)
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરમાં હાલ રોગચાળાનો વ્યાપક કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં જ રોગચાળાને કારણે ૧૦ દર્દીઓના મોત નિપજ્યા છે. જે ચિંતાજનક સ્થિતિ સૂચવે છે. શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો પણ તાવ, ઝાડા-ઉલટીના કેસથી ઉભરાઈ રહી છે
સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ દિવસમાં જ ૭ હજારથી વધુ દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. આ પૈકી ૩૪૮૮ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. દાખલ થયેલા મોટાભાગના દર્દીઓ તાવ, ઝાડા અને ઉલટી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. દર્દીઓની આ વિક્રમી સંખ્યાને કારણે સિવિલ હોસ્પિટલના ઓપીડી અને વોર્ડમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, વોર્ડની બહાર પણ બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવી પડી રહી છે.સિવિલ હોસ્પિટલ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલ અને શહેરની અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ સમાન સ્થિતિ પ્રવર્તી રહી છે. દર્દીઓના સતત ધસારાથી આરોગ્ય તંત્ર પર મોટો બોજ પડ્યો છે
આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના પ્રોફેસર અને હેડ ડો. જીગીશા પાતળિયાએ જણાવ્યું હતું કે, "અમે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે, કેસોમાં થયેલો અસામાન્ય વધારો ચિંતાજનક છે. નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને તાવ, ઝાડા-ઉલટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા વિનંતી છે."રોગચાળાના વધતા વ્યાપને જોતા, મનપા અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને લોકોમાં જાગૃતિ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
અમદાવાદ પણ રોગચાળાના ભરડામાં
વરસાદી સિઝન વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. સોલા સિવિલની ઓપીડીમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. OPDમાં એક અઠવાડિયામાં 15 હજાર 225 દર્દીઓ આવ્યા. ભારે તાવ, વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં સોલા સિવિલમાં ડેન્ગ્યૂ, મલેરિયાના કેસ વધ્યા. બે સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 22 શંકાસ્પદ કેસ વધ્યા. ટાઈફોઈડ, ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. તો ખાનગી હૉસ્પિટલમાં જોવા મળી રહી છે દર્દીઓની કતાર..બહારનો ખોરાક લેવાનું ટાળવા તેમજ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવા તબીબૂો સલાહ આપી રહ્યા છે.