મુસાફરો માટે સારા સમાચાર, હવે અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરૂ થશે આ સેવા

મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. મેટ્રોની સેવામાં નવા સાત સ્ટેશનો સામેલ કરવામાં આવ્યા છે. હવે ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રોની સુવિધા મળશે.

મુસાફરો માટે સારા સમાચાર, હવે અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરૂ થશે આ સેવા

અમદાવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે સુવિધાજનક પરિવહન સેવામાં ઝડપી ઉમેરો કર્યો છે.  

મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ, આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાનો શુભારંભ રવિવાર તા. ૨૭ એપ્રિલ, ૨૦૨૫ થી થશે.

હવેથી મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦એ આ નવા સ્ટેશનોને જોડશે અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચશે. આનાથી અમદાવાદ અને ગાંધીનગરના આ વિસ્તારો વચ્ચે સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

 સચિવાલય સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ અને નવા સ્ટેશનોનો ઉમેરો એ સુગમ પરિવહનની દિશામાં એક આવકારદાયક પગલું છે. હવે વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે.

આ નવા રૂટ અને સ્ટેશનો પર ટ્રેનના સમયપત્રક વિશે વિગતવાર માહિતી વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી ઉપલબ્ધ થશે.

મેટ્રો સેવાનું આ વિસ્તરણ માત્ર મુસાફરીને સરળ જ નહીં બનાવે પરંતુ પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ થશે. હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news