)
શ્રીફળ એ હિન્દુ ધર્મમાં દરેક પૂજનમાં સૌથી પવિત્ર ફળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શ્રી એટલે ભગવાન અને ફળ એમ ભગવાનના ફળને શ્રીફ્ળ તરીકે ઓળખવામાં આવે છે. લીલા નાળિયેર કે શ્રીફ્ળનું મુખ્ય ઉત્પાદન તામિલનાડુ, મદ્રાસ, કેરલા તથા કર્ણાટકમાં ખૂબ જ મબલખ પ્રમાણમાં થાય છે. જ્યાંથી દેશના વિવિધ રાજ્યો તથા અન્ય દેશોમાં પણ તેની નિકાસ થતી હોય છે. સામાન્ય રીતે દર ચોમાસામાં નારિયેળનું ઉત્પાદન ખૂબ જ થતું હોય છે પરંતુ આ વર્ષે નારિયેળના પાકને નુકસાન થતાં શ્રીફળ તથા લીલા નારિયેળની આવક ઘટી છે. જેના કારણે ગુજરાતમાં શ્રીફળ તથા લીલા નારિયેળના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, શ્રાવણ માસમાં લોકો ભગવાનની પૂજામાં શ્રીફળનો ઉપયોગ કરતા હોય છે. અમદાવાદમાં એક શ્રીફળ અગાઉ ૩૦ રૂપિયાના ભાવે મળતું હતું તે અત્યારે 40નું મળી રહ્યું છે. શ્રાવણ માસમાં સૌથી વધુ શ્રીફળની માંગ રહેતી હોવાથી ભાવમાં અચાનક 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જ્યારે લીલા નારિયેળ રૂ.૩૦થી ૪૦ના મળતા હતા તે અત્યારે રૂ.૭૦ થી ૧૦૦ના મળી રહ્યા છે. જેમાં ઓછા પાણીના રૂ.૪૦થી૫૦ તથા પાણીવાળા નારિયેળ રૂ.૭૦ થી ૧૦૦ના મળી રહ્યા છે.
ખાસ કરીને દર્દીઓ માટે પણ લીલાં નારિયેળ ખૂબ મહત્વ ધરાવે છે. શ્રીફળમાંથી સૂકું કોપરું, કોપરાનું છીણ, નારિયેળનું તેલ જેવી વસ્તુઓ બને છે તેમાં પણ સીધો જ ભાવવધારો જોવા મળી રહ્યો છે. આમ શ્રીફળ, લીલાં નારિયેળની આવક ઘટતા તેની અસર શ્રીફ્ળમાંથી તૈયાર થતી અન્ય વસ્તુઓ ઉપર પણ જોવા મળી રહી છે.