)
Ahmdabad Navratri 2025: અમદાવાદમાં આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા ગરબાના આયોજન માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું મુખ્યત્વે શાંતિ અને સુરક્ષા જાળવવાના હેતુથી બહાર પાડવામાં આવ્યું છે, જેનો અમલ પાર્ટી પ્લોટ અને ક્લબમાં થતા ગરબાના કાર્યક્રમોને લાગુ પડશે.
કાર્યક્રમની મંજૂરી અને સમય મર્યાદા
આ જાહેરનામા મુજબ, ટિકિટ અથવા પાસવાળા પાર્ટી પ્લોટ અને ક્લબમાં યોજાતા રાસ-ગરબાના કાર્યક્રમોની મંજૂરી હવેથી મામલતદાર દ્વારા આપવામાં આવશે નહીં. આ મંજૂરી સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા આપવામાં આવશે. આયોજકોએ મંજૂરી મેળવવા માટે SDMનો સંપર્ક કરવો પડશે.
સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધી જ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવશે. રાત્રે ૧૨.૦૦ વાગ્યા પછી કોઈપણ જગ્યાએ માઈક કે લાઉડસ્પીકર ચાલુ રાખી શકાશે નહીં. જો આ સમય પછી લાઉડસ્પીકર ચાલુ જણાશે, તો કાર્યક્રમના આયોજક અને સાઉન્ડ સિસ્ટમવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરક્ષા અને સલામતીના નિયમો
જાહેરનામામાં સુરક્ષાને લગતા પણ કેટલાક કડક નિયમો મૂકવામાં આવ્યા છે:
પૂરતી સુરક્ષા:
ગરબાના આયોજકોએ પ્રાઈવેટ સિક્યુરિટી મારફતે એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવું અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવી.
CCTV કેમેરા:
પાર્કિંગ અને કાર્યક્રમની જગ્યાએ પૂરતી સંખ્યામાં CCTV કેમેરા ગોઠવવા.
અગ્નિશામક વ્યવસ્થા:
આયોજકોએ ઇલેક્ટ્રિક ફીટીંગ યોગ્ય હોવાનું પ્રમાણપત્ર મામલતદારને રજૂ કરવું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો મુજબ, ગ્રામ્ય વિસ્તારમાં પણ જરૂરી અગ્નિશામક સાધનો રાખવા. MCB/MILLB લગાવવું ફરજિયાત છે.
પાર્કિંગ વ્યવસ્થા:
પાર્કિંગની વ્યવસ્થા સ્વયંસેવકો અને સિક્યુરિટી ગાર્ડ્સ મારફતે કરવી. પાર્કિંગ રોડ પર થવું જોઈએ નહીં. જો રોડ પર પાર્કિંગ જોવા મળશે, તો મંજૂરી રદ થઈ શકે છે.
એન્ટ્રી/એક્ઝિટ ગેટ
પ્રવેશ અને બહાર નીકળવા માટેના ગેટ અલગ અલગ રાખવા.
ઇલેક્ટ્રિક મેઈન્ટેનન્સ સ્ટાફ:
ગરબાની જગ્યાએ ઇલેક્ટ્રિક સિસ્ટમ માટે મેન્ટેનન્સ સ્ટાફ હાજર રાખવો.
સ્ટેજ મજબૂતાઈ:
જો મોટા સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હોય તો તેની મજબૂતાઈ અંગે PWD એન્જિનિયરનું પ્રમાણપત્ર મેળવવું.
જનરેટર અને લાઇટ:
વીજળીનો પ્રવાહ બંધ થાય તો મુશ્કેલી ન થાય તે માટે સ્ટેન્ડ-બાય જનરેટર અને વૈકલ્પિક લાઇટની વ્યવસ્થા કરવી.
આ નિયમોનું પાલન કરવું તમામ આયોજકો માટે ફરજિયાત છે, જેથી નવરાત્રીનો તહેવાર સૌ માટે સુરક્ષિત અને આનંદદાયક બની રહે.