ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીનું તેડું, રાહુલ ગાંધીએ બધાને દિલ્હી બોલાવ્યા

Gujarat Congress: ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ સત્તામાં નથી. પાર્ટી એક બાદ એક ચૂંટણી હારી રહી છે. તેવામાં તાજેતરમાં રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને પાર્ટી નેતાઓ સાથે ચર્ચા કરી હતી. હવે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને રાહુલ ગાંધીએ દિલ્હી બોલાવ્યા છે. 

 ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીનું તેડું, રાહુલ ગાંધીએ બધાને દિલ્હી બોલાવ્યા

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીમાં રહેતા ગદ્દાર નેતાઓને કાઢી મુકવાની વાત જાહેરમાં કહી હતી. લોકસભામાં વિપક્ષ નેતાએ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાફ ફૂંકવા માટે તૈયારી શરૂ કરી છે. હવે સામે આવ્યું છે કે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. 

રાહુલ ગાંધીએ દિલ્હી બોલાવ્યા
ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ હવે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ વિપક્ષના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી શકે છે. રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓના મનમાં શું છે તે પણ જાણવાનો પ્રયાસ કરશે.

પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતની મુલાકાત બાદ રાહુલ ગાંધી આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં પાર્ટીને ફરી ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ કડીમાં ગુજરાત કોંગ્રેસના આગામી કાર્યક્રમો અને સંગઠનની ગતિવિધિઓ વિશે રણનીતિ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજ્યમાં કોંગ્રેસની આગામી રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

નેતાઓએ રાહુલ ગાંધીને કરી હતી ફરિયાદ
રાહુલ ગાંધીએ નેતાઓ સાથે બેઠક કરીને ફરિયાદ કરી હતી કે, પક્ષના અનેક નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે. જેના કારણે કોંગ્રેસનો ચૂંટણીમાં રકાસ થાય છે. પક્ષમાં વર્ષોથી એ જ ચહેરાઓ આવ્યા કરે છે અને નવા ચહેરાઓને યોગ્ય સ્થાન મળતું નથી. જૂના નેતાઓ નાના કાર્યકરોનું સાંભળતા જ નથી. ભાજપ સાથે મળેલા કોંગ્રેસના જૂના નેતાઓ હાલમાં માત્ર હોદ્દા જ ભોગવી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને લઇને લડી શકે તેવી હિંમત કોંગ્રેસના પીઢ નેતાઓમાં રહી નથી. 

ગુજરાતમાં દાયકાઓ બાદ યોજાશે કોંગ્રેસનું અધિવેશન
 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતૃત્વ ઉપરાંત દેશભરમાંથી 3000 જેટલા નેતાઓ ભાગ લેશે. ચૂંટણીના રાજ્યોમાં આવા સંમેલનો ચોક્કસથી થોડા વહેલા યોજાય છે, પરંતુ ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં હજુ બે વર્ષથી વધુ સમય બાકી છે. રાહુલ ગાંધીનું અકાળે સક્રિય થવું અને કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવવું એ દિલ્હીની ચૂંટણીનો પ્રભાવ જણાય છે અને એવું લાગે છે કે કોંગ્રેસે 2022ની નહીં પણ 2017ની જેમ ગુજરાતની આગામી ચૂંટણી લડવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news