)
Shamlaji Temple મહેશ પરમાર/અરવલ્લી : યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટ અને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજી વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ સમગ્ર રાજ્યમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવનાર છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મંદિરને લાઈટની રોશની, આસોપાલવ, કેળ, વાંસના તોરણો બાંધી શણગારવામાં આવ્યું છે. સાથે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર નાગદમન, ગોવર્ધન પર્વત દર્શન, કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ જેવી જુદી જુદી ઝાંખીઓ બનાવવામાં આવી છે.
મંદિરમાં દર્શનનો સમય આ રીતે રાખવામાં આવ્યો છે
બીજી તરફ જગતના નાથનો જન્મદિવસ ઉજવવા ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામને આસોપાલવ તેમજ મટકી બાંધી શણગારવામાં આવ્યું છે. ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં 100 થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે. જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે. ત્યારે સમગ્ર ગામ નંદ ઘેર આનંદ ભયો જય કાનૈયા લાલ કી અને જય રણછોડ માખણ ચોરના નાદે ગાજી અબીલ ગુલાલના રંગે રંગાઈ ભગવાન જગતના નાથના જન્મદિનની વધાવશે .
ખાસ કરીને ભગવાનનો જન્મોત્સવ આવતી કાલે ઉજવવામા આવનાર છે ત્યારે મંદિર ખાતે આજથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહયા છે. ભક્તોમાં ભગવાનના જન્મોત્સવને વધાવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ જાણે ગોકુળ અને વૃંદાવન બન્યું હોય તેવો માહોલ ભક્તો હાલ અહીં આવી માણી રહ્યા છે.