જોડીથી બધા કંટાળ્યા, તો એક IAS કપલથી તોબા તોબા
ગુજરાતના રાજકારણમાં ઓગસ્ટ ક્રાંતિ
ઓગસ્ટ ક્રાંતિકારી મહિના તરીકે ઓળખાય છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદ અને મંત્રીમંડળના વિસ્તરણ પર ઓગસ્ટ મહિનામાં જ નિર્ણય લેવાશે તે નિશ્ચિત મનાય છે. જોકે આ ચર્ચા વચ્ચે બીજી ઓગસ્ટના જ રોજ મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતે ગુજરાતમાં રાજકારણમાં ગરમી લાવી દીધી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી. આ તસવીરો મુખ્યમંત્રીએ જ સોશિયલ મીડિયામાં શેર કરી. દિલ્હી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આ સિવાય પણ મહત્વના ભાજપ સંગઠન અને સિનિયર નેતાઓને મળ્યા હોવાની ચર્ચા છે. પ્રાથમિક દ્રષ્ટિએ મુખ્યમંત્રીની આ મુલાકાત પ્રદેશ ભાજપ પ્રમુખ પદના ઉમેદવાર અને મંત્રીમંડળમાં ફેરબદલ સંદર્ભે ચર્ચાએ જોર પકડ્યું. ડુબતો માણસ તણખલું પકડે તેવી સ્થિતિ ભાજપના નેતાઓની થઈ છે. બસ હવે પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ જશે, મંત્રીમંડળનો વિસ્તરણ પણ થઈ જશે, તેવી વાતો પુનઃ કરતા થયા છે. ધીરજ રાખી બેઠેલા ધારાસભ્યો માટે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત આશાનું કિરણ બની છે. કેટલાક નેતાઓ ઓગસ્ટ ક્રાંતિ ની વાતો પણ દબાતા સ્વરે કાનમાં કહેતા થયા છે.