ભાવનગર: જે ડુંગળી ગરીબો અને મધ્યમ વર્ગ માટે કસ્તૂરી ગણાય છે. તે જ ડુંગળી આજે ગુજરાતના અન્નદાતાઓને રડાવી રહી છે. કેમ કે હજારો રૂપિયાનો ખર્ચ અને રાતદિવસ મહેનત કરીને ડુંગળી ઉગાડી એ જ ડુંગળીનો કિલોએ ખેડૂતોને માત્ર 3થી 5 રૂપિયા મળી રહ્યા છે. ત્યારે કેવી રીતે ચાના એક કપ કરતાં પણ સસ્તી વેચાઈ રહી છે ખેડૂતોની ડુંગળી, તમે પણ જાણો
ગુજરાતના લોકો ચા પીવાના શોખીન હોય છે, ઘરે તો ચા પીવે છે, પરંતુ બહાર જાય તો ત્યાં પણ ચાના સ્ટોલ પર ચાની ચુસ્કી લેવાનું ચૂકતા નથી. આ એક કપ ચાના આપણે 10 રૂપિયા આપીએ છીએ. પરંતુ તમે જાણો છે, જે ખેડૂતોએ રાતદિવસ મહેનત કરીને ડુંગળી ઉગાડી એ એક કિલો ડુંગળીના ભાવ ખેડૂતોને એક કપ ચાના ભાવ કરતા પણ ઓછા મળી રહ્યા છે.
ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં મોખરે હોય છે. ખેડૂતો ટ્રેક્ટરો ભરી ભરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં મબલખ ડુંગળી લઈને આવી રહ્યા છે. પરંતુ આ ડુંગળીનો ભાવ ખેડૂતોને રડવા માટે મજબૂર કરી રહ્યો છે. કેમ કે ખેડૂતોને એક મણ ડુંગળીનો ભાવ 70 રૂપિયાથી 100 રૂપિયા મળી રહ્યો છે.
હવે આપણે ખેડૂતોની ડુંગળીનો સામાન્ય હિસાબ લગાવીએ તો એક વીઘામાં ડુંગળી માટે 35થી 40 હજારનો ખર્ચ થાય છે. હાલ ખેડૂતોને એક મણ ડુંગળીનો ભાવ 70થી 100 મળે છે. ખેડૂતને એક વીઘામાંથી 10થી 50 મણ ડુંગળી ઉતરે છે. 50 મણ ડુંગળી સામે 100 રૂપિયા ગણીએ તો ખેડૂતને 5 હજાર રૂપિયા મળે છે. એટલે કે જ્યાં ખેડૂતે વીઘે 40 હજાર ખર્ચ્યા, તેની સામે 5 હજાર રૂપિયા મળે છે. આ હિસાબે 1 કિલો ડુંગળીનો ભાવ માત્ર 5 રૂપિયા થાય છે.
આપણે કઈપણ વિચાર્યા વગર એક કપ ચા માટે 10 રૂપિયા આપી દઈએ છીએ, અહીં તો ખેડૂતને રાતદિવસ મહેનત કર્યા બાદ 1 કિલો ડુંગળીએ માત્ર 5 રૂપિયા મળી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં ખેડૂત સહાય માટે સરકાર સામે હાથ લાંબો ન કરે તો કરે શું.
ભાવનગર જિલ્લાના ખેડૂતોના મતે માવઠાના કારણે ખેડૂતોને વીઘે 10થી 50 મણના ઉતારો મળી રહ્યો છે અને તેમણે વીઘે 40 હજારનો ખર્ચ કર્યો છે. ત્યારે જો ખેડૂતોને એક મણ ડુંગળીનો ભાવ 100 નહીં પરંતુ 800 રૂપિયા મળે તો જ ખેડૂતોએ કરેલો ખર્ચ નીકળે. આમાં તો ખેડૂતોનો માત્ર ખર્ચો જ નીકળશે, મણે 800 રૂપિયાએ મળશે તો ખેડૂતોને ફાયદો એકપણ રૂપિયાનો થશે નહીં. ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં 800 રૂપિયા મણે મળવાના નથી એટલે કે ડુંગળી કરનારા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો જ વારો આવશે.