)
Gujarat Politics ; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ્યારે જ્યારે ગુજરાત આવે છે, ત્યારે ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટા બદલાવના ભણકારા વાગે છે. શું બદલાશે અને કંઈક નવાજૂની થશે તેવી અટકળો વહેતી થાય છે. ત્યારે હાલમાં જ બંને ગુજરાતના પ્રવાસે હતા, અને પંદર દિવસમાં ફરીથી તેમનો પ્રવાસ ગોઠવાયો છે. ત્યારે આ મુલાકાત પાછળ એક સ્ટ્રોંગ અફવા વહેતી થઈ છે કે, જરૂર કંઈક મોટું થશે.
ગુજરાતમાં મંત્રીમંડળના બદલાવ અને નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હજુ પણ બાકી છે. આ મામલે ભાજપમાં તારીખ પે તારીખનો ઘાટ સર્જાયા કરે છે, પરંતુ જાહેરાત થતી નથી. ભાજપને પણ આ મામલે લટકતું ગાજર રાખવું છે. જેટલી વાતો વહેતી થશે, તેટલી ચર્ચા થતી રહેશે. તેથી પક્ષ દ્વારા કોઈ ફોડ પાડવામાં આવતો નથી. પરંતું હજી પંદર દિવસ પહેલા જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતમાં હતા, ત્યારે ફરીથી તેમનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. જોકે, આ મામલે હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
પ્રધાનમંત્રી મોદી ક્યારે આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિન પછી ત્રણ દિવસ બાદ ગુજરાત આવી રહ્યા છે. 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં મેરિટાઈમ ઉદ્યોગને લગતા એક સમારોહમાં પ્રધાનમંત્રી હાજરી આપશે.
અમિત શાહ ક્યારે આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ ૧૩મીએ સાંજે અમદાવાદ આવશે અને ૧૪મીને રવિવારે નારણપુરામાં ૨૧ એકર વિસ્તારમાં રૂ.૮૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું વિધિવત રીતે લોકાર્પણ, ઉદ્દઘાટન કરશે.
મોદી-શાહની મુલાકાત બાદ કયા મંત્રી ખુરશી ખતરામાં?
પીએમ મોદી પછી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી ગયા. ત્યારે ગુજરાતમાં ફરી મંત્રીમંડળમાં ફેરબદલ અને નવા પ્રદેશ પ્રમુખનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં આગામી થોડા મહિનામાં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાવાની છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણીઓમાં ભાજપને ઘેરવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે, જ્યારે ભાજપ શહેરોમાં પોતાના ગઢને બચાવવાનો પડકારનો સામનો કરી રહી છે. આ બધા વચ્ચે, એવી ચર્ચા છે કે ભાજપ તહેવારોની મોસમમાં સાથે મળીને ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે. આમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક અને મંત્રીમંડળમાં ફેરબદલનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરબદલ ક્યારે થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ, રાજકીય વર્તુળોમાં મોટા ફેરફારોની અટકળો છે. એવી ચર્ચા છે કે ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે. આમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલનો સમાવેશ થાય છે. સૂત્રોનું માનીએ તો, રાજ્યમાં નેતૃત્વમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી, પરંતુ ઘણા મંત્રીઓને વર્તમાન મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે. સંગઠનમાં કામ કરવા માટે ઘણા મંત્રીઓને મોકલી શકાય છે, જ્યારે કેટલાક યુવા ચહેરાઓ મંત્રીમંડળમાં પ્રવેશ કરી શકે છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 16 મંત્રીઓ છે. જેમાં 8 કેબિનેટ મંત્રીઓ, બે સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 6 રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. 2022 માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં, ટૂંક સમયમાં મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો છે. શ્રાદ્ધના અંત પછી પણ આ ફેરફાર થઈ શકે છે.